રવિગાન

પાત્રમાંનું પાણી ચળકતું હોય છે ; સાગરના જળ શ્યામવરણાં હોય છે.

નાના સત્યની વાણી સ્પષ્ટ હોય છે ; મહાન સત્યનું મૌન મહાન હોય છે.

**

જે કાંઇ અલ્પ છે તે હું મારા પ્રિયજનો કાજે મૂકતો જાઉં છું – જે મોટું છે તે તો સૌ કોઈ માટે છે.

**

ધરતીની અંદર મૂળિયાં ડાળીઓને ફળવંતી બનાવવા માટે કોઈ બદલો માંગતા નથી.

**

‘તને જોઈને મને મારા ખાલીપાની શરમ આવે છે’ વાણીએ કુરૂચિને કહ્યું. ‘તને જોઉં છું ત્યારે’ કુરુચીએ ઉત્તર વાળ્યો ; ‘મને મારા દારિદ્રયનો ખ્યાલ આવે છે.’ 

**

પેલા બધા તારાઓમાંથી એકાદ તો અંધકારમય અજ્ઞાનમાં થઈને મારા જીવનને દોરી જનારો હશે જ.

**

સ્પર્શીને તો તમે તેને મારી નાખશો, સ્પર્શ્યા વિના કદાચ પામશો.

**

પોતાના નવલખ તારલા જેણે ખોયેલા છે તેવા પ્રભાતની સન્મુખ, પોતે ગુમાવેલાં ઝાકળ બિંદુ કાજે ફૂલ કલ્પાંત કરે છે.

**

જીવનનાં નર્યા ધુમ્મસો અને ધુમાડાઓને આપણી કામના મેઘધનુષના રંગો વડે સજાવે છે.

**

પોતાનાં જ ખીલવેલા પુષ્પોને માનવી પાસેથી ઉપહાર રૂપે પાછાં પ્રાપ્ત કરવાની ઈશ્વર રાહ જોતો રહે છે.

સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ 

14.3.21

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top