*શાં શાં રૂપ વખાણું*
શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?
ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.
નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે;
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.
નૂરત સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,
ઝળમળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.
વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું;
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું.
માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે;
તેને તીરે વસે નાગણી, જાળવજે નહિ તો ખાશે.
ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી;
અખો આનન્દશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.
~ અખો
@@
*અભિનવો આનંદ આજ*
અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું એ;
પરપંચપાર મહારાજ, તે પૂરણ બ્રહ્મ હું સ્તવું એ.
હરિહર અજ ભુવનેશ, તે તણો ઈશ અજાપતિ એ;
તે જાણો અંગ ઈશ, જેહને ગાય નિત્ય શ્રુતિ એ.
સ્વેં ચૈતન્ય ઘનરાય, શૂન્યમાં સોહામણો એ;
તે ના‘વે વાણી માંહે, તે નહિ વિરાટ ને વામણો એ.
તે જાયે ન આવે ક્યાંહી, સ્થિર પૂરણ અવિનાશ છે એ;
લિંગ—ભંગ તેમાં નહિ, જે વડે આકાશ છે એ.
એ જાણ્યે જાયે જંજાલ, યથારથ જેમ તેમ થયું એ;
જિહાં કર્મ ન લાગે કાલ, સભર ભરાઈ તે રહ્યું એ.
તિહાં હવું મન લેલીન, જઈ ચૈતન્ય સભર ભર્યું એ;
નહિ કો દાતા-દીન, તન—મન સહજે સજ થયું એ.
પ્રગટ્યાં કોટિ કલ્યાણ, આપાપાર વિણસે રહ્યું એ;
સદા સદોદિત ભાણ, ઉદે—અસ્ત આ કારણ ગયું એ.
કહે અખો આનંદ, અનુભવને લેહવા તણો એ;
એહવો પૂર્ણ પરમાનંદ, નિત્ય સરાઉં અતિઘણો એ.
~ અખો
@@
*કાગળ સદ્ગુરુ લખે*
કાગળ સદ્ગુરુ લખે, જેના વિરલા છે વાંચણહાર
જ્ઞાનવૈરાગ્યનો દેહ ધર્યો, માંહી જોગપણાનો જીવ;
ભક્તિ આભૂષણ પહેરિયાં રે, એવો કોઈએક સેવક શિવ.
શીલરૂપી ખડિયો કર્યો, માંહી પ્રેમ તણી રુશનાઈ;
કલમ બુદ્ધિ સંતની રે, ત્યાં તો અદ્વૈત આંક ભરાઈ.
સૂરતનૂરતની દોરી લીટી, માંહી વિવેક તણી ઓળ;
વિચારી અક્ષર ત્યાં લખ્યા રે, તેમાં ઉતારી પાટણપોળ.
સમજણ કાનો માતરા રે, માયા ઉપર શૂન્ય;
તેમાં પરિપૂરણ બ્રહ્મ છે રે, ત્યાંહાં નહિ પાપ ને પુન્ય.
કોટિ કોટિ પંડિત પચી મૂઆ રે, પઢી પઢી વેદ પુરાણ;
તોયે અક્ષર એકે ન ઊકલ્યો રે, સરવે થાક્યા છે જાણસુજાણ.
અંધે તે અક્ષર વાંચિયા રે, બેહેરે સુણી વાત;
મૂંગે ચરચા બહુ કરી રે, તેની વેદ પૂરે છે સાખ.
જોગપણું જુગતે લહ્યું રે, મન મળી મંગળ ગાય;
વિચારી અક્ષર સૌ લખે રે, તોયે કાગળ કોરો કહેવાય.
અમરાપુરી નિજ ઘટમાં રે, ત્યાંહાં છે તેહનો વાસ;
કર જોડીને અખો કહે રે, એવા નિર્મળ હરિના દાસ.
~ અખો
*સમજણ વિના રે*
સમજણ વિના રે સુખ નહિ જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખાય?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.
રવિ રવિ કરતાં રે રજની નહિ મટે રે,
અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;
રુદે રવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,
થનાર હોય તે સહેજે થાય.
જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,
ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;
પ્રેમરસ પીતાં રે તૃષ્ણા તુરત ટળે રે,
એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.
પારસમણિ વિના રે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
સમજણ વિના રે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.
દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે.
એને લઈ રૂમાં જો અલપાય;
એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,
રતી એક સાચે પ્રલય જ થાય.
જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણીરહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર.
~ અખો

અગમ, અગોચર ઈશ્વરીય પ્રકૃતિને ઉજાગર કરતાં કાવ્યો.
અખા ના કાવ્યો ખુબ ગમ્યા
અગમવાણીનાં અખાના પદો એના વિવિધ સંદર્ભો સાથે સમજવા પડે.
રચનાઓ ગમી…