અવિનાશ પારેખ ~ જંગલમાં ફાટી નીકળેલા * Avinash Parekh

ગ્રીષ્મની ભીનાશ

જંગલમાં

ફાટી નીકળેલા હુલ્લડમાં

ઘવાયા છે ગુલમોર,

સૂરજની મશાલના

ટપકતા અંશોથી

સળગ્યા છે ગરમાળા

અને

અડાબીડ ફૂટી નીકળેલા અતડા વાંસના તણખા

દઝાડે છે રોમે રોમ.

આકાશઃ

તરડાયેલી ધરાની કરચલીવાળું

એક સુકાયેલ સરોવરનું તળિયું

શંકુદ્રુમની ટોચ ઉપર ટકી રહ્યું છે માંડમાંડ

એને વળગી રહેલું ભૂરા પાણીનું ધાબું

ક્યાંક રણમાં સળગીને ઉપર ચડ્યું છે

દરિયામાં જઈને વરસી પડ્યું છે.

એવામાં

મારી બારીના

ચોરસ આકાશના તળિયામાં

લીલ બાઝેલા

પીળા ચાંદના પથ્થરમાં

હજુ જે ભીનાશ સચવાયેલી છે

તું છે કે કવિતા?

~ અવિનાશ પારેખ (12.3.1949)

કવિને જન્મદિને વંદન  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “અવિનાશ પારેખ ~ જંગલમાં ફાટી નીકળેલા * Avinash Parekh”

  1. કુદરતમાં ઈશ્વરને નિરખનાર કવિને એમના જન્મ દિવસે અભિનંદન.

Scroll to Top