લતા હિરાણી ~ કદી કોઈ વાતે * શ્રી સુમન શાહની તન્ત્રીનોંધ સાથે * Lata Hirani

🌸

*તડકો* 

કદી કોઇ વાતે અમસ્તો અછડતો 
ન’તો આસપાસે ફરકતો ય તડકો
જરી ઘાવ અમથા જ ખોલે વલોવે      
અને રોજ પીડા ખડકતો જ તડકો.  

હતા પાસ એને ધક્કાઓ દઈને
પથાર્યો સ્વયંનો સળગતો જ તડકો
પછી છાંયડા કાજ ઘમસાણ માંડ્યુ
ઠરે કેમ, બાળે એ બળતો જ તડકો

હવેલી અજબની, શી રોનક ગજબની 
અહમનો અડે જો અકડતો જ તડકો
બને શૂન્યતાનું એ ખંડેર કેવું
કે પથરાય ચોગમ ગરજતો જ તડકો. 

સફરના મિજાજે, ઉંમરના પડાવે
હતો દર વળાંકે વળગતોય  તડકો
ઢળ્યો જ્યારે છાંયો, સીમાડો કળાયો
જણાયો પછી તો સરકતો જ તડકો.

~ લતા હિરાણી

કવિલોક > સપ્ટે.ઑક્ટો. 2018

મારી ગઝલ ‘તડકો’ માટે વિદ્વાન સાહિત્યકાર શ્રી સુમન શાહની તન્ત્રીનોંધ : (સાહિત્યિક સંરસન 3)

૩ : કદી કોઈ વાતે –

આ રચનામાં વાત તડકાની છે પણ એ અમસ્તો અછડતો’ ‘આસપાસે ફરકતો’ ‘પીડા ખડકતો’ ‘સ્વયંનો સળગતો’ ’બાળે એ બળતો’ ‘અડે જો અડકતો’ ‘ચોગમ ગ૨જતો’ ‘વળાંકે વળગતો’ વગેરે રૂપો લઈને આવ્યો છે. એનું ‘અમસ્તો’ વગેરે વિશેષણતત્ત્વો સાથે અને ‘કોઈ વાત’ વગેરે નામતત્ત્વો સાથે જે જોડાણ થયું છે તેથી એ રૂપોના સંકેતાર્થો વિકસ્યા છે.

દાખલા તરીકે, વિચારો કે ‘કદી કોઈ વાતે અમસ્તો અછડતો / ન’તો આસપાસે ફરકતો ય તડકો’ એટલે શું? દાખલા તરીકે, ‘હતા પાસ એને ધક્કાઓ દઇને / પથાર્યો સ્વયંનો સળગતો જ તડકો’ અર્થવિસ્તાર કરી જુઓ. દાખલા તરીકે, “અહમ્- નો અડે જો અકડતો જ તડકો / બને શૂન્યતાનું એ ખંડેર કેવું’, વિચારી જુઓ. દાખલા તરીકે, સફરના મિજાજે, ઉંમરના પડાવે / હતો દર વળાંકે વળગતો ય તડકો’, કલ્પી જુઓ. વગેરે.

રચના એ વાતનું ઉદાહરણ છે કે છાન્દસ રચનાઓ પણ કાવ્યત્વસાધક નીવડી શકે છે.

~ સુમન શાહ

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “લતા હિરાણી ~ કદી કોઈ વાતે * શ્રી સુમન શાહની તન્ત્રીનોંધ સાથે * Lata Hirani”

  1. ઉમેશ જોષી

    સકળ શે’રની સુઘડતા મનને સ્પર્શી જાય છે..
    તંત્રી નોંધ ખૂબ ખૂબ સરસ રીતે લીધી છે..
    અભિનંદન.

Scroll to Top