🥀 🥀
*રામ જાગે છે*
ઊંઘ ખેંચું ને રામ જાગે છે
શ્વાસ પ્રત્યેક આમ જાગે છે
દેશ અથવા ન ગામ જાગે છે
જાગ તું, તો તમામ જાગે છે
રાતનું આ વજૂદ સમજી લે
સૂર્ય જોતાં જ હામ જાગે છે
માર્ગ રોકાય કેમ પળભર પણ
મીટ માંડી મુકામ જાગે છે
રાખ ચિંતા ન દ્વાર ખૂલવાની
એક ત્યાં મુક્તિધામ જાગે છે
~ મનોહ૨ ત્રિવેદી
કેટલી સાચી વાત છે કે ઊંઘ્યા પછી રામ જ જાગે છે. આપણે આપણી સુધ-સાન રાખીએ એ શક્ય નથી અને તોય સૂતી વખતે ઊઠ્યા પછીના કામની યાદી દિમાગ તૈયાર કરતું જ રહે છે. અલબત્ત વ્યાવહારિક રીતે એમ કરવું પડે એ સાચું પણ ન ઉઠ્યા તો બધુ ‘રામભરોસે’ મૂકવા જેટલી શ્રદ્ધા પેલી ગણતરીઓ સાથે સામેલ રહે તો સુવા-જાગવાનું ન્યાલ… રોજબરોજની આ ક્રિયાને વિષય બનાવીને કવિએ કેવું મજાનું ચિંતન રજૂ કર્યું છે !
🥀 🥀
*નિરાંતે એ જ ઊંઘે છે*
તમા રાખે વખતસરની નિરાંતે એ જ ઊંઘે છે
રહે ના યાદ પણ ઘરની નિરાંતે એ જ ઊંઘે છે
અહીંથી ત્યાં, ઉતારો ક્યાં? નથી ચિન્તા થતી જેને
કરે પરવા ન બિસ્તરની નિરાંતે એ જ ઊંઘે છે
ક્ષણો જેવી મળી એને સહજભાવે જ સ્વીકારી
પ્રથમની હો કે આખરની નિરાંતે એ જ ઊંઘે છે
તમે ઈશ્વર વિશે ચર્ચા કરી જાગ્યા કરો, પંડિત!
ખબર રાખી ન ઈશ્વરની નિરાંતે એ જ ઊંઘે છે
કબીરે સાળ પર બેસી કહ્યું: મંદિર કે મસ્જિદને –
ગણે જે કેદ પથ્થરની નિરાંતે એ જ ઊંઘે છે
પ્રશંસા કે પ્રતિષ્ઠાના નથી ઉદ્ગાર બે માગ્યા
મજા લે એ જ અંદરની નિરાંતે એ જ ઊંઘે છે….
~ મનોહર ત્રિવેદી
વાહ ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
આદરણીય કવિની બન્ને ગઝલો બહુ સરસ.. વંદન
વાહ, ઊંધવુ, અને જાગવું શબ્દો સાથે બંને ગઝલો ખૂબ જ સુંદર છે.
એકદમ નવા જ પ્રકારની અને સરળ પણ ગહન. મનોહરભાઇની બાની સ્પષ્ટ,પારદર્શક હોવાથી ગઝલિયતનો ધનુષ્ય ટંકાર કરતી સીધી આવે છે.