
🥀 🥀
*લોકો કહે છે*
લોકો કહે છે કે મારો બૌદ્ધિક વિકાસ થયો છે.
હું
મૌન, ચુપકીદી અને નિ:શબ્દતા વચ્ચેનો ફરક
સમજી શકું છું.
કેડી, મારગ અને રસ્તાઓનો તફાવત
મારા મગજમાં બરાબર બેસી ગયો છે.
નજર નાખવી, નીરખવું, ધ્યાન દેવું
વગેરે મને સમજાવવું નથી પડતું.
મારું, અમારું,
તારું, તમારું,
પારકું, પરાયું,
બીજાનું, આપણું
આ ભેદભાવો મનમાં
રેતીમાં પડતા પગલાની જેમ ચોખ્ખાં દેખાય છે
સર્વાનુમતે જાહેર થયું છે કે હું સમજણો થયો છું.
મને લોકોની નાદાની ઉપર હસવું આવે છે.
તેઓને આની ખબર નથી :
હું બધાને
બહુ સારી રીતે ઓળખી ગયો છું.
~ શકુર સરવૈયા (10.8.1939)
*****
*હાં રે બેની*
હાં રે બેની પંખીને દૂર દૂર ઊડવાના લાગ્યા રે થાક
ને બેની મારે ફળિયામાં આભલાંને આણવાં.
હાં રે બેની સૂરજમુખીને હવે ફરવાના લાગ્યા રે થાક
ને બેની મારે આંગણિયે કિરણોને બાંધવાં.
હાં રે બેની ચાડિયાને ઊભા રહેવાના હવે લાગ્યા રે થાક
ને બેની મારે પાદરનાં રખોપાં રાખવાં.
હાં રે બેની ડૂંડવાંની દાંડિયુંને ડોલવાના લાગ્યા રે થાક
ને બેની મારે પાલવમાં વાયરાને ઝીલવા.
હાં રે બેની વાવને હવે અવાવરુ રહેવાના લાગ્યા રે થાક
ને બેની મારે ઊંડેથી અંધારાં સીંચવાં.
~ શકુર સરવૈયા (10.8.1939)
અછાંદસ કાવ્યો, ગીતો અને ગઝલનું સર્જન.
કાવ્યસંગ્રહ ‘ઘરની સાંકળ સુધી’.(બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ : સં. સુરેશ દલાલ)
ફોટો સૌજન્ય : સુરેશ જાની

ખૂબ જ સરસ કાવ્યો, અછાંદસ ની ચોટ જોરદાર છે.