મનસુખલાલ ઝવેરી ~ આયુષ્યની લહરી * Mansukhlal Zaveri

🥀 🥀

*વર્ષગાંઠ*


આયુષ્યની લહરી એક વળી વિરામી

આ કાલના ઉદધિમાં ગણના શી એની?
જન્મે મરે ક્ષણક્ષણે જન જ્યાં અનેક
ત્યાં જન્મનું જ ધરવું કશું રે ગુમાન?

ને મૃત્યુ જ્યાં અરવ તોય પદે અચૂક
ભૂંસી જવા પગલી રેતી પરેની સર્વ
આવી પ્રતિક્ષણ નજીક રહે છે તેમાં
શો વર્ષગાંઠ ધરવો તુજ હર્ષ હૈયે
?

ના અન્યથી લવ જુદો દિન આ; નથી આ
આજે અનન્ય કશુંયે મુજ સૃષ્ટિ માંહે;
છે સર્વ એનું બસ એ જ: તથાપિ કાં આ
કલ્લોલી ગાન રહું આજ કૃતાર્થતાનાં?

આવ્યો ન હોત અહીં જો? મનમાં વિચારું:
તો ક્યાં મને મળત આ બધું માણવાનું?
આ નીલ નીલ નભની નિતનવ્ય શોભા,
તારામઢેલ મધરાતની રમ્યતા આ;
આ રૂપ ને રસનું કાવ્ય વસુધરાનું,
મીઠું જેને અણુઅણુ લસે સત્ત્વ સૌન્દર્ય કેરું?

એનો મારો પરિચય વધે રાતદી જેમ જેમ,
મારો થાતો દૃઢ વધુ વધુ સ્નેહનો બન્ધ તેમ.

ને તેજ ને તિમિરના ધૂપછાંવ જેવું
ક્યાં માનવીનું મળવું ઉર આ રૂપાળું
?
આ રુદ્રરમ્ય મનુજીવન કેરી લીલા
ક્યાં હોત મેં નીરખી જો નવ હોત હું હ્યાં?

મારે આવ્યે થઈ વસુમતી ના ભલે લેશ ધન્ય,
હું તો આવી અહીં બની ગયો સર્વથા ધન્ય ધન્ય!
આજે વર્ષો પછીય દિન એ હું સ્મરું છું કૃતજ્ઞ
જ્યારે મારાં પ્રથમ જ અહીં ઊઘડ્યાં નેત્ર મુગ્ધ.

~ મનસુખલાલ ઝવેરી (3.10..1907 – 27.8.1981)

કવિ, વિવેચક, અનુવાદક. પ્રાધ્યાપકોના પ્રાધ્યાપક. જામનગર એમની જન્મભૂમિ. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ એમની કર્મભૂમિ. મનસુખલાલ ઝવેરી ગાંધીયુગના કવિઓમાંના એક છે. આ કવિ વિષાદના કવિ છે. જીવનમાં જો કોઈ મોસમ સનાતન હોય તો તે શ્રાવણની છે આ વાત એમની કવિતામાં ઘૂંટાય છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુના વલણ અને વળગણનાં કાવ્યો પણ એમની કલમમાંથી મળે છે. ઝાઝે ભાગે ખંડકાવ્ય અને સૉનેટમાં એમનું ચિંતન ઊપસી આવે છે. ‘આરાધના’, ‘અભિસાર’, ‘અનુભૂતિ’ એમના કાવ્યસંગ્રહો. ‘મનસુખલાલ ઝવેરીની કાવ્યસુષમા’ એમની કવિતાનું સંપાદન છે.

સૌજન્ય : બૃહત ગુજરાતી કાવ્યસમૃદ્ધિ સં. સુરેશ દલાલ

સર્જક : મનસુખલાલ ઝવેરી

https://webpreview1.site/?p=3060

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “મનસુખલાલ ઝવેરી ~ આયુષ્યની લહરી * Mansukhlal Zaveri”

Scroll to Top