

🥀 🥀
‘કાવ્યવિશ્વ’માં સ્નેહભર્યું સ્વાગત છે, 61 ગીતો અને 60 ગઝલ સાથે કવિના આ નવા કાવ્યસંગ્રહનું.
‘આજ અનુપમ દીઠો’ * સંજુ વાળા * ઝેન ઓપસ 2024
***
કવિની કેટલીક ગમી ગયેલી રચનાઓના અંશ
જી રે ગોરંભા ઊમટ્યા ઘેઘૂર આભમાં, ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
ઊંડા અજવાળાં તબકી-તબકી જાગતાં, જાણે ઝીણેરું ઝળકંતી તલવાર રે….
**
વખતવખતના તાણેવાણે વણકર વણે દુશાલા / જે કોઈ ઓઢે, પહેરે એને મળે દરજ્જો આલા !
**
ઝિલ્યો ઝાલ્યો ગળચટ્ટો ગરવો તંબૂરરવ ઝિલ્યો રે
ચોકમાં તારું ઘર અગાશી રાંકડી એમાં ઊતર્યા લાગટ તેજનાં ઘોડાપૂર
આરદા એક જ એ જ મથામણ એમ કરું કોશિશ કે આવી નભનંદિની વાકમાં વહે
હે….ય અનેરા તેજ કે એમાં અંગ ઝબોળે, એટલાં ગીતો અમરવું પદ સહસા ગ્રહે….
પોતાના આ કાવ્યસંગ્રહ વિશે વાત કરતાં કવિ કહે છે, ‘મારી કવિતાને અધ્યાત્મની કવિતા જેવું વિશેષણ ભાવકો-વિવેચકો-મિત્રો તરફથી મળતું રહ્યું છે. તેના વિશે એટલું જ કહીશ કે ભજનાનંદી કુટુંબમાં મારો ઉછેર થયો છે અને ભજનથી મારી ભાવકતા અને સર્જકસંવિત મંજાતા રહ્યાં છે…. તેમ છતાં આ ભજન કે અધ્યાત્મ જ મારી કવિતાનું સાર્વત્રિક પોષણ/પ્રમાણ નથી.” કવિની આ વાત સાથે સહજ સંમત થઈ શકાય. ઉપર ટાંકી એવી અનેક રચનાઓ અધ્યાત્મ, કાવ્યત્વ અને અનોખી બાનીથી સમૃદ્ધ છે. આવી અનેક પંક્તિઓમાં ભજનભાવ ખરો અને તોય એની પદાવલિ સાવ નોખી, એમાં પરોવાતા શબ્દોનું એક જુદું જ અજવાળું, જુદી સુગંધ અનુભવાય.
કવિનું અધ્યાત્મ કેવા કેવા પ્રયોગો ને કેવાં પદો લઈને આવે છે ! કવિની કવિતા ભજનના ભાવમાં કેવા ગૂઢ અર્થો પરોવતી જાય છે. જુઓ ‘કહ્યું કરે કૂકડાનું એવા સૂરજની કરવા નીકળ્યા રે શોધ…’
અગમની કવિતામાં કલ્પનો અનુઠા છે.
‘રમતરમતમાં દરવાજો ઉઘાડ્યો, ભાળ્યું અચરજ
કિલ્લા વચ્ચોવચ્ચ પથ્થરના સિંહાસન પર
પથ્થરની મૂર્તિ થઈ આરુઢ હું ને માથે ફરકે પથ્થરનો ધ્વજ !
કવિના ગીતમાત્ર માટે કહી શકાય કે લય કવિને હૈયાવગો છે.
એક ગીત છે, ‘બાઈ તું તે જીવતી કે ઝાડવું ?’ કોઈ વિલાયેલા ઓરતા સાથે જીવતી સ્ત્રીનું અને એની મનોદશાનું, નજર સામે તાદૃશ્ય ચિત્ર ખડું થાય. અંતમાં ‘જવારા ઉછેરી જીવ ઝૂલવતાં શીખ્યાં, પણ શીખ્યાં નહિ આયખું ઉગાડવું !’ અને ભાવકના હૈયે એક કાળી ટીસ ઊઠે.
હળવાશથી ભર્યા કાવ્યો ખરા. ‘ખટવે ખારેકડી’, ‘હવાયેલી દિવાસળી’, ‘મનમાં પરણે’, ‘ગજલ ઘરડી ડોશી’ તો ‘પંડિતત્રયી’માં કટાક્ષ પણ મળે !
ચિરંતન વિષય પ્રેમ, એનાં કાવ્યો તો હોય જ. જરા નોખા ‘મે-જૂનના દિવસો’ ‘થાંભલો’ જેવાં કાવ્યો પણ મોજ કરાવે.
કવિની ભાષા બોલચાલની છે અને નથી. જુઓ, ‘વરામ’, ‘તાકોડી’, ‘બદરીફળ’, ‘હુલસવું’, ‘ઝકઝોરા’….. લો, શોધો અર્થ ! પણ સારું છે કે કવિએ દરેક કવિતાની નીચે આવા શબ્દોના અર્થ આપ્યા છે. મોટાભાગની કવિતાઓ એ વગર સમજવી અઘરી પડે !
કવિનાં કાવ્યો શબ્દ-સમૃદ્ધ અને શબ્દ-સભાન છે. તળપદી શબ્દસૌંદર્ય અહીં સોળે કળાએ ખીલ્યું છે. જુઓ, ‘રંગોને જુદારો હોય નહીં, રંગોને રમણામાં રાખીએ રે રંગરેજા’ – આમાં શબ્દોની અર્થછાયા અનુભવતાં પોએટિક વિસ્મયના મેઘધનુષ ખીલી જાય. આવાં તો કેટલાંય ઉદાહરણો મળે. દરેક કાવ્યને એના અર્થના ઊંડા થરને પામવા માટે એમાં ડૂબકી લગાવવી પડે એ વગર મોતી મળે નહીં. એમ કરતાં કવિ-ચિત્તના વિવિધ સ્તરો પામી શકાય ખરા. બાકી આપણે જાણીએ છીએ કે કવિતા ઉત્તરો આપતી નથી. પોતપોતાના આંતરિક જગત પ્રમાણે એના અર્થો ખૂલે !
એટલું ખરું કે કવિની કવિતા સમજવા માટે ભાવક તું ‘ધખાવ ધૂણો’… એ વગર આરોવારો નથી…
🥀 🥀


રોચક સંકલન…
કવિ શ્રીનાં ગઝલો અને ગીતોમાં એમની પોતીકી છાપ મૂકી છે. ભજન, ગઝલ કે ગીત હોય પૂર્વ સુરીઓની અસર તો રહેવાની.
આગવી શૈલીથી રચાયેલી રચનાઓ કવિની ઓળખ બની છે.
સરસ કાવ્યપંક્તિઓ અને સંગ્રહનું સરસ અવલોકન. બંને સર્જકોને અભિનંદન.