જનમજનમથી ચાલે છે દેકારો અંદર !
આ વખતે પણ આવ્યો નૈ સુધારો અંદર !
ભડભડ કરતું સળગ્યું છે કાગળનું આ ઘર
યાદ તમારી ફેંકી ગઇ અંગારો અંદર !
એ કારણ લાગે આ ચિત્રો હરતાં ફરતાં
સ્થિર, સનાતન બેઠો છે, જોનારો અંદર.
મુગ્ધા માફક માયા કેવું મલકાણી છે !
ખાધો આ કોણે ગેબી ખોંખારો અંદર ?
લાખ લપેડા લયના, ભાવ ભરો છો ચપટીક,
આમાં સૌને થાય ઘણો, મૂંઝારો અંદર
~ વિપુલ પરમાર
માણસ એનો એ જ રહે છે…. સંતો કહે છે, આ જન્મની યાત્રા આવતા જન્મે આગળ વધે છે પણ એ તો જાગેલા જીવ માટે…. બાકી જે ઘાણીના બળદની જેમ ગોળ ગોળ જ ફર્યા હોય, સ્વાભાવિક છે કે ક્યાંય ન પહોંચે…. ઠેરના ઠેર. આ વાત બહુ સરસ રીતે મત્લાના શેરમાં કહેવાઈ છે. એટલે જ ‘દેકારો’ શબ્દ ખૂબ સૂચિત છે.
બધા શેર સરસ થયા છે. ત્રીજો શેર પણ ગમી ગયો. બીજા અને છેલ્લા શેર સિવાય આ ગઝલને આધ્યાત્મિક ટચ મળ્યો છે.
OP 11.5.22
***
વિપુલ પરમાર
12-05-2022
આભાર લતાબેન અને વાચકો
છબીલભાઈ ત્રિવેદી
12-05-2022
વિપુલ પરમાર નુ કાવ્ય ખુબજ સરસ બધા શેર ખુબ ગમ્યા.
સાજ મેવાડા
11-05-2022
ખૂબ સરસ ગઝલ, લતાજી આપની નોંધ સરસ કવિના મનોભાવને વ્યક્ત કરે છે.
હરીશ દાસાણી.મુંબઈ
11-05-2022
સરળ શબ્દોમાં સૌંદર્ય મય દર્શન
