નીતા રામૈયા ~ આ રસ્તો * Neeta Ramaiya

*આ રસ્તો*

આ રસ્તો
મને ક્યારેક કઠે છે.
એની પાર જવાને હું મથું છું,
પણ એ મને પલોટે છે, રજોટે છે,
વેરે ને વિખેરે છે.

એની વચ્ચે જઈને માથું ઊંચકી શકાતું નથી.
એમાં હાલ્યાં જતાં
લોકોનાં ધણના ગોવાળિયા થવાતું નથી.
એની બાજુએ વૃક્ષ થઈને ઊગી શકાતું નથી.

અહીં જીવ્યા કરું છું,
પણ હું અહીંનો જીવ નથી.
અહીં જ રોજ રહેવાનું છે,
પણ રહેવાની રીત બદલી શકાતી નથી.

આ રસ્તે
માનવમોજાંની છાલક ઝીલતો
હું ખડક છું ખડક:
મારી જીભે ખારો સ્વાદ છે,
અને છતાં દિલમાં ઘૂઘવે છે
સાત સમંદર પાર જવાની અવિરત રટણા.

~ નીતા રામૈયા

‘હોવા’ની પીડા. શ્વાસ ચાલે છે એટલે આગળ જવું અનિવાર્ય, પણ આ રસ્તો ?? એના નડવાની ક્રિયા જીવન માટે કેવી પીડાદાયી છે એ વર્ણવવાનો સંતોષ થઈ શકે એ માટે કવિએ ચાર ક્રિયાઓ અહીં સહજ રીતે નિરૂપી દીધી. પલોટવું, રજોટાવું, વેરવું ને વિખેરવું… પણ ના તોય વાત અધૂરી છે. એ રસ્તે જતાં, ‘આમ થઈ શકતું નથી, તેમ થઈ શકતું નથી’ ને તોય જીવવું પડે છે એ દુર્ભાગ્ય ! આ દુનિયામાં જીવવાનું છે પણ આમ જ રહેવું પડશે એ નિયતિ ! અને છતાંય પોતાના ‘હોવા’નો અર્થ શોધવાની અવિરત રટણા તો ચાલુ જ….. જીવમાત્રની આ વાત !  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “નીતા રામૈયા ~ આ રસ્તો * Neeta Ramaiya”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અસ્તિત્વવાદના વિચારને કવિતામાં કુશલતાથી,સરસ રીતે રજૂ કરાયો.

  2. Jyoti hirani

    ખુબ ઊંડાણ ભરેલું વાસ્તવ વાદી કાવ્ય.

  3. Pingback: 🍀5 જુલાઇ અંક 3-1203🍀 - Kavyavishva.com

  4. મનોહર ત્રિવેદી

    નીતા રામાણીના અછાંદસ કાવ્યની લઘુ સમીક્ષા ખૂબ ગમી. મનુષ્યનિયતિને યથાર્થ રીતે મૂકી આપી. અભિનંદન, લતાબહેન.

  5. Kirtichandra Shah

    Whatever is said above about this poem is most right I cannot add anything worthwhile. Dhanyvad

Scroll to Top