ઉમાશંકર જોશી ~ વિશ્વશાંતિ ~ હજી તો * Umashankar Joshi

*વિશ્વશાંતિ*

હજી તો કાલ જામી’તી યુરોપે યાદવાસ્થળી
વર્ષી’તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી!

સંગ્રામની ભીષણ કંદરામાં
કૂદી પડી માનવજાત ઘેલી!
ને આત્મહત્યા કરવા ચડેલી
ઘવાઈ પૂરી રણખેલનામાં!

તપે છે પૃથિવી ત્યારે વર્ષે છે વ્યોમ પાણીડાં;
યુદ્ધે જગ તપ્યું, કાં ના હજીયે વરસ્યા પ્રભુ?

એ યુદ્ધની દારુણ કાળજ્વાળા
યુગો તણી સંપદને પ્રજાળે
નિર્દોષનાંયે રુધિરો વહાવે
દૂધે ભરી સંસ્કૃતિઓ સુકાવે!

સુધાનું – શાંતિવારિનું તમ હસ્તે કમંડલુ
સ્નેહનાં સિંચને, સાધો! રક્ષો પશ્ચિમ પાંગળું.   

ત્યાં શાંતિના સૂર અનેક ઊઠતા,
પુષ્પો નીચે ખડ્ગધારા ઝબૂકે.

રેતી પરે વજ્જરકોટ જૂઠના
ઊડી જાશે સત્યની એક ફૂંકે!

લોહીલીંપેલે આંગણિયે ઊભીને
મંડાણ જોશો યુદ્ધનાં ત્યાં રચાતાં!
ને દેખશો કૈં દૂઝતા ઘા હયાના,
પ્રજાપ્રજાના શોણિતલેખ વાંચશો!

ધનિકો મૂડીને યંત્રે પીસે છે દીન માનવી,
સામ્રાજ્યોનાં મહા યંત્રો પીલે માનવતા અતિ!

આજે જગે એ કરપીણ યંત્રણા કરો,
કરો મંગલ પ્રેમઘોષણા!
ઉદ્ધાર કાજે ઉરની અનૂઠી
આપો, ગુરો, મંગલ પ્રેમબુટ્ટી!

વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી,
જીવશે જે ટકી ર્હેશે પ્રેમને પાવકે જળી.

સંગ્રામની સૌ જડને ઉખેડી
બતાવજો શાંતિની સ્નેહકડી
તપ્યાં ઉરે ચંદનલેપ દેજો
દાઝયાં તણાં આશિષવેણ લેજો!

સંસારે, વનઅંધારે ભૂલ્યાંનાં ભોમિયા બની
પ્રકાશે તેજઅંબારે બતાવો પ્રેમવાટડી   

ખૂલે ન જ્યાં લોચનદ્વાર ઇંદુનાં,
ઊંચાં ઊડે ઉન્મુખ વારિ સિંધુનાં;
સંતો તણી ઊઘડતાં જ આંખડી
ભીંજાય ભાવે જગપ્રાણપાંખડી.

અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી!
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.

જુઓ છો ભાવને સામ્ય રાષ્ટ્રોનો માર્ગ ઐક્યનો,
ગજાવો એ મહા મંત્ર ઊંડો માનવપ્રેમનો.

માનવી માનવી ઉરે એક માનવભાવ છે;
પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.

એક મ્હેકે મઘમઘે બધાયે મનુમંડપો
સુવાસે સર્વ ડોલે છે, ભલે દુર્ગંધ ક્યાંક હો!
બસૂરા તાલ સૃષ્ટિના શમે સૌ પ્રેમગાનમાં,
દુર્ગંધો દમતી ડૂબે મોંઘા આત્મપરાગમાં.

કહે કવિ : માનવતા જીવંત
પ્રાણી પ્રજાઓ સહુ એહ અંગ
ને એક એને ધડકંત ઉર
વહાવતું નિર્મળ પ્રેમપૂર
સૌના હૈયાના ધબકારતા ને
ગાજી રહંતુ સુખશાંતિ ગાને
છૂટાં નથી, એકશરીર આપણે
ખેલંત ભોળાં શિશુ એક આંગણે

તમે એવી મહામોંઘી ઉચ્ચારી પ્રેમની ઋચા,
પસારી સર્વને ઉરે મધુરી જગબંધુતા.
બાંધીને સ્નેહનો સેતુ ભેદસાયર ઉપરે
સાંધો, સાધો! ઉરતંતુ વડે પશ્ચિમપૂર્વને!

તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના,
અહિંસા, સત્ય ને પ્રેમ થોડાં છે કોઈ એકનાં?
સત્ય ને શાંતિ ને પ્રેમ લ્હેરે છે વિશ્વમાત્રમાં,
ને પૃથ્વીને પડે કો દી ઝમે છે યોગ્ય પાત્રમાં.

પૂંજી ન એ કેવળ વર્તમાનની
ત્રિકાળ પાળ વિશાળ ભેદતી
એ તો અન્નતે દિનરાત ઊભરે
અખંડ વ્હેણે અવકાશને ભરે.
આજે ધરાનાં સુખસિંચનાર્થે
એ પ્રેમધારા તમ અંતરે ફૂટી
જીવો તણાં શાશ્વતમંગલાર્થે
વર્ષ્યા કરો એ નિત શાંતિ મૂર્તિ !

ભાવિએ મીટ માંડીને જોઈ તી તમ વાટડી
આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી?

ને રક્તરંગ્યો અતિચંડકાય
સૈકા થકી માનવ ભક્ષતો જે.
ફળેલ દેખી નિજ કર્મને તે
હસી રહ્યો હર્ષથી ભૂતકાળ

હસાવ્યાં ભૂત ને ભાવિ, હસાવો વર્તમાનને
પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને !     

@@

માત્ર વીસ વર્ષની વયે ઉમાશંકર જોશી આપે છે ‘વિશ્વશાંતિ’ કાવ્ય ! અદભૂત અદભૂત !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “ઉમાશંકર જોશી ~ વિશ્વશાંતિ ~ હજી તો * Umashankar Joshi”

  1. વિશ્વ શાંતિ ના ઓલિયા ચાહક એવા આ સુંદર પ્રલંબ કાવ્યના સર્જક કવિ શ્રી ઉમાશંકર જોશી ને સ્મૃતિ વંદન.

Scroll to Top