
🥀 🥀
*બહાર આવ*
જીતનો પ્રપંચ છોડી હારમાંથી બહાર આવ;
તું પ્રથમ તલવાર જેવી ધારમાંથી બહાર આવ.
મૂઢ મતિ, તું ક્યાં લડે છે કોઈ સામે અહીં હજી,
યુદ્ધ કર કાં યુદ્ધના પડકારમાંથી બહાર આવ.
એક પળને છે હજારો જીભ જાણે રાક્ષસી,
ભય બધો ખંખેર ને ફુત્કારમાંથી બહાર આવ.
કોઈ પડછાયો પડ્યો ને મોરપીંછું થઈ ગયો,
વન ભૂલી જા, વાદળી અવતારમાંથી બહાર આવ.
સૌમ્ય શીતળ આ હવામાં ક્યાંક પંખીઓ ઊડે,
આ સખત તારાં ભીડેલાં દ્વારમાંથી બહાર આવ.
ઊંચકી લે સ્કંધ પર બાળક સમો તડકો તરલ,
ને ઉંમરના સૌ જરઠ અધિકારમાંથી બહાર આવ.
તું કમળ મધ્યે રહીને ભેદ ક્યાં પામી શક્યો?
આ મુલાયમ રેશમી અંધારમાંથી બહાર આવ.
ક્યાં રહ્યો છે લાકડીમાં કોઈ જાદુ પણ હવે,
દેવદૂતોના એ કારાગારમાંથી બહાર આવ.
~ મહેન્દ્ર જોશી (28.9.1951)
‘બહાર આવ’ રદ્દીફ એક પડકાર અનુભવાય અને એ જ ગઝલનો મિજાજ છે. અને પડકાર મોટેભાગે લડવા માટે હોય, કશુંક કરવા માટે હોય. પણ અહીં ક્યાંક કશુંક નરમ નરમ, કૂણું કૂણું અનુભવાય છે. ઉંમરની જડતાને છોડી બાળક જેવા તરલ તડકાને સ્પર્શવાની વાત છે. જાતે સ્વીકારેલી કેદમાંથી સૌમ્ય શીતળ હવામાં ઊડતાં પંખીઓને નીરખવાની વાત છે. અને મન સાચી જ હળવું થઈને ઉડવા માંડે છે…. કવિએ વાસ્તવિકતા પણ ચીંધી છે. જાદુનો સમય હવે નથી રહ્યો અને અંધશ્રદ્ધા છોડવાની છે. કવિની કલમે ઘણું ઘણું આવરી લીધું છે.
🥀 🥀
હું તો માછલીની આંખોમાં ખરતાં રે આંસુનું ખારું તે ઝાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.
મોતીની જેમ જરા સાચવીએ છીપમાં પરપોટા જેવી આ જાતને,
સૂરજનું કાળઝાળ બળવું તો ઠીક હવે જોવી છે ઘેરાતી રાતને.
અમથાં રે મોજાંના ભણકારા સાંભળી વાસેલું દ્વાર શે ઉઘાડવું?
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.
જળમાં ભીંજાઉં તો જળમાંથી કેમ હવે અળગી થઈ જાય છે ભીનાશ રે?
આંખોને શાપ કૈં એવા રે લાગતા કે ઝાડમાંથી જાય છે લીલાશ રે!
ભૂલા પડેલ કોઈ પંખીને કેમ હવે આંસુનું વન આ ચીંધાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.
~ મહેન્દ્ર જોશી (28.9.1951)
આ ગીતને સમજવા બેસવા કરતાં એના ભાવવિશ્વમાં વિહરવાનું બહુ સુખદાયી લાગે છે. ક્યારેક કોઈક ક્ષણોએ અનુભવાયેલી કવિની અનુભૂતિ ભાવકને પોતાની સાથે ધસમસ તાણી જાય છે. ખરું ને?
🥀 🥀
*મનને તું પાછું વાળી લે*
જળથળમાં માયાનગરી છે મનને તું પાછું વાળી લે,
એ મોહમયી પણ મગરી છે મનને તું પાછું વાળી લે.
ખોલ નહીં એવા કાગળને જેના સરનામે તાળું છે,
પીડાની અંગત વખરી છે મનને તું પાછું વાળી લે.
કોણ પવનને અંધ કરે છે કોણ લખે છે ગંગાલહરી,
આ વાત સમજવી અઘરી છે મનને તું પાછું વાળી લે.
લાગે છે કે દુ:ખનો સૂરજ મૂશળધારે વરસી પડશે,
અહીં સહુની માથે છતરી છે મનને તું પાછું વાળી લે.
ઊંચા સાદે બોલું છું તો ધ્રુજે છે આ ઘરની ભીંતો,
મૂંગા ઘરમાં રજ નકરી છે મનને તું પાછું વાળી લે.
વર્ષો બાદ તને ભેટ્યાની ઘટના સોનેરી નળિયાં છે,
ગાંઠે તાંદુલની ગઠરી છે મનને તું પાછું વાળી લે.
મનમંડપમાં ચંદ્ર ઊગ્યો ને તનસમદરમાં લોઢ ઉછળ્યા,
ગત જન્મોની ગત વકરી છે મનને તું પાછું વાળી લે.
~ મહેન્દ્ર જોશી (28.9.1951)
ક્યાંક નિરાશા છે, ક્યાંક પીડાની પળો છે અને સંવેદનશીલ હૃદય માટે એને જીરવવું અઘરું છે…. હા જીવ, મનને તું પાછું વાળી લે…..
આ કલ્પન ‘લાગે છે કે દુ:ખનો સૂરજ મૂશળધારે વરસી પડશે, અહીં સહુની માથે છતરી છે મનને તું પાછું વાળી લે.’ સલામ માંગી લે છે!!! સમ્મત છો ને!
કવિને જન્મ દિવસની શુભેચ્છા પાઠવું છું.
ખૂબ જ સરસ ત્રણે ય રચનાઓ. આપની આસ્વાદીક નોંધ પણ ખૂબ સરસ.
ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
વાહ 👌👌👌