ફફડાટ
ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં સ્હેજ અડી જતામાં
ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટવું:
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો….
~ ઇન્દુકુમાર ત્રિવેદી (25.3.1925-15.7.1998)
‘સંનિવાસ’ એમનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહમાં પહેલાંના બે સંગ્રહ ‘ક્વચિત’ અને ‘આર્જવ’ સંગ્રહની તથા અન્ય અગ્રંથસ્થ કૃતિઓને સમાવી છે. રામપ્રસાદ બક્ષીએ એમને એક પદ્યપત્ર લખેલો જેનો સૂર કૈંક આવો છેઃ એમની કવિતા અદ્યતન કવિતા જેવી અતિ પ્રગટ નથી, તેમ નવીન કવિતા જેવી પૂર્ણ પડદાનશીન નથી. (સુ.દ.)

ખૂબ સુંદર લઘુકાવ્ય.અંતિમ પંકિત કવિકર્મની શ્રેષ્ઠતા.
કવિતા આખરે તો અનુભવાતી ઉર્મિઓની નિપજ છે.