કેટલાક સ્મરણીય શેર
સમય ફેરવે શૂન્ય પડખાં મુસાફિર,
ચલે શ્વાસના એમ ચરખા મુસાફિર***
બાંધું તો બાંધી ના શકું, છોડું તો ના છૂટે,
તારાં સ્મરણનો કોઈ સમન્વય થતો નથી.***
જળકમળ જેવું જ કૈં સગપણ હતું તે ક્યાં ગયું?
બેઉ વચ્ચે પારદર્શક રણ હતું તે ક્યાં ગયું?***
પત્ર પણ લખવો નથી ગમતો વિષાદી કાળમાં
ને સ્મરણ- વણઝાર ચારેકોરથી ઘેરી વળે.***
નદીનું નામ ન લો, ખીણમાં ન સાદ કરો,
વીતેલી સાંજ બધી એ રીતે ન યાદ કરો***
યાદ રાખ: જળતરંગ જેમ હું હતો,
ભૂલી જા કે તરબતર કરી ગયો મને.***
કશા અન્ય સ્થળ પર ન શોધીશ એને,
કબીર તારી ઝીણી ચદરિયા ગમે છે***
થોડી ઉદાસીઓનું ગુલમહોર નામ છે,
થોડી ઉદાસીઓને ઝાકળ કહી શકો***
માન્યતા આપો નવી તારીખને,
રોજનીશીમાં નવો ફકરો પડે***
~ સુરેશચંદ્ર પંડિત
રસ્તો હતો
નીંદમાં એક સોનેરી રસ્તો હતો
મારા બિસ્તરમાં સપનાનો ઢગલો હતો.
ત્યારે મનમાં હતાં આસમાની કિરણ
હું તો તમને જ દરિયો સમજતો હતો.
ખોટી વાતોમાં અમુલ બેઠાં હતાં
સામે વરસાદ ધીમો વરસતો હતો.
પત્ર આખો શિખામણથી ભરપુર હતો
છેલ્લે મહોબતનો કમનીય ફકરો હતો.
એ તો રંગીન શરબતની દુનિયા હતી
સાવ કારણ વગર હું તરસતો હતો.
~ સુરેશચંદ્ર પંડિત (6.6.1950 – 16.10.2023)
અલવિદા કવિ સુરેશચંદ્ર પંડિત !
કાવ્યસંગ્રહો : 1. ગુલબંકી : 1982 2. પ્રણયમંત્ર: 1998
3. કામિલ : 2010
ગુજરાતી ગઝલ ક્ષેત્રે બે પંડિતનું પ્રદાન પ્રશંસનીય રહ્યું. એક તે સ્વ.કૈલાસ પંડિત અને બીજા તે આ રાજકોટવાસી (હવે સ્વ.) સુરેશચંદ્ર પંડિત.
નરસૈયાની નગરી જૂનાગઢ ખાતે 6 જૂન,1950 ના રોજ જન્મેલ શ્રી સુરેશચંદ્ર અનંતપ્રસાદ પંડિતનો પરિવાર બાદમાં રાજકોટ ખાતે સ્થાયી થયેલ. આ કવિજીવને ક્યાંય સ્થિર થવું ગોઠ્યું નહીં. આજીવન છૂટક છૂટક નોકરી/ટ્યૂશન કરનાર આ કવિ ભાવે/સ્વભાવે અલગારી,ઓલિયો ફકીર !
છવાઈ જવાની ઘેલછાથી વેગળા રહીને આ ‘મસ્તફકીર’ કવિ નિજાનંદપૂર્વક, છાનેખૂણે પલાંઠી વાળીને પોતીકી ઢબે પાંચ પાંચ દાયકાઓ સુધી કવિતાસર્જન કરતા રહ્યા. રાજકોટની સુખ્યાત ‘સાહિત્યિક અભિગમની સંસ્થા : વ્યંજના’ સાથે જોડાયેલ રહીને સુરેશચંદ્ર પંડિતે કલાવર્તુળમાં પોતીકું નિરાળું સ્થાન પ્રાપ્ત કરેલ.
પંડિતજી એક કુશળ કવિ ઉપરાંત સુસજ્જ વાંસળીવાદક પણ જબરા ! આંખો મીંચીને
વાંસળીના છિદ્રો પર આંગળીઓ ફેરવતા અને ફૂંક મારીને તલ્લીનતાપૂર્વક વાંસળી વગાડતા તેમને જોવા અને માણવા એ એક લ્હાવો હતો. એ સ્વયં કહેતા વટપૂર્વક, “હું વાંસળીવાદક પણ ખરો ને ? “
સીધી સરળ બાનીમાં ઊંડાણ અને ઊંચાઈનો સંસ્પર્શ કરાવતી સુરેશચંદ્ર પંડિતની ગઝલોમાં નવતાપૂર્ણ રદીફ/કાફિયાનો કસબ અને તાજગીપૂર્ણ ભાવ-ભાષાનું સૌન્દર્ય સહુને આકર્ષિત કરતું રહયું.
~ આર.પી.જોશી રાજકોટ

કવિ સુરેશ પંડિતને અર્પિત શ્રદ્ધાસુમન
પ્રભુ એમના પવિત્ર આત્માને શાંતિ બક્ષે.