રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
બાકી રાખી દીધું વરસવાનું,
એણે ને હું ભીનો થયો જ નહીં !
એક પથ્થરને મેં તરાસ્યો બહુ,
પણ કદી એ હીરો થયો જ નહીં !
કાગડા હોય છે બધે કાળાં,
કંઈ અનુભવ બીજો થયો જ નહીં !
માત્ર મારા જ માપમાં છું હું,
સહેજ ઊંચો, નીચો થયો જ નહીં !
ક્યાંક આગળ હતો હું રસ્તા પર,
એથી એનો પીછો થયો જ નહીં !
સૂર્ય કિરણોની જેમ ચાલું છું,
કોઈ રસ્તો સીધો થયો જ નહીં !
~ ભરત વિંઝુડા
‘કાગડા બધે કાળા’ એ જાણીતી ઉક્તિ છે, એનો ગઝલમાં કેવો મજાનો પ્રયોગ ! સૂર્ય કિરણોની જેમ ચાલવાની વાત કવિ જ કરી શકે.
કવિ ભરત વિંઝુડાના ગઝલસંગ્રહ ‘તો અને તો જ’ સાથે ‘કાવ્યવિશ્વ’માં કવિનું સ્વાગત છે.
22.7.21
Varij Luhar
24-07-2021
કવિશ્રી ભરત વિંઝુડા ની કોઈ પણ ગઝલ વાચીએ તો તે ગમે જ છે મને
