
પ્રિસ્ક્રિપ્શન
લોહીની તપાસ કરી
મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.
નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં ચાર વાર લેવી.
(નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફક્ત કંપની જુદી છે.)
સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.
આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.
દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું.
(એ મેસર્સ મજનૂ એન્ડ રાંઝાને ત્યાં મળે છે.)
પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.
યાદ બહુ જલદ દવા છે
પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે
માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.
અઠવાડિયે એક વાર એક્સપાયરી ડેટ પછીનું ઇશ્કનું ઇંજેક્શન લેવું.
શબ્દોની પરેજી રાખવી.
શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
આટઆટલી દવા કર્યા પછી,
પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.
સહી : અનરજિસ્ટર્ડ પોએટ્રી પ્રેકટિશનર
હેમેન શાહ 9.4.1947
કવિતા રજિસ્ટર્ડ કરવા જેવી

વાહ ખુબ નાવિન્યપુર્ણ રચના
વાહ, એક ડોક્ટર જ લખી શકે એવી કવિતા.