સંદીપ પૂજારા & વ્રજેશ મિસ્ત્રી * Sandip Pujara * Vrajesh Mistri  

ભરશે એ શ્વાસ

ભરશે એ શ્વાસ આવી ગયો એનો પણ સમય!
મંદિરની ઈંટ પર અમે જે દોર્યું’તુ હૃદય!

શ્રદ્ધા ટકી રહી હતી બસ એ જ વાત પર,
ક્યારેક તો જરૂર થશે ધર્મનો વિજય!

જેનો યુગો યુગો સુધી ન અસ્ત થઈ શકે, 
જોશે અયોધ્યા એવા કોઈ સૂર્યનો ઉદય!

દિલથી જે ભક્ત રામનાં દરબારમાં જશે!
બીજી પળે જ એનાં બધા ભયનો થાય ક્ષય!

મૂર્તિ નથી એ માત્ર, પુરાવોય આપશે!
દર્શન કરીને થઈ જશે હરકોઈ રામમય!

~ સંદીપ પૂજારા

રામનવમીના પવિત્ર અવસરે ભગવાન શ્રીરામને ભાવપૂર્વક વંદન

અયોધ્યા

સતત લોહીમાં સળવળે જો અયોધ્યા.
બનું રામ હું પણ, મળે જો અયોધ્યા.

ભવારણ્યમાં ક્યાં સુધી આમ ભટકું?
વળું કોઈ રસ્તે, વળે જો અયોધ્યા.

ભલે લાગતી રાત વનવાસ જેવી
અગર સ્વપ્ન થઈને ફળે જો અયોધ્યા

ગઝલના ગવાક્ષે કરું હું પ્રતીક્ષા,
બની રામ રકતે ભળે જો અયોધ્યા.

ઘણું સિદ્ધ સીતા સમું થઇ જશે બસ,
અગર ભીતરે ખળભળે જો અયોધ્યા

~ વ્રજેશ મિસ્ત્રી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “સંદીપ પૂજારા & વ્રજેશ મિસ્ત્રી * Sandip Pujara * Vrajesh Mistri  ”

  1. કાવ્યવિશ્વના આભારી છીએ.. ઉત્તમ કવિતાઓ રસિકો સુધી ઉપલબ્ધ કરાવવા બદલ અભિનંદન

  2. કાવ્યવિશ્વ સાઈટ ગુજરાતી ભાષાનું ગૌરવ છે. પ્રતિષ્ઠિત કવિઓની સુંદર રચનાઓ સરળતમ રીતે ઉપલબ્ધ થઇ શકે એ માટેના એડમીનના ઊંડા રસને સો સલામ….. વ્રજેશ મિસ્ત્રી

  3. વ્રજેશ મિસ્ત્રી

    લતાબેનને અભિનંદન અને શુભકામનાઓ

Scroll to Top