
🥀 🥀
*તારાં કરમ જોખાવશે*
એક દિ’ સાહેબ ખુદ ઑફિસમાં બોલાવશે,
ને પછી તારી કને તારાં કરમ જોખાવશે.
મોક્ષ માટે જે લખાવી છે તેં મોંઘા ભાવની,
ધર્મગુરુની ભલામણ ચીઠ્ઠીઓ સળગાવશે.
એક સૂકા વૃક્ષને પણ જળ કદી પાયું હશે,
એની પણ ખાતાવહીમાં નોંધ એ ટપકાવશે.
આંખ તારી ભીંજવીને ચેક કરશે એ પ્રથમ,
તે છતાં જો નીકળે નહિ મેલ તો ધોકાવશે.
એક ક્ષણ સુધ્ધાં ગણતરી બ્હાર જઈ શકશે નહીં,
ક્યાં, કયો, કેવો જિવાયો શ્વાસ એ બતલાવશે.
~ અનિલ ચાવડા
‘સાહેબ ઓફિસમાં બોલાવશે’ ને ‘ભલામણ ચિઠ્ઠીઓ સળગાવશે’ કે પછી ‘ધોકાવશે’ જેવા શબ્દો રમુજ ને હળવાશ વેરે… પણ અર્થ હળવો નથી. હળવા શબ્દોએ ભારેખમ વાત વહેતી કરી દીધી છે.
🥀 🥀
*હૃદય પર ઘાવ મારીને*
હૃદય પર ઘાવ મારીને નયનથી શેક કરતાં’તાં,
સતત આ રીતથી મારું ગજુ એ ચેક કરતાં’તાં.
‘જશો નહિ આમ છોડીને મને’ એવું એ કહેતાં’તાં,
અને સામાન પણ મારો ઝડપથી પેક કરતાં’તાં.
અમારી જિંદગી તો સાવ હમણાં કહું એ થઈ ગઈ છે!
વિધાતા શું જીવનના લેખ છેકાછેક કરતા’તા?
બન્યો માનવ મટીને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો,
વિચારો જેમ વાનર ત્યાંય ઠેકાઠેક કરતાં‘તા!
પ્રભુ ચરણે, સ્મશાને લાશ પર, કે કોઈ પણ સ્થાને,
ગયાં જ્યાં ફૂલ ત્યાં ચોમેર મ્હેકામ્હેક કરતાં’તાં
પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે
થયું કે આની માટે રાતદાડો એક કરતા‘તા?
~ અનિલ ચાવડા
……અને મારો સામાન ઝડપથી પેક કરતા થા…….ગમ્યું
અનિલ ચાવડા કલમના જાદુગર છે… તેમની ગઝલ એક અલગ જ ભાત પાડી જાય છે… આત્માની અંતિમ ગતિ છેવટે તો ઈશ્વર પાસે જઈને વિરમે છે જ્યાં પછી તેના કર્મોનો હિસાબ થશે તેની રમૂજ શૈલીમાં તેમણે કલમથી ઉતારી છે.. અભિનંદન કવિને…
વાહ ખુબ સરસ રચનાઓ અભિનંદન
વાહ અનિલ દા.. સુપર્બ