
🥀 🥀
*મુકદ્દરની વાત છે*
તારે જ હાથે ઘાવ, મુકદ્દરની વાત છે!
મારો વળી બચાવ, મુકદ્દરની વાત છે!
જેને નજર કિનારો ગણીને હસી રહી,
ડૂબી છે ત્યાં જ નાવ, મુકદ્દરની વાત છે!
મહેફિલમાં દિલની ધડકનોને ગણગણી તો જો,
પૂછે ન કોઈ ભાવ, મુકદ્દરની વાત છે!
આદમનું સ્થાન જેણે નકારી દીધું હતું,
એણે કહ્યું કે ‘આવ,’ મુકદ્દરની વાત છે!
ફરિયાદ ખાલી જામની પણ મેં કરી નથી,
આવો સરસ સ્વભાવ! મુકદ્દરની વાત છે.
‘મનહર’ હું સ્વપ્નમાંય નથી કેાઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
~ મનહરલાલ ચોકસી (29.9.1929 – 4.5.2005)
🥀 🥀
*વાતવાતમાં*
જેને હું વાતવાતમાં ઉલ્લેખતો રહું,
એ શક્ય છે કે એને કદી પણ ન ઓળખું.
એ પણ મજા કે હું જ સદા બોલતો રહું,
તમને લજામણી ન કહું તો હું શું કરું?
તારા જતાં જ મારું પણ અસ્તિત્વ ના રહ્યું,
જીવન તો તારા શ્વાસને ઉચ્છવાસથી હતું.
શબ્દો જ માત્ર મારા અધિકારના હતા,
ગીતોય કોઈનાં છે અને દર્દ કોઈનું.
હોવા વિષે તો આમ બધા એકમત થશે,
હોવાની વાત કોઈ પણ સમજી નથી શક્યું.
સંકેત સૂર્ય આપી શકે જો પ્રકાશનો-,
રાતે આ તારલાનું વળી કામ શું હતું?
‘મનહર’ જીવનમાં કોઈ દી’ જાણી નહી શક્યો
છે કોણ આપણું અને છે કોણ પારકું?
~ મનહરલાલ ચોક્સી
બંને રચનાઓ ખૂબ જ સરસ.સમૃતિ વંદન
ખુબ સરસ રચનાઓ ખુબ ગમી સ્મ્રુતિવંદન