વેણીભાઈ પુરોહિત ~ ચાર કાવ્યો * Venibhai Purohit

🥀🥀  

ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

~ વેણીભાઈ પુરોહિત (1.2.1916 – 3.1.1980)

🥀🥀  

રે નયણાં !
મત વરસો,મત વરસો :
રે નયણાં !
વરસીને શું કરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું :
તો દર્દીલાં ખારાં જલનું
ક્યાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથાં ડૂબી મારશો.
રે નયણાં ! મત વરસો,મત વરસો.

કોઈ નથી જલનું પ્યાસી,
ક્યાં જઈને કરગરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

~ વેણીભાઈ પુરોહિત (1.2.1916 – 3.1.1980)

🥀🥀  

હજી આ કોકરવરણો તડકો છે
સાંજ તો પડવા દો
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે
દિવસને ઢળવા દો…

હજી ક્યાં પંખી આવ્યા તરુવર પર ?
અને કયાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર ?
હજી ના મનડું બેઠું મહુવર પર
દેવ મંદિરે નોબત સંગે
ઝાલર મધુર વગડવા દો…
સાંજ તો પડવા દો
દિવસને ઢળવા દો.

હજી ક્યાં દુનિયાદારી થાકી છે ?
હવાની રૂખ બદલવી બાકી છે
હજી આ કિરણોમાં કરડાકી છે !
ગમતીલી ગોરજને ઊંચે
અંગેઅંગ મરડવા દો !
સાંજ તો પડવા દો :
દિવસને ઢળવા દો :

હજી આ ધરતી લગરીક ઊની છે,
ગગનની મખમલ તારક સૂની છે,
સાંજ તો શોખીન ને સમજુની છે:
કનક કિરણને નભવાદળમાં
અદભૂત રંગ રગડવા દો
સાંજ તો પડવા દો.
દિવસને ઢળવા દો.

~ વેણીભાઈ પુરોહિત (1.2.1916 0 3.1.1980)

🥀🥀

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમનો પોરો ખાવો છે,
કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હૃદયને રોજ દિલાસો આપું છું,
કે તુંય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાનું રેશમ જાય બળીને આશાની મુરઝાય કળી,
કોઈ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુઃખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો શા માટે?

~ વેણીભાઈ પુરોહિત (1.2.1916 – 3.1.1980)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “વેણીભાઈ પુરોહિત ~ ચાર કાવ્યો * Venibhai Purohit”

  1. મનોહર ત્રિવેદી

    વેણીભાઈ બીજા થવા નથી, લતાબહેન. મારાં ગીતોના ખૂબ સ્નેહથી આસ્વાદ કરાવતા. પત્ર મળે તો પ્રસન્ન કરી દેવાની કૂંચી પણ પત્ર સાથે જ મોકલતા! એમનાં ગીત અને ગઝલની મસ્તી જ કંઈ ઓર!

  2. ખૂબ સરસ રચનાઓ. ‘ઉનારે પાણીનાં..’ ગીત તો મને ખૂબ જ ગમે છે, અને મેં સ્વરાંકન કરી ગાયું છે. વંદન.

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ

    ગીતકાવ્યો ત્રણેય ખૂબ સરસ એમાં પણ ઉના રે પાણી ને નયણાના નીર અદભૂત…. આભાર લતાબેન..

Scroll to Top