ચાંદ જેવો લાગશે
તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે!
કોણ તારી વાત સાંભળશે, હ્રદય!
એક પથ્થર કોને કોને વાગશે!
તું અમારો છે તો, ધરતીના ખુદા!
તું અમારા જેવો ક્યારે લાગશે?
જિંદગી શું એટલી નિર્દય હશે?
એ મને શું એક પળમાં ત્યાગશે?
હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે!
એણે માગી છે દુવા તારી, ‘અદી’
તું ખુદા પાસે હવે શું માગશે ?
~ અદી મિરઝાં 26.10.1928
ગઝલ સંગ્રહ ‘સાદગી’
કવિના જન્મદિને સ્મૃતિવંદના
નજર કરજો
અમસ્તી મારી મહેનત પર ઘડીભર તો નજર કરજો
કહું છું ક્યાં કદી હું કોઈને, મારી કદર કરજો.
તમે અશ્રુ બહાવી દુઃખમાં ના આંખોને તર કરજો,
મરદની જેમ જીવન જીવતા રહેજો, સબર કરજો.
તમે કંટાળશો ના ઠોકરોથી માર્ગની સહેજે,
ખુમારી સાથે હસતું મોઢું રાખીને સફર કરજો.
સુખે તો જીવવા દીધો નહીં, લોકો! મરણ વેળા,
મને માટીમાં ભેળવવા હવે ભેગું નગર કરજો.
કરે ફરિયાદ ના મિત્રો કે આમંત્રણ નથી આપ્યું,
‘અઝીઝ’ અંતિમ પ્રવાસે જાય છે, આજે ખબર કરજો.
~ અઝીઝ કાદરી 26.10. – 9.10.2021
કવિના જન્મદિને સ્મૃતિવંદના

વાહ, બંને શાયરો ની ગઝલો ‘કાબિલે દાદ’. સ્મૃતિ વંદન.