મેઘનાદ ભટ્ટ ~ મારા શૈશવના સ્મશાનમાં * Meghanad Bhatt

તોફાન

મારા શૈશવના સ્મશાનમાં

પોઢી ગયેલી ક્ષણોને

પુનર્જન્મ આપો તો …

દરિયાની ભીંસમાં ચગદાયેલા આ શહેરને

મારા ગામની નદીથી નવડાવી દઉં,

સમુદ્રતટ્નાં આ તોતિંગ મકાનો પર

નદી ઉપરનો હિરણ્યગર્ભ વૃક્ષોનાં  

હરિયાળા તોરણો બાંધી દઉં

અને

ગાડા નીચેના શ્વાન જેવાં

જનસમુદાયને,

મારા ફળિયાના રાજા

-ઓલા લાલિયા કૂતરા

જેવી રાડ પાડતાંય શીખવી દઉં.

કલ્લોલથી કલબલ કરતી

મારા શૈશવની એ ક્ષણોના  

પુનર્જન્મને આવકારવા

ફાઉંટેનનાં સુકાયેલા ફુવારામાં

એક એવું તો ધનંજયી બાણ મારી દઉં

કે

અસહાય બનીને  

ભરસભામાં દ્રૌપદીનાં વસ્ત્રાહરણના

મૂક સાક્ષી બની રહેલા

ભીષ્મ પિતામહની નીંદરઘેરી આંખો

ઊના એ પાણીની છાલકથી

સદાયને માટે

ખૂલી જાય, ખૂલી જાય, ખૂલી જાય.

~ મેઘનાદ ભટ્ટ 24.10.1936 – 22.4.1997

૧૯૮૦માં પ્રકટ થયેલા કાવ્યસંગ્રહ ‘છીપલાં’માં આ કવિ કહે છે: ‘કવિતા મારે માટે જીવનનું એક ‘કમિટમેન્ટ’, પ્રતિજ્ઞાકર્મ છે, રહેશે. મેઘનાદની કવિતા વલોવી નાખે, અસ્વસ્થ કરી મૂકે એવી છે. કવિતા અને વિષાદ એના લોહીમાં છે. બીજો સંગ્રહ ‘મલાજો’. ૧૯૮૮માં પ્રકટ થયો. ~ સુરેશ દલાલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “મેઘનાદ ભટ્ટ ~ મારા શૈશવના સ્મશાનમાં * Meghanad Bhatt”

Scroll to Top