🥀 🥀
*અધૂરું કતલખાનું*
એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.
એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.
મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ સાગરમાં ભળી ઊંડાણ જોવાનું હતું.
હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો,
મારા મનથી પાપ મારાં કોણ જોવાનું હતું?
એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !
અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને તો જીવનભર તરસવાનું હતું.
એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’, જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
~ જલન માતરી (1.9.1934 – 25.1.2018)
*****
🥀 🥀
*સાબરમતી નથી*
ઇચ્છાઓ તો ઘણી કરી, એકે ફળી નથી,
જીવે છે તે છતાં બધી, એકે મરી નથી.
આશાને તો નિરાશા કદી ભાવતી નથી,
કડવી છે તેથી તેને કદી ચાખતી નથી.
એમાંથી કઈ રીતે તમો જાણી ગયા પ્રસંગ,
મેં તો કોઈને પણ કથા મારી કહી નથી.
ઉદભવ તમારો મારી સમજ બહાર છે ખુદા,
અસ્તિત્વ પર મેં છતાં શંકા કરી નથી.
રાહ જોઈ, જોઈને ઘણાં સ્વર્ગસ્થ થઈ ગયાં,
સદીઓ વહે છે તોય કયામત થતી નથી.
એના અસલ સ્વરૂપે એ આ રીતે ના વહે,
આ તો ઉછીનું રૂપ છે, સાબરમતી નથી
લાગે છે સ્હેજ એ જ પણ નક્કી ના કહી શકાય,
પહેલા હતા હવે એ ‘જલન માતરી’ નથી.
~ જલન માતરી
*****
*નહીં આવે*
દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે…
છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે…
ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાદર નહીં આવે…
અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે…
દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે…
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે…
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે…
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે…
– ‘જલન’ માતરી (1.9.1934 – 25.1.2018)
*પયગંબરની સહી*
મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ-બેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી
~ જલન માતરી
વાહ વાહ.. ખૂબ સરસ ગઝલો.. અમદાવાદ દૂરદર્શનના ‘ કવિ કહે ‘
કાર્યક્રમમાં જલન સાહેબ સાથે કવિગણમાં સ્થાન મળેલ અને ગઝલ પઠન કરેલ. તેઓની દાદ પણ મળેલ…
તેઓની દિવ્ય ચેતનાને વંદન
સાદર સ્મરણ વંદના..
જલનસાહેબની ગઝલનો મિજાજ અનોખો હોય છે. એક એક શેર ઉપર દાદ મળે એવું બનતું. સલામ.
કવિ શ્રી જલન માતરી ની બંને ગઝલો કાબિલે તારીફ, ઘણા શેર નોંધનીય, quotable છે.
જલન સાહેબ ની બધીજ ગઝલ ખુબ ગમી ખુબ સરસ રૂબરૂ મળવા નો અવસર મળ્યો છે અસ્મીતા પર્વ મા..
સમર્થ કવિની ચિરંજીવ સ્મૃતિઓ
વાહહહહહ… ખૂબ સરસ ગઝલો