🥀🥀
દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે
અથવા કોઈ સુખીના નળિયા સુધી જવું છે
સંસારના ભ્રમણની શી છે જરૂર મારે
હું તો પ્રવાસી ઘરનો, ફળિયા સુધી જવું છે
પહોંચીને થડની ટોચે પસ્તાયો છું હું અનહદ
વીતેલ યુગને મળવા મૂળિયાં સુધી જવું છે
એ જન્મટીપનો કેદી પોતે નવલકથા છે
એના હૃદયના બારીક સળિયા સુધી જવું છે
ત્યાં ચેન છે ? મજા છે ? ઉષ્મા છે ? જાણવાને
તારા અકળ નયનના તળિયા સુધી જવું છે
~ એસ. એસ. રાહી (28.12.1952)
🥀🥀
ભીંતમાં રસ્તા નીકળતા હોય છે
આ અવસ્થા કઈ અવસ્થા હોય છે?
ખોટું સાચું કઈ રીતે નક્કી થશે?
સહુને પોતામાં જ શ્રદ્ધા હોય છે.
દોસ્તોમાંથી ઘણું મળશે તને,
દુશ્મનોનાં ઘાવ અમથા હોય છે.
આપણે કયાં કંઈ કરી શકીએ છીએ?
જાતની સામે જ મ્હોરાં હોય છે.
આભ જેવું આભ કાં ઓછું પડે?
પંખીને શેની સમસ્યા હોય છે?
~ એસ. એસ. રાહી (28.12.1952)
🥀🥀
ધારો તો હું ફકીર છું, ધારો તો પીર છું,
બંનેની શક્યતા છે હું એવો અમીર છું.
મારી ત્વચા વડે જ બધું સાંભળું છું હું,
અફવા છે એવી લોકમાં કે હું બધીર છું.
એકાંત કેવું હોય છે પૂછો મને તમે,
હું તો સમયની જેલનો જૂનો અસીર છું.
ધારું તો ફેરવી શકું મારું નસીબ હું,
શોધી શકે ન કોઈ હું એવી લકીર છું.
એમાંથી એકને તમે ચાહી શકો પ્રિયે,
શાયરનું રક્ત છું અને થીજેલું નીર છું.
દેખાય કેમ આંખ કબૂતરની વૃક્ષ પર,
હું તો કમાનમાં જ ફસાયેલું તીર છું.
શતરંજની રમત મને ભારે પડી ગઈ,
જ્યારે કહ્યું મેં એમને કે હું વજીર છું.
~ એસ.એસ.રાહી (28.12.1952)
વાવડનો તાર મળશે મને આજકાલમાં
આવે છે જેમ યક્ષિણી થઇ તું ટપાલમાં.
શીતળ શિશિરની બીક મને ના બતાવ તું
થોડોક તડકો સાચવ્યો છે મેંય શાલમાં.
મારી દીવાનગી વિશે લોકોને અદેખાઇ
ને તુંય કેવું કહી ગઇ મુજને વહાલમાં.
કાળો સમુદ્ર યાદ કરી અશ્રુ ના વહાવ
તેમાં તરી રહ્યો છું હજી પણ હું, હાલમાં.
‘રાહી’ના રોમેરોમમાં વ્યાપેલી હોય તું
હોતી નથી તું જે ક્ષણે મારા ખયાલમાં.
~ એસ. એસ. રાહી (28.12.1952)
🥀જન્મદિનના વંદન અભિનંદન રાહીસાહેબ….🥀
મિત્ર કવિ રાહીને જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન તથા સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ. તેમની કવિતાઓ તથા વ્યકિતત્વ સૌમ્ય સુંદર છે.
જન્મ દિવસની શુભેચ્છા પાઠવું છું.
આદરણીય કવિ ને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ. એમની સાંગોપાંગ ગઝલો માણવા મળી.
હુંતો કમાનમાં ફસાયેલ તીર છું ……ખૂબ ધન્યવાદ