અનંત રાઠોડ ~ ત્રણ રચના * Anant Rathod

🥀 🥀

*ગુપ્ત છે*

મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે
ચર્ચાય સઘળું મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે

છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર
સંધાઈ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે

થડની અબોલ ચીસ કુહાડીએ સાંભળી
પણ ધાર જાણતી બધું હાથાથી ગુપ્ત છે

ઉંબર, દીવાલ, દ્વાર બધાં મૌન થઇ ગયાં
ખાલીપણું મકાનનું વાડાથી ગુપ્ત છે

ગૂંજ્યા કરે મહેલમાં પગરવ હજુ પ્રણય
અંદર પ્રવેશ્યું કોણ, એ ઝાંપાથી ગુપ્ત છે

~ અનંત રાઠોડ ‘અનંત’

બધું જ જાણવાનો દાવો કોઈ ન કરી શકે તેમ છતાંય ‘પોતાના વિશે તો જાણકાર છે’ એવું કોઈ કહી શકે. અલબત્ત સમજુ માણસ આવું વિધાન ન કરે. રોટલી સૌ ખાય છે પણ એનું લોહી કેવી રીતે બની જાય છે, એ કોણ કહી શકે ? ડોક્ટર પણ નહીં. માનવ શરીરના કેટલાંય પાસાં તબીબી વિજ્ઞાન માટે હજુ અજાણ છે અને રહેવાના ત્યારે પ્રકૃતિની લીલા સામે નતમસ્તક જ થવું પડે. કુદરતની લીલા અકળ છે. અનેક રહસ્યો એની અંદર છુપાયેલા છે અને રહેવાના. એનો તાગ પામવો શક્ય નથી.

અહીં મકાનનું ખાલીપણુંકે કુહાડીની ધારજેવા પ્રતીક આ પ્રકારની રહસ્યમયતાને સાંકળતા નથી. એ કવિતાની લીલા છે. પરંતુ શરૂઆતથી અંત સુધીના શેર મનમાં એક અકળ રહસ્યને વહેતું કરે છે એ પણ કવિતાની લીલા અને કવિનું સામર્થ્ય ગણાય.

🥀 🥀

*ચાલ્યું ગયું છે ક્યાંક*

કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.
નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

મને વહેલી સવારે એ નદીકાંઠે કોઈ બિનવારસી પેટીમાં મૂકેલી દશામાં હાથ લાગેલી;
ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા પાણીમાં છોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધુંયે છે અહીં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને;
બહુ સ્હેલાઈથી એક જણ મને જાણીબૂજીને સાવ અર્ધો ચિત્રમાં દોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉ ને સાંજે તો ફરી એ ત્યાં જ ઊગી જાય છે પાછું;
ગયા ભવનું કોઈ વેરી અજંપાનુ લીલુંછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

~ અનંત રાઠોડ ‘અનંત

કઠિન કામ છે, આટલી લાંબી બહેરને નિભાવી એક સક્ષમ રચના રજૂ કરવી. કવિ એમાં સફળ થયા છે એમ કહી શકાય. કેમ કે ઢગલાબંધ શબ્દોના ભારને ભાવ અને અર્થના સૂત્રમાં પરોવાયેલા રાખવા તથા ગઝલનું રચનાસૂત્ર સંભાળવું એ એકસાથે બે ઘોડા પર સવારી જેવું કહી શકાય.

પ્રિયજનનું અગમ્ય કારણોસર જતાં રહેવું, કોઈનું ચાલ્યા જવું અને પછી જે જે થાય છે એ બસ થતું જાય છે, થયા કરે છે પેલી પીડાના ભાવને પોષતું….. અજંપાના લીલાછમ ઝાડને મ્હોરાવતું … અને આ કડી ક્યાંય તૂટતી નથી એ નોંધપાત્ર.

🥀 🥀

*નથી રહ્યો*

નથી રહ્યો હું વાડનો, મકાનનો નથી રહ્યો,
હું સાંકળે તો છું જ પણ કમાડનો નથી રહ્યો.

દીવો ઉઠાવી અંધકાર શોધવા ગયો હતો,
બસ આજ લ્હાયમાં હવે ઉજાશનો નથી રહ્યો.

તરસ મને ગળે લગાવી અંતમાં રડી પડી,
ખબર મળી જ્યાં તટ ઉપર, તળાવનો નથી રહ્યો.

દશે દિશાઓમાં હવે તલાશવો પડે મને,
હું કોઈ એક પંથ કે વળાંકનો નથી રહ્યો.

ચણ્યો હતો તેં કેટલા વિભાગમાં મને ‘પ્રણય’
અસર છે એની કે કોઈ પ્રકારનો નથી રહ્યો.

~ અનંત રાઠોડ ‘અનંત

સરસ ગઝલ…. વાહ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “અનંત રાઠોડ ~ ત્રણ રચના * Anant Rathod”

Scroll to Top