હોય છે
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.
ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.
દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.
કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
~ મરીઝ
કવિની પૂણ્યસ્મૃતિએ વંદના
ન દે
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.
છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.
મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે.
તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.
એના ઈશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.
એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગોને જે મારું મુકદર થવા ન દે.
એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.
આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખ્યાલો થવા ન દે.
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માંગવા ન દે.
~ મરીઝ

બંને ગઝલોના શેર એટલા સચોટ, સત્ય સાથે વણાયેલા છે કે વાહ, વાહ, સાથે ઝૂમી ઊઠીયે.
બન્ને રચનાઓ ખુબ માણવા લાયક ખુબ ગમી