લતા હિરાણી ~ હે સન્નાટાજી

🥀 🥀

હે સન્નાટાજી
ગામ, સીમ, કેડા છોડીને
અમ ફરતા કાં આંટા જી ?
હે સન્નાટાજી !

તમે જનમિયા સૂની સાંજને કાળે પેટે કાં ?
કિયા જનમના વેર કહોને કિયા જનમના ઘા?
બેસે, હાંફે, શ્વાસ સાંભળે, તવ ખિખિયાટા જી
હે સન્નાટાજી !

પાંપણ પરથી રાત ઉતરડી ધક્કા માર્યા જો  
ઝાંખી પાંખી નીંદરને, ખૂણે દઈ દીધો ખો
છાતી અંદર તૂટે, ફૂટે, થાય ન વાટા જી
હે સન્નાટાજી !

હાથ વછૂટી જાય ઘડી ને વેળ વેળ ના રે’
અડવાણા ને અવળા પગલે, દાવ જીવડો દે
કચ્ચરઘાણ અમારા, તમને સેરસપાટા જી
હે સન્નાટાજી !

અપરાધી છો અમે રહ્યા પણ દયા માંગીએ જી
ફાટી આંખોના ઉપવાસો, કહો ભાંગીએ જી
જરી જુઓ સામું, ના વાળો આવા સાટા જી
હે સન્નાટાજી !

~ લતા હિરાણી 8.7.24

અખંડ આનંદ દીપોત્સવી 2024

મારી વાર્તા વાંચો આ લિન્ક પર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

24 thoughts on “લતા હિરાણી ~ હે સન્નાટાજી”

  1. SARYU PARIKH

    આંખમાં આંસુ લાવી દે તેવી કરુણ એકલતા!!

  2. Bhikhesh Bhatt

    સરસ છે… સન્નાટો વ્યાપી ગયો મનમાં…!
    સન્નાટા ઉપર આવું કાવ્ય પહેલી વાર વાંચ્યું…!
    મજા પડી ગઈ…!

  3. Kirtichandra Shah

    The theme The Target are novel for poetry which by constrast is a regular reality in Life And That is what Kavikarm is :.Translating mundane into fine Web Dhanyvad Lataben

  4. વિજય સેવક

    પાંપણ પરથી રાત ઉતરડી ધક્કા માર્યા જો
    ઝાંખી પાંખી નીંદરને, ખૂણે દઈ દીધો ખો
    છાતી અંદર તૂટે, ફૂટે, થાય ન વાટા જી
    હે સન્નાટાજી ! ઊંડી અનુભૂતિ સ્પર્શી ગઈ. તે શબ્દોમાં અસરકારક વ્યક્ત થઈ. અભિનંદન…

  5. જયેન્દ્ર શેખડીવાળા

    આ એક મરણોતર સ્થિતિની વિશિષ્ટ રીતે રચના છે.સંસારની ભરી ભાદરી ભીડમાં જિંદગી પસાર કર્યા પછી અચાનક અને અલપઝલપ નજરે ચડેલું જીવનનું વાસ્તવિક રૂપ સન્નાટો છે તેનું અહીં કરાર વિકરાલ રૂપ નીરૂપાયું છે. વાસ્તવિતાનું ભીષણ રૂપ પામવા અંકે કરવા બદલ કવિ લતા હીરાણી ને કાવ્યાભિનંદન.
    જયેન્દ્ર શેખડીવાળા

Scroll to Top