ઓ લ્હેરખી !
ઓ લ્હેરખી !
ન્હોતું કશું ને અલી! ઊઠી તું ક્યાંથી,
પોઢી ગયેલ મારા સોણલાં જગાડતી !
મેં તો અભાગણીએ જાણ્યું: કે માણ્યું-ના માણ્યું,
એ સર્વ ગયું ચાલ્યું
રે દૂર દૂર દૂર પેલાં ઝાંઝવાંની સંગ ત્યાં,
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી ?…. ઓ લ્હેરખી!
તારે ઘડીક આમ અમથું આ લ્હેકવું;
માનવના હૈયાને અણદીઠું દેખવું!
દેખવું ને ઝંખવું ને ઝૂરવું સદાય, ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?…… ઓ લ્હેરખી!
હૈયાનાં આભ ભરી જાગ્યો વિજોગ આ!
આવડીક જિંદગીમાં આવી શી વેદના!
મનમાં ન માય કે ન હોઠે કહેવાય,ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?…. ઓ લ્હેરખી!
~ મનસુખલાલ ઝવેરી
કવિની પૂણ્યતિથિએ વંદન
થતું કુસુમને
થતું કુસુમને ” “ધરું કવણને હું આ પાંખડી?”
– ધરાહૃદયમાં ચિરં સમય બીજરૂપે રહી,
નસેનસ મહીં રસો વસુમતી તણા સંગ્રહી,
અનન્ત સ્વપ્નો તણી મૃદુલ સૃષ્ટિને સર્જતી,
થઈ પ્રકટ એકદા, પ્રથમ વાર જ્યાં પાંખડી,
થતું કુસુમ મુગ્ધને : “બહવું ક્યાં કલા આત્મની ?”
“ચડી શિવશિરે કૃતાર્થ બનું સીકરે ગંગના ?
સુણું હું અથવા કથા ઉર તણી નવોઢા તણાં,
રહી, ધડકતાં નવા અનુભવેથી હૈયાં પરે ?
રમું સરળ હાથમાં શિશુ તણા હું નિષ્પાપ વા
રહી અહીં જ, માતની સરસ નીલ સાડી મહીં
બની રહું હું ફૂલડું, ઈતર પુષ્પની સાથમાં ?”
ત્યાં તો સ્પર્શ્યે અધર અલિનો, ચિત્તના તારતારે
રહેતાં ગુંજી રવ મધુર, શી ધન્યતા મૌગ્ધ્ય ધારે !
~ મનસુખલાલ ઝવેરી
કવિની પૂણ્યતિથિએ વંદન
કવિ શ્રી ની ઉમદા રચનાઓ ખુબ ગમી વંદન
લ્હેરખીને સંબોધીને રચાયેલું કાવ્ય,અને કુસુમના મનની વાત સરસ રીતે કહેવાઈ છે. વંદન.