રાજેન્દ્રસિંહ જાડેજા ~ સાંજ પડે

🥀 🥀

સાંજ પડે ને ઠાકર મંદિરમાં રણઝણતી ઝાલર, એવું;
અધખૂલી આંખોમાં આજે મૌન ઘૂઘવતું થઈ પારેવું.

સ્હેજ તરંગિત થતાં પવનથી તેજ અને છાયાઓ વચ્ચે,
શિરીષઘટામાં પીળક—યુગ્મનું ટહુકાઓ થઈ રમતાં રહેવું.

એકલતાની ક્ષણો ક્ષિતિજથી ક્ષિતિજ સુધી વ્યાપે તે પહેલ,
ઊડી જતાં યાયાવર સાથે છાયા થઈ સરવરનું વહેવું.

વાદળમાં વિસ્તરતી વ્યાકુળ પાંખોનો કલરવ વીસરાતાં,
વલય-ગતિ ખરતાં પીછાંને નામ સ્મરણનું આપી દેવું.

હિમ સમા અસ્તિત્વો વચ્ચે ઓગળવાના ઋતુને સમજી
નીરવતાના ગળતા લયમાં સત્ય શબ્દનું પામી લેવું.

~ રાજેન્દ્રસિંહ જાડેજા (3.1.1953)

કાવ્યસંગ્રહ ‘શ્યામલી’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “રાજેન્દ્રસિંહ જાડેજા ~ સાંજ પડે”

  1. ઉમેશ જોષી

    સકળ શે’ર મર્મજ્ઞ અને હ્રદયગમ્ય છે..

Scroll to Top