પાગલ છું હું
લખવા જેવું કાંઈ નથી ને તોય લખું છું – પાગલ છું હું
કહેવા જેવું કાંઈ નથી ને તોય કહું છું – પાગલ છું હું.
ભીડની વચ્ચે જન્મેલો છું, ભીડ મને ભીંસે છે કાયમ,
ખસવા જેવું કાંઈ નથી ને તોય ખસું છું – પાગલ છું હું.
ચારે કોર પડ્યા છે પથ્થર, ચકમકનો આભાસ ધરીને,
ઘસવા જેવું કાંઈ નથી ને તોય ઘસું છું – પાગલ છું હું.
સાચા-ખોટા, અસલી-નકલી, બંધન તોડી મુક્ત થવાને,
મથવા જેવું કાંઈ નથી ને તોય મથું છું – પાગલ છું હું.
ફેલાઈ છે ગંધ હવામાં, મરતા માણસનાં મડદાંની,
શ્વસવા જેવું કાંઈ નથી ને તોય શ્વસું છું – પાગલ છું હું.
આમ જુઓ તો ભીડ શહેરમાં, આમ જુઓ તો ખાલીખમ છે,
વસવા જેવું કાંઈ નથી ને તોય વસું છું – પાગલ છું હું.
~ પરાજિત ડાભી
કવિને જન્મદિને સ્મૃતિવંદના
અવતાર પણ લેતો નથી
આર પણ લેતો નથી કે પાર પણ લેતો નથી,
તું હવે જગની કશી દરકાર પણ લેતો નથી.
સંભવામી…નું વચન આપ્યું અમોને તે છતાં,
આ ધરા પર કેમ તું અવતાર પણ લેતો નથી ?
રૂપ પથ્થરનું ધરી ચૂપચાપ જોયા કર હવે,
મંદિરોમાં દૂધથી તું દેહ ધોયા કર હવે.
માણસો તો માણસાઈથી હવે નાસી રહ્યા,
તું બધી શ્રદ્ધા અને વિશ્વાસ ખોયા કર હવે.
અસ્મતો લૂંટી રહ્યા જે ધર્મનાં નેજા તળે,
એમને સંહારવા હથિયાર પણ લેતો નથી.
આગ લાગી ચોતરફએ ઠારવી સહેલી નથી,
આજ દુનિયા સ્વર્ગ જેવી ધારવી સહેલી નથી.
માણસો ટોળું બનીને ભીડમાં ભટકી ગયા,
ભીડને સમજાવવી કે વારવી સહેલી નથી.
વહાણને મઝધારમાં ડૂબાડતો પણ તું નથી,
કે કિનારે લઈ જવા પતવાર પણ લેતો નથી.
પથ્થરોમાંથી નવો આકાર પણ લેતો નથી,
તેં રચેલા ધર્મનો આધાર પણ લેતો નથી.
સંભવામી..નું વચન આપ્યું અમોને તે છતાં,
આ ધરા પર કેમ તું અવતાર પણ લેતો નથી.
~ પરાજિત ડાભી

બન્ને ગઝલ ખુબ સરસ અભિનંદન કાવ્ય વિશ્વ