🥀 🥀
*તણખલા પર*
ઋષિજી! આદરી દીધું છે આંદોલન, હું બેઠો છું તણખલા પર,
જગતનું ને ગુપતનું તાગી સમતોલન, હું બેઠો છું તણખલા પર.
ન કોઈ ઇલ્મ કે ફેલાવી સંમોહન, હું બેઠો છું તણખલા પર,
જીતી તેંતરીસ પૂતળીઓનું સિહાસન, હું બેઠો છું તણખલા પર.
થરકતા કોડિયે ઝલમલતો, હે મોહન!, હું બેઠો છું તણખલા પર,
ક્યાં મારે કરવો છે સંપન્ન ગોવર્ધન,હું બેઠો છું તણખલા પર.
જુઇમાં થૈને આવેલી લહર અડકે મને પણ થાય છે રોમાંચ,
મેં સાબૂત કીધા છે આદિમ સંવેદન, હું બેઠો છું તણખલા પર.
તણખલા જેટલે અજવાળે પહોચ્યો છું ગરથ અડસઠ વટાવીને,
ગતિ અજવાળતી ઝાલરના લઇ કંપન, હું બેઠો છું તણખલા પર.
હું તપ કરવા નથી બેઠો, તડપ લઈને હું બેઠો છું, મહર્ષિજી !
હવાસોહોશમાં રાખી છે મેં ધડકન, હું બેઠો છું તણખલા પર.
લઈ એક તાર હું બેસું તણખલા પર, ભગત બેસે છે મન્દિરમાં,
તણખલા જેટલું રાખ્યું છે મેં બંધન, હું બેઠો છું તણખલા પર.
~ લલિત ત્રિવેદી
જરા હટકે બાની લઈને આવતા લલિત ત્રિવેદી. ઋષિને સંબોધન કરીને આ કવિ તણખલા પરથી ખસવા નથી માંગતા. કદાચ સંબોધન એ લક્ષ્ય હોઈ શકે અને તણખલું એ સ્થિતિની અને માર્ગની વાસ્તવિકતા! આ વિશ્વમાં પોતાનું સ્થાન કે સમય તણખલા જેટલા પણ નથી એ આખીયે ગઝલનો મૂળ ભાવ દેખાય છે. જોવાની વાત એ છે કે વાસ્તવિકતા સ્વીકારાઈ છે પણ ઝૂકીને નહીં ! સ્વાભિમાન અખંડ રાખીને વાસ્તવના અજવાળે દેખેલું લક્ષ્યદર્શન કહી શકાય ! પંક્તિઓ જુઓ, ત્રેંત્રીસ પૂતળીઓનું (બત્રીસ નહીં, ધ્યાન રહે) સિંહાસન જીતીને નાયક બેઠો છે. હવે આ તેંત્રીસમી પૂતળી કોણ ? નાયક પોતે ? જવાબ શોધો. તો આગળ – સામાન્ય રીતે જ્યોત થીરકતી હોય! કવિએ કોડિયાને થરકતું બતાવ્યું છે. એટલે આત્માની જ્યોત સ્થિર છે. વળી કોઈ એવી ઊંચી મહત્વાકાંક્ષા નથી રાખી… ગોવર્ધન છો બીજા ઊંચકે, કવિને એ અપેક્ષિત નથી. એ તો જૂઈને અડકેલી લહરને પણ અનુભવી શકે એટલી ઊંડી સંવેદના ધરાવે છે. આ પ્રવાહને કાંઠે કાંઠે બધા શેર માણી શકાય (મારી દૃષ્ટિએ). અંતમાં આ સંસારના અમાપ બંધનોને કવિએ તણખલા જેટલાં કહીને એ કાપવાની શક્તિ પણ નિર્દેશી દીધી છે…. વાસ્તવિકતાના ફરી એકવારના સ્વીકાર સાથે… વાહ કવિ
****
*આવ્યા રે શું કામ ?*
(દોહા-ગઝલ)
રૂની વણજું લઈ થડે, આવ્યો રે શું કામ?
ધૂપસળી મૂકી ધડે, આવ્યો રે શું કામ ?
એવી કેવી મીટ કે વચમાં આવે ઇંટ ?
આંખોને શું આવડે ? આવ્યો રે શું કામ ?
ના પરબુંનાં નીર કે ના એ ચરણામૃત,
તરસ્યું લસલસ લૈ ઘડે, આવ્યો રે શું કામ?
સબ-રસથી ચકચૂરમાં ક્યાંથી વગડે તૂર ?
કાયા જેવા કોયડે, આવ્યો રે શું કામ ?
નહિતર તું ત્રિશૂળ ને ભસ્મ જ તારું મૂળ,
લૂણે લથબથ લૂગડે, આવ્યો રે શું કામ ?
જાવું’તું દામા લગી, નિસર્યો વામા કોર,
સેંજળ ભર્યા તલાવડે, આવ્યો રે શું કામ ?
આરસને વશ ઓરડા, રૂમઝૂમતા રહેવાય,
તો વણદીઠા વાવડે, આવ્યા રે શું કામ ?
~ લલિત ત્રિવેદી
‘તરસ્યું લસલસ લૈ ઘડે’ પ્રયોગ ગમી ગયો તો ‘જાવું’તું દામા લગી, નિસર્યો વામા કોર’માં દામા અને વામાનો પ્રાસ બહુ સહજ અને સુંદર લાગે છે.
****
*અહીયાં કામ નથી*
કાચાપોચાનું અહીયાં કામ નથી
માટીપગ્ગાનું અહીયાં કામ નથી
મેલ માથું ને ખાલ ખાલી કર
કાલાવાલાનું અહીયાં કામ નથી
શુભ્રતા ઝળહળાવવાની છે
કોઈ લહિયાનું અહીયાં કામ નથી
ઓગળી ઓગળી થવાનું ગુમ…
કાળમીંઢાનું અહીયાં કામ નથી
બસ કે નકરો થઈને આવી જા
માલમત્તાનું અહીયાં કામ નથી
બીડું ઉઠાવવાનું છે, મિત્રો …
છાતીહીણાનું અહીયાં કામ નથી
માથાભારેનો છે ઇલાકો, લલિત…
તારા જેવાનું અહીયાં કામ નથી
~ લલિત ત્રિવેદી

વાહ.. કવિશ્રી લલિત ત્રિવેદીની ખૂબ સરસ ગઝલો માણવા મળી..
કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂🎈
🌹👍🙏 ખૂબ સરસ રચનાઓ.
કવિની રચનાઓ વિવિધ સંદર્ભો સાથે અને અનેરા મિજાજ સાથે આવી છે. અભિનંદન.
સરસ રચનાઓ
ખુબ સરસ રચનાઓ કાવ્યાસ્વાદ ખુબ સરસ
લલિતભાઈની રચનાઓ એક અલગ જ ભાત ઉપસાવે છે. અભિનંદન કવિ અને લતાબેન બંનેને.
આભાર.
વાહ, ત્રણેય ગઝલો અતિઉત્તમ, આપે આસ્વાદ કરાવ્યો એ પણ ઉત્તમ.
આદરણીય લતાબેન… એક “અઘરી” કહેવાતી ગઝલને આપી આસ્વાદ્ય, સરળ કરી આપી… આનંદ
સહુ મિત્રોનો આભાર
વાહ ખુબ સરસ રચનાઓ કવિને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ