હે ઓધાજી મારા વાલાને વઢીને કેજો રે
માને તો મનાવી લેજો રે ….
મથુરાના રાજા થ્યા છો ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતીને મે’લે ગ્યા છો રે …..
હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે….
એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાઓ
ગાયુને હંભારી જાઓ રે…
હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે…
વાલાની મરજીમાં રે’શું, જે કેશે એ લાવી દેશું
કુબજાને પટરાણી કે’શું રે …
હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે…..
તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયાધારણ
હે ગુણ ગાય ભગો ચારણ રે …
હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે
– ભગા ચારણ
શુદ્ધ કાઠિયાવાડી બોલીમાં રચાયેલું, લોકહૈયે વસેલું આ કૃષ્ણભજન. ભજન. આ લોકપ્રિય ભજન છેલ્લી પંક્તિમાં આપેલા નામ પ્રમાણે ભગા ચરણ રચિત હશે. લોકગીતો, ભજનોમાં ક્યાંક રચયિતાએ પોતાનું નામ ઉમેર્યું છે, ક્યાંક નામ વગર પરંપરાથી ગવાતી આવતી રચનાઓ મળે છે, ક્યાંક પાછળથી બીજાના નામો ઉમેરાઈ ગયાનું પણ ઈતિહાસે નોંધ્યું છે. આપણે આ રચનાને ભગા ચારણની રચના માનીને ચાલીએ અને લતા મંગેશકરના જાદુઇ સૂરનો આનંદ લઈએ.
16.12.20
કાવ્ય : મારા વાલાને વઢીને કે’જો રે * સ્વર લતા મંગેશકર
***
બકુલેશ દેસાઇ
13-04-2021
સરસ ભજન..સરસ છણાવટ..સરસ ગાન…ત્રિવેણી સંગમ
ધ્વનિલ પારેખ
13-04-2021
કાવ્યવિશ્વ વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ
