ચિનુ મોદી ‘ઇર્શાદ’ ~ આયનેથી * Chinu Modi

આયનેથી ધૂળ ઝાપટજે હવે : ચિનુ મોદી ‘ઇર્શાદ’

આયનેથી ધૂળ ઝાપટજે હવે,
તું ત્વચા ફાડીને અવતરજે હવે.

પાપણો બાળી ગયાં છે એટલે,
સ્વપ્નથી થોડુંક સાચવજે હવે.

મેં ફરી માળો બનાવ્યો વૃક્ષ પર,
વીજળીની જેમ ત્રાટકજે હવે.

હાથ મારો હાથમાં લીધો તો છે,
રોગ શો છે એય પારખજે હવે.

જાતને સીમિત કરી ‘ઇર્શાદ’ તેં,
શંખમાં દરિયાને સાંભળજે હવે. ~ ચિનુ મોદી ‘ઇર્શાદ’

(30.9.1939-19.3.2017)

એક એકથી ચડે એવા શેર લઈને આવેલી આ ગઝલ .. દરેક શેર હલબલાવી મૂકે છે… ગજબની શેરીયત ! શબ્દો અપર્યાપ્ત છે…

કવિ ચિનુ મોદી ‘ઈર્શાદ’ની આજે જન્મતારીખ. એ ઇતિહાસ થઇ ગયા ???? ‘શનિસભા’માં એમની સામે કવિતા વાંચવાનો મોકો મળેલો. મારા કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’ વિશે એમણે ગુજરાત ગાર્ડિયનમાં લેખ કરેલો…. અને છેલ્લે એમના મૃત્યુ સમયે સવારના પહોરમાં એમના ઘરે પણ પહોંચેલી…. એ બધા સ્મરણો…. આજે આંખ સામે તરે છે…. અફસોસ કે એમની સાથે એક ફોટો લેવાનું ક્યારેય ન સૂઝયું….   

30.9.21

***

છબીલભાઈ ત્રિવેદી

02-10-2021

આજે ચિનુ મોદી સાહેબ નો જન્મદિવસ આજનુ તેમનુ કાવ્ય ખુબજ ગમ્યું બધા શેર અેક અેક થી ચડીયાતા દિગ્ગજ કવિને વંદન આપને કવિ શ્રી નો ઘણો પરિચય થયો તે અભિનંદન ને પાત્ર છે આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top