હરિશ્ચંદ્ર જોશી ~ ગણવું જ કાંઈ હોય & કરો સહી * Harishchandra Joshi

ગણી બતાવ

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ

દુષ્કાળના માઠાં વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ – પચ્ચીસ કે વધુ હશે,
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો ‘હરીશ’
રાખ્યા છે કિંતુ કેટલા પડદા? ગણી બતાવ.

~ હરિશ્ચંદ્ર જોશી

માણસ હોંશિયારીમાંથી ઊંચો નથી આવતો. પોતાની બુદ્ધિના અભિમાનમાં રાચ્યા કરવાનું જ એને ગમે છે ત્યારે કવિ એને સવાલ જ નથી પૂછતા, પડકાર પણ ફેંકે છે. બોલ, આ તું કરી શકીશ? તારા હૃદયના તડકા કે શ્વાસના મણકા તું ગણી શકીશ ? પંખીના પગલાં કે ખીણમાં તૂટી પડેલા પડઘા ગણી શકીશ ? કવિ માત્ર બીજાને જ પૂછે છે એવું નથી, એ પોતાની જાતનેય પ્રમાણિકતાથી પડકાર ફેંકે છે, અરે જીવ, તું ક્યાં ક્યાં અંદર-બહાર અલગ રહ્યો છે ? કેટલા પડદા પોતાની જાત સાથે કે અન્યો સાથે રાખ્યા છે ?  આ સવાલ દરેકે પોતાને પૂછવા જેવો ખરો ! જો કે પોતાનેય ઇનો સાચો જવાબ મળવો મુશ્કેલ ! આપણે જાતને એટલું છેતરતા શીખી ગયા છીએ.  

કરો સહી

કરો સહી કાગળ પર સાંયા,
ચિંતા સઘળી ખરી જાય કે

શું થાશે આગળ પર ?

વાંકા-ચૂંકા વ્યવહારે હું

ડાઘ ડાઘ ચીતરાયો,
સરનામાંના જંગલ વચ્ચે

સાવ પછી અટવાયો;
સાચો તમે ઉકેલો,

આંસુ ઊંચકી લઈ આંગળ પર…

પસ્તીના કટકા શો ઊડતો

રહ્યો શોધવા મૂળને,
તમે જ સાંધો જનમનાળ

ને ચીંધો મારા કુળને;
તાળું ખોલો ફૂલ જેમ

આ જીવતરની સાંકળ પર…

કરચલિયાળો જીવ, વળી

ડૂસકાં-ડૂમાનો ભેજ,
ખૂણેખૂણો ઝળહળ થાશે

અક્ષર પડતાં બે જ;
એક જ પળમાં વસંત

સાતે સાત વસે બાવળ પર…

~ હરિશ્ચંદ્ર જોશી

‘સાચો તમે ઉકેલો, આંસુ ઊંચકી લઈ આંગળ પર…’ આહા…. કોઈ આંગળ પર આંસુ ઊંચકી લે એની પાસે તો ગૂંચવાયેલા જીવતરનો તારેતાર ઉકેલાઈ જાય…..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “હરિશ્ચંદ્ર જોશી ~ ગણવું જ કાંઈ હોય & કરો સહી * Harishchandra Joshi”

  1. Pingback: 🍀7 જુલાઇ અંક 3-1205🍀 - Kavyavishva.com

  2. કવિ ની બંને રચનાઓ માણવાની મજા પડી. માણસને પોતાની સારપ, કે ખરાબ કામની ગણતરી તો હોવી જ જોઈએ.

  3. હરીશ દાસાણી.મુંબઈ

    બંને રચનાઓ જીવનાતીત શકિત સાથેના સર્વકાલીન સંબંધ તથા શ્રદ્ધાદીપના ઉજાસથી પ્રકાશિત છે.

Scroll to Top