આદિલ મન્સૂરી ~ કદી મૌન થૈને Aadil Mansuri

કદી મૌન થૈને સરી ગયા કદી શબ્દ થૈને ખરી ગયા
અમે મોસમોના વિકાસમાં જે થઈ શક્યું તે કરી ગયા

અમે જિંદગીનું વિશેષ રણ ગમે તેમ પાર કરી ગયા
કદી ઓસબિન્દુએ જે ડૂબ્યા કદી ઝાંઝવાઓ તરી ગયા

અમે કાળચક્રની સાક્ષીએ ફર્યું તે દિશામાં ફરી ગયા
કદી બાથ ભીડી છે મૃત્યુથી કદી જાતથીયે ડરી ગયા

બધું એકમેકથી સંકલિત બધે દૃષ્ટિનો જ પ્રભાવ છે
તમે મીટ માંડી તો ઓગળ્યા અને ખેસવી તો ઠરી ગયા

અરે તારા સ્પર્શ-સમુદ્રમાં કશી ખોટ એથી ન આવશે
કોઈ સૂના કિનારે ઊભા રહી અમે આચમન જો ભરી ગયા

જુઓ આ તળેટીની ધૂળમાં હવે આડે પડખે પડ્યા છીએ
હતા કાલ છેલ્લા શિખર ઉપર અને આજ પાછા ફરી ગયા

અહીં શબ્દની બધી બાજુએ ઊગી નીકળે નવું ઘાસ તે
ભલા પંડિતોનું ભલું થજો ભલા થૈ બધું જ ચરી ગયા

~ આદિલ મન્સૂરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “આદિલ મન્સૂરી ~ કદી મૌન થૈને Aadil Mansuri”

  1. 'સાજ' મેવાડા

    ખૂબ સરસ ગઝલ, જિવનની જૂદ જૂદી અર્થ સંવેદનની અભિવ્યક્તિ.

  2. DILIP Ghaswala

    બધા જ શેર સવા શેર
    અભિનંદન લતા બેન સરસ કામ આપ કરો છો

Scroll to Top