ગળ્યાં આજે એવાં
તને પહેલી જોઈ અતલ ઉરમાં થૈ ચમક ને
ઠરેલાં ને ઊંડાં સરવરજલે કંકર પડ્યો
રચીને વર્તુળો ઉતરતટપ્રદેશે જલ ધસે!
તટેથી રેલાતો વિરલ રસ, બે સારસ હસે!
પછી તારામૈત્રી, ઉભય ઉરનો તાગ, વિફલ!
ધૃતિ ધારી કાળે મન-મીન ફસાતું પ્રીતિ-ગલ.
રસૈક્યે એકાકી દ્વિદલ, ઉરની એક જ ગતિ
પ્રમાણી અન્યોન્યે અનુકૂલ રસાર્દ્રા સ્થિર રતિ.
મનોનુકૂલા શી! રજરજ વસે, એક જ મતિ,
પરસ્પર વ્યવહારે મન-હૃદય સંવાદીલી ગતિ.
અભેદે અન્યોન્યે રસ ગહનમાં મજ્જન કીધું,
કશું દીધું કોને? નિજનું કશું? સર્વસ્વ જ દીધું.
ગળ્યાં આજે એવાં રસ, રસનિધિ શાન્ત છલકે,
શશિને પ્રેક્ષીને અવનિ પરનો અબ્ધિ મલકે!
~ રણજિત પટેલ ‘અનામી’ (26.6.1918-)
જન્મદિને કવિને સ્મૃતિવંદના
ક્ષણો
ક્ષણો નથી કંઈ કાચ તણું કોચલું કે
ક્ષણોને આપો છો ભ્રમણાનું નામ,
ક્ષણોની ભોગળને ખોલો કે અંદરના
ઝળહળતા ઓરડા તમામ.
ક્ષણો તો શ્વાસ તણું પહેલું છે પારણું ને
ક્ષણો છે પ્રગટી જે પહેલી તે પ્રીત,
ક્ષણોને હેતભર્યું સ્પર્શો તો રોમરોમ
ઊગશે જે કૂંપળના ફૂટવાનું ગીત.
ક્ષણોનો વડલો આકાશભરી ઊગે તો
ડાળ ડાળ ડોલે છે રૂપેરી નીડ,
ક્ષણોનાં ઝરણાંને ઝીલું બંધ પોપચે ને
સમણામાં સરોવરની અડાબીડ ભીડ.
ક્ષણોનાં મોતીને વેરું વેરાનમાં ને
ગુલોના લૂમઝૂમ લે‘રે છે બાગ,
ક્ષણો તો ફાગણિયા-કાયની ચૂંદડી ને
ક્ષણો છે છાતીમાં ફોરે તે ફાગ.
ક્ષણોની ભીતરમાં ઊતરો ને યુગોની
દેખાશે એક નહિ નાનીશી રેખ,
ક્ષણોના સમદરમાં ડૂબીને જુઓ કે
ભીતર ને બહાર બસ લહેરે છે એક.
~ વ્રજલાલ વઘાસિયા (26.6.1935-)
જન્મદિને કવિને સ્મૃતિવંદના

બન્ને કવિઓને સાદર સ્મરણ વંદના.
બન્ને કવિઓ નેસ્મરણવંદના
વાહ બંને કાવ્યો માણવાની મજા પડી.