ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર;
ભારત નહિ ગંગા, નહિ યમુના, ભારત સંસ્કૃતિનિર્ઝર.
ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર, ભારત આત્મની આરત;
ભારત તપ્ત ગગન કે રણ નહિ, જીવનધૂપ જ ભારત.
ભારત તે રતનાગર રિદ્ધિ ન, ભારત સંતતિરત્ન;
ભારત ષડ્ ઋતુ ચક્ર ન, ભારત અવિરત પૌરુષયત્ન.
ભારત ના લખચોરસ કોશો, વિસ્તરતી જડભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ- વીર પ્રાણની ઊર્મિ.
ભારત એકાકી અવધૂત ન, કે ચિરનિરુદ્ધ કારા;
ભારત જગની જમાત વચ્ચે, મનુકુલ-મનનની ધારા.
– ઉમાશંકર જોશી
હિંદભૂમિ વિશે પ્રાણમાં ઉત્સાહ જગાવતું કવિ ઉમાશંકર જોશીનું આ કાવ્ય પ્રસ્તુત છે એમના જન્મદિને વંદન સહ.
OP 21.7.21
ankit 22-05-2022 કાવ્ય ખુબજ ગમ્યું
Varij Luhar 24-07-2021 આપણાં સૌના આદરણીય કવિશ્રી ઉમાશંકર જોશી ની દિવ્ય ચેતનાને વંદન.
છબીલભાઈ ત્રિવેદી 21-07-2021 – આજનુ ઉમાશંકરજોશી સાહેબ નુ કાવ્ય ખુબજ ગમ્યું, ભારત ભુમી ની વંદના આજે જન્મદિવસે કોટી કોટી વંદન અેક કવિ પોતાના ઘરે થી શબ્દ લઇ ને નિકળે છે અને તે શબ્દ તેને કયા કયા પહોચાડે છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
Pranav thaker 21-07-2021 Wah …jai ho

કવિ શ્રી ની ચેતના ને પ્રણામ
કવિને વંદન. આકાશવાણી ગાયકવૃંદે કાવ્યને અમર બનાવ્યું છે.
કવિ શ્રીની દિવ્ય ચેતનાને વંદન.