રોકી લે અશ્રુધાર ~ કિસ્મત કુરેશી
રોકી લે અશ્રુધાર, હવે એ નહીં મળે,
આશાનો દીપ ઠાર, હવે એ નહીં મળે.
અંધારે જે ન આવ્યાં, શું આવે ઉજાસમાં ?
ખીલી ગયું સવાર, હવે એ નહીં મળે.
પગલાં ન થાય એનાં કદી પાનખર વિશે,
વીતી ગઈ બહાર, હવે એ નહીં મળે.
મન, એને જીતવાના નકામા છે ઓરતા,
આપી ગયા જે હાર, હવે એ નહીં મળે.
જન્મારાના ફળ્યા ન અજંપા-ઉજાગરા
જંપી જા મારા પ્યાર, હવે એ નહીં મળે.
કિસ્મતને એ જ કહેવાને આવી ચડી કઝા,
જેનો છે ઈંતેઝાર, હવે એ નહીં મળે.
~ કિસ્મત કુરેશી
‘એ નહીં મળે’ એ વાતે મનને દૃઢાવવાનું છે…. ફરી આરત ન જાગે એ સમજાવવાનું છે…..
OP 20.5.22
***
છબીલભાઈ ત્રિવેદી
10-01-2022
આજની કિસ્મત કુરેશી સાહેબ ની ગઝલ ખુબજ ગમી અેકેઅેક શેર ખુબ સરસ કવિ ને અભિનંદન
સાજ મેવાડા
08-01-2022
આ ગઝલની અભિવ્યક્તિમાં પ્યારમાં નિરાશા સાથે એ હકિકતનો સ્વિકાર પણ થયો છે. નિષ્ફળતા મોતનો પણ ઈંતેજાર કરાવે છે.
