
🥀 🥀
યુગપ્રવર્તક નર્મદ
અર્વાચીનોની યુગમૂર્તિ સમા ગુજરાતી સાહિત્યસર્જક. જન્મ વૈદિક નાગર બ્રાહ્મણ પરિવારમાં. પિતા લહિયા. પિતા ધંધાર્થે મુંબઈ રહેતા હોઈ નર્મદની બાલ્યાવસ્થા મુંબઈમાં.
1853માં પત્ની નાનીગૌરીનું અવસાન. 1854માં પુન: મુંબઈ જઈ અભ્યાસમાં ચિત્ત પરોવવા પ્રયાસ કર્યો. કવિતા પ્રત્યે આકર્ષણ. વડર્ઝવર્થની પ્રકૃતિકવિતાનો પ્રભાવ. તેવીસમી વર્ષગાંઠથી કાવ્યલેખનની શરૂઆત. 1856માં કૉલેજનો અભ્યાસ અધૂરો છોડી ડાહીગૌરી સાથે લગ્ન કર્યું. 1858ની 23 નવેમ્બરે નર્મદે શિક્ષકની નોકરી છોડી હંમેશ માટે નોકરી ન કરવાની અને કલમને ખોળે રહીને જીવવાની પ્રતિજ્ઞા લીધી. અનેક સંકટો વચ્ચે ઝઝૂમી નર્મદે સાહિત્યોપાસના અને સમાજસુધારા પાછળ જીવન સમર્પિત કર્યું. 1864માં ‘ડાંડિયો’ પખવાડિકનો પ્રારંભ કર્યો. સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે નર્મદનું વિચારપરિવર્તન થયું. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને તેણે સ્વધર્મ માન્યો. 1876માં કવિએ મુંબઈ જઈ નાટકો લખવાનું કામ શરૂ કર્યું. 1882માં પ્રતિજ્ઞા છોડી ગોકળદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રી તરીકે નોકરી કમને સ્વીકારી. કાઠિયાવાડ ગૅઝેટિયરના ભાષાંતરનું કામ સ્વીકાર્યું. આઠ મહિનાની માંદગી બાદ 53 વર્ષની વયે અવસાન.
નર્મદના જીવનઘડતરમાં મુખ્ય પરિબળો આટલાં હતાં : પિતા, અંગ્રેજી કેળવણી, ધીરાનાં પદ અને તેનો જમાનો. ગુજરાતી સાહિત્યમાં રીતસરનો અર્વાચીન યુગનો આરંભ નર્મદથી થાય છે. મધ્યકાળના મુખ્યત્વે ધર્મપરાયણ સાહિત્યને સંસારાભિમુખ કરવાનો નર્મદનો પુરુષાર્થ ઉલ્લેખનીય છે. સાહિત્યસમજ અને સાહિત્ય-વિષયમાં આમૂલ પરિવર્તન લાવી વિવિધ ગદ્ય-પદ્ય સ્વરૂપોમાં એણે કરેલી પહેલને લીધે એને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહેવામાં આવ્યો છે.
ત્રણ દાયકાના કાવ્યલેખન દરમિયાન નર્મદ વાસ્તવમાં માત્ર અગિયાર વર્ષ જેટલો સમય કવિતાને આપી શક્યો છે. પણ તેના જીવનની મહત્ત્વની ઘટનાઓ અને વિચારણાઓનું પ્રતિબિંબ એની કવિતામાં પારદર્શી રીતે ઝિલાયું છે. સંસારસુધારો, પ્રીતિ-મૈત્રી, સ્વદેશાભિમાન, સત્ય-ન્યાય અને શૌર્યનો લાગણીમય આલેખ એની કવિતામાં સુરેખ રીતે અંકિત થયો છે. ‘નર્મકવિતા’ : 1–3 (1858), ‘નર્મકવિતા’ : 4–8 (1859) ને ‘નર્મકવિતા’ : 9–10 (1860) ની બધી રચનાઓનો સંચય ‘નર્મકવિતા’ પુસ્તક 1 (1862)માં થયો છે. ઉપરાંત ‘નર્મકવિતા’ પુસ્તક 2 (1863) અને અંતે ‘નર્મકવિતા’(1864)માં નર્મદની તમામ પદ્યરચનાઓ સંગૃહીત થઈ છે.
નર્મદની કવિતા વિષયની દૃષ્ટિએ મધ્યકાળની કવિતાથી જુદી પડે છે. અર્વાચીન અંગ્રેજી શિક્ષણને પરિણામે નર્મદની કવિતા માત્ર ભક્તિ-વૈરાગ્ય જેવા વિષયોમાં સીમિત ન રહેતાં સમાજસુધારો, પ્રકૃતિ, પ્રેમ, સ્વદેશાભિમાન, વ્યક્તિગત લાગણીમાં વિહાર કરે છે. ‘લાગણી’, ‘જોસ્સો’, ‘દેશાભિમાન’ વગેરે શબ્દોનો પરિચય તે પહેલી વાર કરાવે છે. ‘પ્રેમ-શૌર્ય’ જાણે નર્મદનો મુદ્રાલેખ હતો.
પ્રીતિવિષયક રચનાઓમાં નર્મદ નવી કેડી પાડે છે. આ કવિતામાં વેદના અને વલોપાત ભિન્ન ભિન્ન રીતે ઝિલાયાં છે. કૃષ્ણનાં રૂસણાં ઉપરાંત ‘શા હતા આપણા બહાર’, ‘સલામ રે દિલદાર’, ‘પ્રભુ નિત પાજે પ્રીતડી’, ‘હૈડું હારે તે ફરી ના જીતે રે’, ‘કુમુદચંદ્ર પ્રેમપત્રિકા’, ‘રસની સવારી’ જેવાં પ્રણયકાવ્યો આસ્વાદ્ય બન્યાં છે.
સ્વતંત્ર વિષય તરીકે પ્રકૃતિને કવિતામાં નિરૂપવાનો યશ નર્મદને ફાળે જાય છે. ‘મોગરો’, ‘કબીરવડ’ અને ‘નાહોલિયાને આજીજી’ જેવી રચનાઓમાં સરળ, મધુર વર્ણનછટાની અનુભૂતિ થાય છે.
પ્રકૃતિ અને પ્રણયનો કેફ માણનાર નર્મદની સમાજહિત, દેશદાઝ અને સ્વતંત્રતાને કાવ્યમાં પ્રસ્તુત કરવાની હોંશ અપૂર્વ છે. સમાજની અવદશાના અનુભવે જન્મેલા શોકની લાગણી બે દીર્ઘકાવ્યો – ‘હિંદુઓની પડતી’ અને ‘વીરસિંહ’માં દૃષ્ટિગોચર થાય છે. ગુજરાતપ્રેમને પ્રગટ કરતું ‘જય જય ગરવી ગુજરાત’ અને અંગત ઊર્મિઓને સંયમિત સૂરમાં વ્યક્ત કરતું ‘અવસાનસંદેશ’ પણ ઉલ્લેખનીય છે.
વિષયોનું વર્તુળ મોટું કરનાર નર્મદ પરલક્ષી ઢબે રચાતી ગુજરાતી કવિતાને આત્મલક્ષી વળાંક આપે છે. ‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ દ્વારા તે મહાકાવ્ય રચવાનો પ્રયત્ન કરે છે અને મહાકાવ્યને માટે અનુરૂપ ‘વીરવૃત્ત’ નામક નવા છંદનો પ્રયોગ પણ કરે છે.
કવિતા અંગેની નર્મદની વિભાવના મુખ્યત્વે અંગ્રેજી કવિતા અને વિવેચનાના અભ્યાસથી ઘડાયેલી છે. દલપતરામ કરતાં નર્મદની કાવ્યસમજ પ્રગતિશીલ અને સાચી દિશાની હતી, પણ કાચીપાકી હતી; તેમ છતાં વિષય, સ્વરૂપ, ભાવ, ભાષા, છંદ-અલંકાર, અભિવ્યક્તિ વગેરે દિશામાં નર્મદ ઘણું મૂલ્યવાન નવપ્રસ્થાન કરે છે.
ગુજરાતી કવિતાને નવી દિશામાં વાળનાર નર્મદ દ્વારા જ ગુજરાતી ગદ્યનું ખરું ખેડાણ પણ થાય છે. ‘મંડળી મળવાથી થતા લાભ’ નામે વિદ્યાર્થી અવસ્થામાં જ તેણે નિબંધલેખન (વ્યાખ્યાનસ્વરૂપે) કરીને ગદ્યલેખનનો પ્રારંભ કર્યો હતો. એ પછી લગભગ સાડા ત્રણ દાયકા સુધી નર્મદ વિવિધ સ્વરૂપો મારફતે ગદ્યનું ખેડાણ કરે છે. નિબંધ ઉપરાંત આત્મચરિત્ર, જીવનચરિત્ર, નાટક, વિવેચન, ઇતિહાસ, પત્રકારત્વ વગેરે સ્વરૂપોમાં તે નોંધપાત્ર પ્રદાન કરે છે.
ગદ્યક્ષેત્રે નર્મદની મોટી સિદ્ધિ નિબંધકાર તરીકેની છે. મૅકૉલે, એડિસન, બેકન જેવા લેખકોના નિબંધવાચનથી પ્રેરાઈને નર્મદે અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ કર્યો. આ નિબંધોમાં નર્મદે પોતાના સમયના અનેક પ્રશ્નોને આલેખી પ્રજા સમક્ષ મૂક્યા છે.
વિવેચન દ્વારા ટીકા કરવી જોઈએ એમ માનતા નર્મદનું વિવેચનકાર્ય મુખ્યત્વે સાહિત્યપ્રકારવિચારણા, પુરોગામી કવિઓનું મૂલ્યાંકન અને સમકાલીન લેખકો વિશેના પ્રતિભાવો પૂરતું મર્યાદિત છે. તેના કાવ્યવિચારમાં – તર્ક (fancy), ચિત્ર પાડવાની શક્તિ (imagination) અને જોસ્સો (passion) અંગ્રેજી સાહિત્યવિવેચનના સંપર્કથી પ્રવેશે છે તો વિવિધ રસ અને પ્રયોજનોના ખ્યાલો ભારતીય કાવ્યાચાર્યોના અભ્યાસથી પ્રવેશે છે. કવિતાની વિવિધ જાતિઓ વિશેની એની ચર્ચા અને વિવેચનની પરિભાષા નિર્માણ કરવા માટેની એની મથામણ યાદગાર બની રહે છે. સાહિત્યવિષયક લખાણમાં નર્મદનું ગદ્ય અત્યંત સરળ અને અર્થવાહી છે.
નર્મદે 1866માં લખેલ, પણ શતાબ્દી પ્રસંગે પ્રગટ થયેલ ‘મારી હકીકત’ (1934) ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે. એમાં એણે પોતાના જન્મથી શરૂ કરી ઉછેર, અભ્યાસ, ઘડતરકાળ વગેરે બહેલાવીને પ્રસ્તુત કર્યાં છે. દાદા અને પિતાનાં વ્યક્તિચિત્રો, સૂરતમાં લાગેલી આગ જેવી મહત્ત્વપૂર્ણ ઘટના, પોતાના અંગત જીવનના પ્રસંગો વગરેને તે સુપેરે આલેખે છે. આ આત્મકથાનો પહેલો ગુણ છે નિખાલસ આત્મપૃથક્કરણનો. લેખકે નિર્ભીક સત્યકથનનો માર્ગ અપનાવ્યો છે. કેટલીક કલાગત મર્યાદાઓ બાદ કરતાં આત્મકથાલેખનનો આ પ્રથમ સન્નિષ્ઠ પ્રયાસ મહદંશે સફળ રહ્યો છે.
સુધારકયુગના આ અગ્રણી સાહિત્યકારને ‘સમયમૂર્તિ’ તરીકે ઓળખવામાં આવ્યો છે. સાહિત્યને સાધન બનાવી તે સમાજમાં વૈચારિક આંદોલન પ્રગટાવે છે અને ગુજરાતી સાહિત્યના સમગ્ર બાહ્ય કલેવરને તથા અંત:તત્વને ધરમૂળથી પલટી નાખે છે. એક સર્જક તરીકે કેટલીક મર્યાદાઓ હોવા છતાં તેણે એકલે હાથે કરેલાં નવપ્રસ્થાનો પર દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે તે આપણને ‘પ્રાણવંતો પૂર્વજ’ લાગે છે. તેને ‘યુગંધર’, ‘યુગપ્રવર્તક’ અને ‘યુગદ્રષ્ટા’ પણ કહ્યો છે.
નર્મદ
જીવન : 24.8.1833 સુરત – 25.2.1886 મુંબઈ
જીવનસાથી : નાનીગૌરી અને ડાહીગૌરી
પ્રસાદ બ્રહ્મભટ્ટ
સૌજન્ય : ગુજરાતી વિશ્વકોશ (ટૂંકાવીને)
ખૂબ સરસ માહિતી લેખ. વંદન.
અભ્યાસુ માટે ઉપયોગી લેખ.
ખુબ સરસ માહિતીસભર લેખ અભિનંદન કાવ્ય વિશ્વ