
🥀🥀
પોતાનો ‘અવાજ’
સાંપ્રત ગુજરાતી સાહિત્યમાં અગ્રણી લેખિકાઓમાં હક્કપૂર્વક સ્થાન લઈ શકે તેવું નામ છે બહુઆયામી પ્રતિભા ધરાવનાર લતા હિરાણીનું. કવિતા, વાર્તા, બાળસાહિત્ય, વિવેચન વગેરે વિધાઓમાં તેમનું નોંધપાત્ર અર્પણ રહ્યું છે. પત્રકારત્વ અને ડિજિટલ જગત સાથે પણ તેમની સક્રિયતા રહી છે સાથે સાહિત્ય અકાદમી, ગાંધીનગર; વિશ્વકોશ ટ્રસ્ટ; સાહિત્ય પરિષદ વગેરે સાહિત્યિક સંસ્થાઓ સાથે પણ તેમનો ઉત્સાહજનક સંબંધ રહ્યો છે. એક રીતે ઊહાપોહ વિનાનો ઊહાપોહ તેઓ લેખન વડે જગવી રહ્યાં છે. આ બધું ગુજરાતી ભાષા પરત્વેનો તેમનો ઊંડો પ્રેમ સૂચવી રહે છે.
તેમનાં આ એકાવન કાવ્યોમાં એક ભાવક તરીકે લટાર મારવાનું બન્યું, ત્યારે એક બીજો તાર પણ પકડી શક્યો. અન્યત્ર તેઓ લેખનમાં Popular Lateratureનાં માહેર લાગે, પણ તેમની સર્જકતા એવી સીમાને ઓળંગીને પ્રબુદ્ધ કાવ્યભોગીઓ માટે પણ આનંદરૂપા કવિતા સર્જી શકે છે. તેમણે ‘અછાંદસ” એવું સૂચવ્યું હોય તોપણ એ કાવ્યો છાંદસ-અછાંદસની પળોજણથી બહાર જઈ કાવ્યત્વ સંસિદ્ધ કરી રહે છે તે તેના પ્રથમ વાચને જ સુજ્ઞ ભાવકને પ્રતીતિ કરાવી રહે છે. ગઝલ—ગીતથી ઊફરાં જઈ પોતાની અંદરનું પ્રેરણાવિશ્વ અહીં તેમણે અવતાર્યું છે. લોરેન્સ બિનિયનનું સ્મરણ થઈ રહે એ રીતે તેણે અછાંદસ લખનાર પાસે પ્રબળ પ્રેરણાની અપેક્ષા રાખી છે.
લતા હિરાણીનાં આ કાવ્યો એવી અંદરની ગડમથલ છે, અંદરનું ખનન છે. તેમનો શબ્દ તેથી ઉપરના સ્તરને ભેદીને તાજગીભર્યા કલ્પન-પ્રતીકો વડે સંક્ષિપ્ત ફલક પર ઘણુંબધું સંકેતી રહે છે. અહીં પ્રાત:કાળના શબ્દચિત્રમાં સન્નાટાનું સરોવર છે, નખનું વધવું ને પોતાના ભણી વળવું – એમ માનવ વિશેની પશુતાનો સંકેત છે, શહેરી અને ગ્રામજીવનની સંવેદનાઓ વચ્ચેનો સંઘર્ષ છે. ખુદના સૂરજની ઓળખ છે. આલ્ઝાઇમરગ્રસ્ત મા વિશે ત્રણે કાવ્યોમાં વેદનાનું ડૂસકું છે, તો ગૃહજીવનની બદલાયેલી પરિસ્થિતિ અને તેની વ્યથાનો હીંચકો પણ પ્રતીક બનીને આવે છે. અહીં ન્યાલ કરી મૂકે તેવાં થોડાંક પ્રકૃતિકાવ્યો પણ આ સાચકલી પ્રવાસિની પાસેથી મળી રહે છે. વૃક્ષો, શિખરો, ખીણો, આકાશ, નદી – એવું કેટકેટલું મનભરી રહે એ રીતે આવ્યું છે ! અને હા, એવી પ્રકૃતિ—પર્યાવરણની આ કવયિત્રીને ચિંતા પણ છે. પ્રવાસપ્રિય કવયિત્રીનો ઘેર આવીને કરાતો પ્રશ્ન—પ્રાપ્તવ્યનો પ્રશ્ન પણ ધારદાર અભિવ્યક્તિ સાથે આવ્યો છે. ‘સમય’ વિશેનાં કાવ્યો અહીં વિશેષરૂપે નોંધ લેવી પડે તેવી સંબદ્ધતા દાખવે છે. આ સંગ્રહનાં કાવ્યો વાંચતાં મને સિલ્વિયા પ્લાથ અને એમિલિ ડિકિન્સન એકથી વધુ વાર સ્મરણમાં આવ્યાં, કદાચ એ બંનેને પોતાનો એક ‘અવાજ’ છે. આ કવયિત્રીને પણ પોતાનો ‘અવાજ’ છે… એવો અવાજ આ કવિતાનું ઘરેણું છે.
~ પ્રવીણ દરજી
🥀🥀
સમય વહ્યા કરે છે
કવિતાએ હૃદય પર પગરણ માંડ્યા, એ ક્યારથી? લગભગ મારી બાવીસ-ત્રેવીસ વર્ષની વયે અને મેં જે ડાયરીમાં લખ્યું છે ‘એ કવિતા છે’ એવી કોઈ સભાનતા વગર. નહીંતર એ લગભગ બબ્બે દાયકા પડ્યું રહે? 43-44 વર્ષની વયે એમ લાગ્યું કે મન હવે કોરુંધાકોર થતું જાય છે ત્યારે પેલી ડાયરી કોઇકે હાથમાં પકડાવી… “લે, આ જો, આ પણ તું છે, એને ઓળખ…. તો જીવન જીવવા જેવું લાગશે.” એ હતા પ્રિય જગદીશ….
પેલી ડાયરીમાં સંતાયેલું વર્ષો પહેલાંનું કાવ્ય અખંડ આનંદમાં પહોંચ્યું, ‘સાવ કોરો કાગળ જોઈએ મારે’ અને ‘અપની તો ચલ પડી…..’ આનંદ છે કે એ કાવ્ય હજી આજે પણ એટલું જ વધાવાય છે.
(અહીંથી પછીનો પેરેગ્રાફ ગીત સંગ્રહ – ‘અનુભવ્યું અજવાળું’નો – બીજો પેરેગ્રાફ કોપી કર્યો છે)
‘સાવ કોરો કાગળ’, આ કાવ્યનું મહુવામાં પૂજ્ય મોરારિબાપુ આયોજિત અસ્મિતાપર્વથી માંડીને જ્યાં જ્યાં એનું પઠન થયું, લોકોએ ઉમળકાથી વધાવ્યું, જાણે – ‘કોરો કાગળ’ એટલે હું – એવું મારાં મનમાં પણ રચાયું. એ કાવ્યને શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી ચિનુ મોદી, શ્રી સુમન શાહ અને બીજા અનેકોએ શબ્દમાળ પહેરાવી. ચારેક સંપાદનોમાં લેવાયું. એ કાવ્યનો શ્રી પ્રતિષ્ઠા પંડયાએ કરેલો અનુવાદ શ્રી ઉદયન ઠક્કરે ‘Poetry India’માં પ્રકાશિત કર્યો, ડો. મીનાક્ષી જોશીએ કરેલા હિન્દી અનુવાદ ‘સાહિત્ય અકાદમી’ના પુસ્તકોમાં છપાયા અને મેં મને ‘અછાંદસ’નો સિક્કો લગાડી આપ્યો. એ પછી બીજાં ઘણા અછાંદસ લખાયાં, બે સંગ્રહ પણ થયા ‘ઝળઝળિયાં’ અને ‘ઝરમર’.
1997માં સાહિત્યમાં પ્રવેશ્યા પછી આ મારું છવ્વીસમું પુસ્તક, ત્રીજો અછાંદસ કાવ્યસંગ્રહ અને ચોથો કાવ્યસંગ્રહ. આટલા વર્ષો જે કામ કર્યા રાખ્યું એ પુસ્તકરૂપે મૂકી દેવાનો મોહ તો ખરો જ અને એમ આવે છે આ ‘સાવ કોરો કાગળ’. એના માટે આટલી વાત. આ પાનાંઓમાં હું તમને જડું ખરી અને નયે જડું ! શું ફેર પડે છે? રસ્તો આ જ રહેવાનો છે? બદલાવાનો છે? ખબર નથી…. અંતે તો ઈશ્વરેચ્છા બળવાન…
કાવ્યપ્રેમની ગંગા વહ્યા જ કરી છે. દિવ્ય ભાસ્કરમાં એક વર્ષથી હું ‘સેતુ’ કોલમમાં વાર્તાઓ લખું છું પણ 2011થી પૂરાં અગિયાર વર્ષ દિવ્ય ભાસ્કરમાં કવિતાના આસ્વાદની કૉલમ ‘કાવ્યસેતુ’ લખી અને કવિતાએ મને સમૃદ્ધ કર્યા રાખી. આ જ કાવ્યપ્રેમના કારણે ઓક્ટોબર 2020થી મેં કાવ્યના તમામ પાસાંને આવરી લેતી ‘કાવ્યવિશ્વ’ (www.kavyavishva.com) વેબસાઇટ શરૂ કરી. કવિતાપ્રેમીઓથી મારી સાઇટ ધમધમે છે એનો ખૂબ આનંદ છે. સાઇટ શરૂ થયાને આ પાંચમું વર્ષ બેઠું. આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે આજની તારીખે આંકડા ચેક કર્યા તો આનંદ આપે એવા છે. આજ સુધીના કુલ વિઝિટર્સ છે 1,11,290. વ્યુઝ છે 3,43,668 અને 3500થી વધુ રચનાઓ પોસ્ટ થઈ છે. આમ કવિતાના ધોધમાં ભીંજાઉં છું.
ડો. પ્રવીણ દરજીસર અત્યંત ટૂંકા સમયમાં મારા આ કાવ્યસંગ્રહ માટે લખી આપે એ એમનો સ્નેહ અને મારું સદભાગ્ય છે. દરેક કવિતાની નીચે એ ક્યાં અને ક્યારે પ્રકાશિત થઈ એની વિગત છે. આ સૌ તંત્રી સંપાદકોનો હું આભાર માનું છું. સ્વર્ગ કેવું હશે ? મારો પરિવાર જે રીતે મારી પડખે ઊભો છે, સ્વર્ગ આનાથી જુદું ન હોઈ શકે.
ગુર્જર પ્રકાશને મારાં પુસ્તકોનું કામ હાથમાં લીધું અને ઝડપથી પ્રકાશિત કરે છે એ માટે હું ખૂબ આભારી છું.
લો, હવે આ કાવ્યસંગ્રહ મૂક્યો તમારા હાથમાં…..
લતા હિરાણી
A/83, ગોયલ પાર્ક એપાર્ટમેન્ટ, લાડ સોસાયટી સામે, સંદેશ પ્રેસ રોડ, અમદાવાદ 380015
M. 99784 88855
સાવ કોરો કાગળ (કાવ્યસંગ્રહ) * લતા હિરાણી * ગુર્જર 2024
અછાંદસ સંગ્રહ..સાવ કોરો કાગળ ને આવકાર સહ અભિનંદન..
આભાર ઉમેશભાઈ
આપને ખૂબ અભિનંદન આદરણીય લતાજી. અછાંદસ આપની આંગળીને ટેરવે છે.
આભાર મેવાડાજી
ખુબ ખુબ અભિનંદન લતાબેન આવકાર
આભાર છબીલભાઈ