ગીતમાં આધુનિકતા ભાગ 4 ~ વિનોદ જોશી * Vinod Joshi * Geet
*ગીતતત્ત્વનો સૌથી સમૃદ્ધ પરિચય લોકગીતોમાંથી મળશે. તેનું ટકાઉપણું સિદ્ધ છે.*
www.kavyavishva.com
ગીતમાં આધુનિકતા ભાગ 4 ~ વિનોદ જોશી * Vinod Joshi * Geet Read More »
*ગીતતત્ત્વનો સૌથી સમૃદ્ધ પરિચય લોકગીતોમાંથી મળશે. તેનું ટકાઉપણું સિદ્ધ છે.*
www.kavyavishva.com
ગીતમાં આધુનિકતા ભાગ 4 ~ વિનોદ જોશી * Vinod Joshi * Geet Read More »
*ગીત અને સંગીત બન્નેમાં લયતત્ત્વ છે. પણ બન્નેમાં તેની કામગીરી જુદી છે.*
www.kavyavishva.com
ગીતમાં લય ભાગ 3 ~ વિનોદ જોશી * Vinod Joshi * Geet Read More »
*ટૂંકાવીને કુલ ચાર ભાગમાં વહેંચેલા લેખનો બીજો ભાગ*
www.kavyavishva.com
ગીત એક ઊર્મિકાવ્ય ભાગ 2 ~ વિનોદ જોશી * Vinod Joshi * Geet Read More »
કાવ્યબાની ~ સુમન શાહ કાવ્યબાની વિશેનો લોકોનો ખયાલ સામાન્ય છે. તેઓ એમ સમજે છે કે કાવ્યની ભાષા ચીલાચાલુ ન હોય, પરિચિત ન હોય; ભવ્ય હોય, એકદમ ઊંચા ગજાની હોય. કાવ્ય હોય એટલે, બસ એમ જ હોય ! સાચું, પણ સાવ એમ નથી, એમાં ઊંડું વિચારવાની જરૂર છે. પ્રાચીનકાળથી સાહિત્યકલાના ચિન્તકોએ સાહિત્યની ભાષા તેમજ કાવ્યબાની વિશે ઘણું વિચાર્યું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં, અલંકારવાદીઓ અલંકારને ‘સર્વસ્વ’ ગણે છે. કેમકે બાનીમાં અલંકાર એક ઉપકારક તત્ત્વ છે. કુન્તક વક્રોક્તિને રસસિદ્ધ કાવ્યનું ‘જીવિત’ ગણે છે. કેમકે વક્ર ઉક્તિની પણ બાનીમાં ચૉક્કસ ભૂમિકા છે. હું હમેશાં એક વાત ખાસ કહેતો હોઉં છું કે રસ અને ધ્વનિ બન્ને સમ્પ્રદાયો મુખ્યત્વે સાહિત્યકલાના અનુભવની વાત કરે છે. અલંકાર સમ્પ્રદાય અને વક્રોક્તિવિચાર સવિશેષે કાવ્યભાષાની વાત કરે છે. આપણે યાદ રાખવું જોઈશે કે એથી સંસ્કૃત કાવ્યમીમાંસામાં કલા અને તેને પ્રગટાવનારી ભાષા બન્નેનો વિચાર થયો છે. કહો કે એથી શાસ્ત્રીય પરિપૂર્તિ થઈ છે. “ઑન ધ સબ્લાઇમ”-માં લૉન્જાઇનસ કહે છે કે ઉત્કૃષ્ટ વિચારનો પ્રકાશ સુન્દર શબ્દોથી પ્રગટે છે. એમણે કહ્યું છે કે તુચ્છ વિષયો માટે ભવ્ય રીતિ પ્રયોજશો નહીં. સાહિત્યભાષાનો કે કાવ્યબાનીનો મિથ્યા મહિમા થતો હોય તો એને પડકારજો, ચલાવી લેશો નહીં. “પોએટિક્સ”-માં ઍરિસ્ટોટલે કાવ્યબાની વિશે એક સરસ વિધાન કર્યું છે : કાવ્યબાની ‘સરેરાશ’ હોવાને સ્થાને ‘વિશદ’ હોવી જોઈએ : પછીની સદીઓમાં, કવિઓએ વિશદતા માટે ઘણું કર્યું. ઉપરાન્ત, પુરાકાલીન કવિઓએ પ્રયોજેલાં eftsoons (તુરન્ત બાદ), prithee (સવિનય પ્રાર્થું છું કે), oft (બહુશ:) અને ere (આ પૂર્વે) જેવાં આર્કેઇક -કાલગ્રસ્ત- લટકણિયાં જોડીને પોતાની અભિવ્યક્તિઓને તેઓએ વધારે પડતી ભારે કરી નાખી. આપણા કેટલાક પણ્ડિતો ‘તત્ પશ્ચાત્’ ‘વારુ’ ‘તદપિ’ ‘તથાપિ’ ‘કદાચિત્’ પ્રયોજતા હતા, લગભગ એના જેવું. “લિરિકલ બૅલેડ્સ”-ની પ્રસ્તાવનામાં વર્ડ્ઝવર્થ એ પ્રયોગોને ‘inane phraseology’ કહે છે -શબ્દગુચ્છો વડે વાતને વ્યર્થ લંબાવવી તે; એક જાતનો વાગાડમ્બર. કાવ્યસામગ્રીરૂપ હરેક વિષયમાં મનુષ્યચિત્તને રસ પડે તે સિદ્ધિને વર્ડ્ઝવર્થે કવિતાનું મહિમાવન્ત લક્ષણ ગણ્યું છે. કહ્યું છે કે કવિઓનાં સર્જનોમાં એ દેખાશે, નહીં કે વિવેચકોનાં લખાણોમાં. વર્ડ્ઝવર્થે આલંકારિકતાનો વિરોધ કર્યો અને ભાષાથી કાવ્યભાષાની વ્યાવર્તકતા કે જુદાઇ પર ભાર મૂક્યો. એ માટે એટલે લગી કહ્યું કે વિવિધ પરિસ્થતિઓમાં માણસો પ્રયોજે છે એવી ભાષા કવિઓએ કાવ્યોમાં પ્રયોજાવી જોઈએ. એ અર્થમાં તેઓએ કાવ્યબાનીના વિચારને વાણી સાથે સાંકળેલો. યાદ આવે છે કે સંસ્કૃત કાવ્યાચાર્યોએ સ્વાભાવોક્તિનો કાવ્યપરક મહિમા કર્યો જ છે, વળી, ક્યારેક અલંકૃતિ ન પણ હોય, એટલે લગી પણ કહ્યું છે. પરન્તુ સૅમ્યુઅલ ટેલર કૉલરિજે “બાયોગ્રાફિયા લિટરેરિયા”-માં વર્ડ્ઝવર્થનાં મન્તવ્યોની સમીક્ષા કરતાં જણાવ્યું કે તેઓ મુદ્દાને વધારે પડતો વિકસાવી રહ્યા છે; તેમનાં પોતાનાં ઉત્તમ સર્જનો તેમની જ એ વાતથી વિરુ્દ્ધ જતાં વરતાય છે. એટલું જ નહીં, માણસોની ભાષામાં લખાયેલી તેમની કેટલીક કૃતિઓ તો કાવ્યના સ્તરે પ્હૉંચતી જ નથી. હું સાદા વિચારો રજૂ કરું : ધારો કે, કાવ્ય ગુજરાતી ભાષામાં લખાયું છે, તે છતાં, તે કાવ્ય રસોડામાં કે છાપાંમાં વપરાતી ગુજરાતી ભાષામાં નથી હોતું. તે હંમેશાં કાવ્યની ભાષામાં હોય છે. એથી આગળ, કાવ્યની ભાષા વડે કાવ્યબાની -એક જાતની વાણી- પ્રગટતી હોય છે. દાખલા તરીકે, નિરંજન ભગતનું “પ્રવાલદ્વિપ” ગુજરાતી ભાષામાં લખાયું છે. પણ તે, ‘ચલ મન મુમ્બઇ નગરી’ જેવી કાવ્યભાષામાં છે. એથી એવી બાની પ્રગટી છે જેમાં કાવ્યનાયકનો અવાજ અને કવિની આધુનિક સર્જનપદ્ધતિની આગવી અસર પણ અનુભવાય છે. અનેક કાવ્યોના સર્જકની નિજી વાણીને બાની કહેવાય. બાની ભાવકે અનુભવવાની વસ છે. દાખલા તરીકે, નામ ન જણાવ્યું હોય તો પણ ગમ પડી જાય કે આ પંક્તિ તો નિરંજન ભગતની છે, નહીં કે કોઈ બીજાની. આ સૉનેટ તો ઉમાશંકરનું છે, ન તો કોઈ અન્યનું. આ ગીત તો રાજેન્દ્ર શાહનું જ છે. વગેરે. એથી આગળ, સમર્થ કવિની બાની છેવટે એની શૈલીની, સ્ટાઇલની, સિગ્નેચરની, પૂર્વભૂમિકા બને છે. એટલે પછી, જેમકે, આપણે કહી શકીએ છીએ કે આ શૈલી તો નિરંજન ભગતની છે, આ તો ઉમાશંકર છે, આ તો રાજેન્દ્ર શાહ છે. વગેરે. શૈલીથી સાહિત્યકારની ઓળખ બને છે, પરન્તુ હરેક ભાષાસાહિત્યમાં ઓળખ વગરનાઓની વસતી મોટી હોય છે. શૈલીની ઉપપત્તિ રૂપે કહેવાવા લાગે છે કે ઉપમા તો, કાલિદાસની જ; બાણની “કાદમ્બરી”નું ગદ્ય કવિનામ્ નિકષમ્ છે; શ્રીહર્ષનું “નૈષધ૦” વિદ્વદૌષધ છે; પ્રેમાનંદના પૅંગડામાં…વગેરે. સમર્થોની શૈલી અનનુકરણીય હોય છે અને હમેશાં એમ જ રહે છે. રવીન્દ્રનાથ, શેક્સપીયર કે બૅકેટનું અનુકરણ શક્ય નથી. કોઈ કીર્તિઘૅલો અનુકરણ કરવા જાય તો હાંફી જાય, ઉપહસનીય લાગે, ગાંડો, અને એમ પુરવાર પણ થાય. આપણા અમુક જ સમકાલિક કવિઓની રચનાઓ કાવ્યબાનીનો અને તેમના અવાજનો તેમજ શૈલીનો અણસાર આપે છે. સારું છે કે તેઓ આપણી સમક્ષ છે. OP 6.10.22 *** અભિપ્રાયો Vipul pandya 17-10-2022 વાહ, ખૂબ જ ઉપયોગી સાજ મેવાડા 15-10-2022 સરસ માહિતી, સમજવા યોગ્ય, છતાં કાવ્યમાં કંઈક નવું મન હ્રદયને સ્પર્ષે એવું હોવું જોઈએ. Kirtichandra Shah 06-10-2022 The remark that one should not use beautiful or nice words for base matters or events are 100 percent right. I HV seen poem about sounds from The seat of camode. છબીલભાઈ ત્રિવેદી 06-10-2022 ખુબ ખુબ અભિનંદન સરસ કાવ્ય બાની આભાર લતાબેન
કાવ્યબાની : સુમન શાહ * Suman Shah Read More »
* મત્લઅથી મક્તઅ સુધી *
www.kavyavishva.com
ચિનુ મોદી ~ ગઝલ વિશે * Chinu Modi * Gazal Read More »
* ‘ગઝલ(કાવ્યત્વ) અતિ છટકણી ચીજ છે. એની વ્યાખ્યા બાંધવાની હોય નહીં. *
www.kavyavishva.com
ગઝલ : રમેશ પારેખ Ramesh Parekh Read More »
ગઝલ સાહિત્યવિવેચનમાં ‘મિઝાજ’ શબ્દ ઠીકઠીક પ્રમાણમાં ચર્ચાના ચગડોળે ચડ્યો છે. * www.kavyavishva.com
ગઝલનો મિજાજ : શકીલ કાદરી Read More »
સુમન શાહ ~ મંતવ્ય જ્યોત : કાવ્યપ્રકાર કાવ્યના સર્જકો ભાવકો વિવેચકો અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ અને આપણે સૌએ ૩ વસ્તુ બરાબર સમજી રાખવી જોઈશે : કાવ્યપ્રકાર. કાવ્યમાધ્યમ. કાવ્યબાની. આ જ્યોતમાં, વાત કરું કાવ્યપ્રકારની : કોઈ કાવ્યપ્રકાર પૂર્વકાલીન સર્જકો વડે પ્રયોજાયો હોય અને નવી પેઢી લગી પ્હૉંચ્યો હોય એ ઘટના એ કાવ્યપ્રકારની પ્રસિદ્ધિ બતાવે છે -દાખલા તરીકે, સૉનેટ; ઈટાલિમાં જન્મ્યું અને ફરતું ફરતું ગુજરાતી સાહિત્યક્ષેત્રે આવી બેઠું અને આપણા કવિને હાથ ચડ્યું. હું કહું કે કોઈપણ પ્રકાર પૂર્વકાલીનો તરફથી મળેલો સાહિત્યપરક વારસો છે. એમાં એ વ્યક્તિઓની સર્જકતા ઠરી હોય છે. સર્જનનો એ નીવડેલો તરીકો હોય છે. પ્રકાર સ્થિર થાય એટલે એનું સ્વરૂપ બંધાય, એની પરમ્પરા ઊભી થાય. સ્વરૂપ કેટલાક નિયમોથી બધાયું હોય. બંધારણ અનુસારના નિયમોને દરેક સર્જક વશ રહેતો હોય. રાગ બાગેશ્રી ગાવા ઇચ્છે એ ગાયક બાગેશ્રીના બંધારણને વળગી રહે તેમ સૉનેટ લખવા માગનાર ૧૪ પંક્તિ આદિ નિયમોનું પાલન કરે. ટૂંકમાં, કોઈપણ કાવ્યપ્રકારમાં કે સાહિત્યપ્રકારમાં લખવા માગનારે બંધારણને ચુસ્તપણે અપનાવવું પડે. આ એક પાયાની શરત છે. પણ એ શરત એટલે? શું એ નિયમોથી બંધાયેલા-જકડાયેલા રહેવું? શું એ પરમ્પરાને આંખો મીંચીને સ્વીકારી લેવી? શું એ વારસાને વાસણ, ભાજન કે બીબું સમજીને ચાલવું? ના. જો એવી જડતા-સજ્જડતા આચરવામાં આવે તો બંધારણ મુજબનું બધું રૂડુંરૂપાળું દેખાય ખરું, પણ એ કોઈ મોટી સિદ્ધિ ન પણ હોય. કેમકે પરમ્પરા નબળી પડી ગઈ હોય અને કાવ્યપ્રકારો વપરાઈ-ઘસાઈને મન્દપ્રાણ થઈ ગયા હોય. જરા વિચારો કે શું સૉનેટની બધી જ શક્યતાઓ ખરચાઈ ચૂકી નથી? કેટકેટલા કવિઓએ એને કેટકેટલી વાર ખેડ્યું છે ! એ કેટલું લપટું પડી ગયું છે, તેનો કોઈ હિસાબ નથી. વાત એમ છે કે મન્દપ્રાણ થઈ ગયેલા પ્રકાર પાસેથી સર્જકો ધાર્યું કામ લઈ શકતા નથી. જેની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય એ તલવારથી લડી નથી શકાતું, દાવપેચ તો કરી શકાતા જ નથી. એ તલવારને સજાવવી પડે છે, એમ એ સાહિત્યપ્રકારને કે કાવ્યપ્રકારને પ્રયોગોથી સજીવન કરવો પડે છે. એવો એક પ્રયોગ તે પરમ્પરાનો વિદ્રોહ. રૂઢ નિયમોનો અસ્વીકાર. નાટકના સંદર્ભે ઍરિસ્ટોટલે વર્ણવેલા અને નીયોક્લાસિઝમ લગી વિસ્તરેલા, સ્થળ કાળ અને ક્રિયાની યુનિટીઝના નિયમો શેક્સપીયરે ફગાવી દીધા છે. જોકે, “ધ ટૅમ્પેસ્ટ”-માં સ્થળ કાળ અને ક્રિયા સાચવ્યાં છે, પણ એ તો અપવાદ. બીજો પ્રયોગ છે, બંધારણને ફગાવી દેવાનું સાહસ. જેમકે, એવા સાહસને પરિણામે, ગ્રીક અને લૅટિનમાં ખૂબ જ વપરાઈ ચૂકેલા પૅન્ટામીટરનું સ્થાન લીધું, બ્લૅન્ક વર્સે અને તે પછી ફ્રી વર્સે. વૉલ્ટ વ્હિટમૅનનું ‘સૉન્ગ ઑફ માયસૅલ્ફ’ કે ટી.ઍસ. એલિયટનું ‘સૉન્ગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રુફ્રોક’ ફ્રી પ્લેનાં અચ્છાં નિ દર્શનો ગણાય છે. આપણે ત્યાં સંસ્કૃત અક્ષરમેળમાંથી આપણે માત્રામેળમાં ગયા ને તે પછી અછાન્દસમાં; અધ્યેતાઓને એનાં દૃષ્ટાન્તો યાદ કરાવવાની જરૂર નથી. છેલ્લે તો, સર્જકે સમજી રાખવું કે કાવ્યપ્રકાર કે કોઇપણ સાહિત્યપ્રકાર નિયમોથી આબદ્ધ એક ‘ગેમ’ છે, નિયમોમાં રહીને ‘ગેમ’ ચલાવવી તે સારી વાત છે, પરન્તુ એ જ નિયમોમાં રહીને ‘પ્લે’ કરવો તે વધારે સારી વાત છે. સામાન્ય સર્જકો ‘ગેમ’ કરી જાણે છે પણ અ-સામાન્ય સર્જકો ‘પ્લે’ કરી બતાવે છે. ‘ગેમ’-માં એના નિયમો સચવાયાની મજા લેવાય છે, જેમકે, ધ્યાનથી રમાતી ક્રિકેટમાં; પણ ‘પ્લે’ તો ત્યાં નિયમોસહિતની લીલા હોય છે, એમાં, ચૉગ્ગા-છગ્ગાની રમઝટ બોલતી હોય અથવા તો ક્લીન બોલ્ડ્સનો આનન્દ જ આનન્દ. કાવ્યપ્રકારના બારામાં મહત્ત્વનો મુદ્દો સર્જકની વૈયક્તિક સર્જકતા છે, તેમ છતાં, સર્જક પોતાની સર્જકતાનો યોગ-વિનિયોગ કેવોક કરે છે એ મુદ્દો વધારે મહત્ત્વનો છે. એ મુદ્દા વિશે આવા પ્રશ્નો કરીને વિચારવું જોઈશે : ૧ : કોઈ કવિને છંદોબદ્ધ કાવ્ય રચવાની ફાવટ આવી ગઈ હોય, બીજો એકેય કવિ છન્દમાં લખતો જ ન હોય, તો પણ શું એણે મન્દાક્રાન્તા વગેરેના લઘુ-ગુરુમાં બધું બેસાડ્યા કરવું કેટલું હિતાવહ છે? ૨ : બધા કવિઓ અછાન્દસ કરે છે માટે કશી ગતાગમ ન હોય તો પણ કવિયશપ્રાર્થી અછાન્દસમાં ઝંપલાવે તો શું થાય? ૩ : કોઇ અછાન્દસકાર મહાન ગણાઈ ગયો હોય, એને પણ એથી જરાય જુદું ન લાગતું હોય, અને એ જુએ કે ગુજરાતી કવિતામાં ઋતુ અનુ-આધુનિકતાની બેઠી છે, તો લાવ ને, બે-ચાર લાંબીટૂંકી લીટીઓમાં વિચારો લખી પાડું, તો શું એની એ તકવાદી ચેષ્ટાને એની સર્જકતાનો વિકાસ ગણવી જોઈએ? ૪ : કોઇ નવોદિતને ગેરસમજ થઈ હોય કે ગઝલમાં તો ઝાઝો સમય નથી આપવો પડતો ને વાહવાહી ઝટ મળે છે, અને એ રદીફ-કાફિયાના મેળ બેસાડતો થઈ જાય, તો શું એને તુરન્ત ગઝલકાર ગણી લેવાનો? : યુગસ્પન્દન -ટાઇમસ્પિરિટ- ગદ્યાળુ અનુભવાતું હોય તે છતાં અલંકાર પ્રાસ વગેરેની કાવ્યાત્મક કસરતો કવિઓ બસ કર્યા જ કરે ને સર્જનાત્મક પરિવર્તન દાખવે જ નહીં તે પ્રવૃત્તિને કેટલી સમીચીન ગણી શકાય? આ પ્રશ્નોના સરળ ઉત્તર બે છે : ૧ : કવિઓ નિરંકુશ હોય છે, આપણે કોણ એને પૂછવાવાળા? જેને જેમાં ફાવે એમાં સરજે : ર : કાવ્યપ્રકારની પસંદગી સ્વયંભૂ છે. સર્જનસંકલ્પ અનુસાર તે આપોઆપ નક્કી થઈ જાય છે -શોકમાંથી શ્લોક પ્રસવે છે. બન્ને ઉત્તર સાચા છે, તેમ છતાં, ઉપર્યુક્ત પ્રશ્નો પૂછવાલાયક નથી એમ નથી, કેમકે એથી, છેલ્લે તો કયા કવિની સર્જકતા કેટલી મૌલિક છે તેનાં માપ મળી આવે છે. સમજાઇ જાય છે કે દેખાદેખીથી લખનારો કયો છે, કયો અનુકરણિયો છે, કયો ફૅશનિયો છે, કયો તકસાધુ છે, કયો અ-કવિ છે, તો વળી, કયો સ્વકીય છે, કયો સ્વાયત્ત છે. વિચારો કે આવા પ્રશ્નો કરીએ જ નહીં તો શું થાય? બધા જ સુ-કવિ કે કવિ લાગે, કોઇ કોઇ તો, મહાન ! મૂળ પોસ્ટીંગ 23.6.2022
કાવ્યપ્રકાર : સુમન શાહ Read More »
પદ આદિ લઘુકાવ્યો – ઉમાશંકર જોશી આપણી ભાષાઓમાં પદ શબ્દ કાવ્યના અમુક ખાસ પ્રકારનો નિર્દેશ કરવા માટે વપરાયો છે. મીરાંના પદ, ભાલણનાં પદ, ધીરાનાં પદ,દયારામના પદ, એ જ પ્રમાણે વ્રજમાં સુરદાસનાં પદ, અવધીમાં તુલસીદાસના પદ, બંગાલીમાં ચંડીદાસના પદ જાણીતાં છે. નાના ટૂંકા ગેય કાવ્યો પદો કહેવાય છે. કાવ્યના બધા પ્રકારોમાં આ પદનો કાવ્યપ્રકાર દરેક સાહિત્યના આરંભકાળમાં સૌથી વધુ આગળ પડતો હોય છે અને વધુ ખેડાયો હોય છે, અને એ સ્વાભાવિક છે. કવિઓ ભાવના ઊભરાઓને શબ્દમાં આકાર આપવા માટે કે પદનો જન્મ થાય. કવિતા રચવાનો પ્રયત્ન કરવા માંડતાં જ કુદરતી રીતે આ પદનો પ્રકાર પ્રથમ ખેડાવા માંડે. પદ્યમાં સહજ રીતે, સરળ રીતે, લાગણીના જે ઉદ્ગારો નીકળે તે બધા પદો જ બની રહે, કાઈ વાદ્ય સાથે અથવા નૃત્યના તાલ સાથે એ ગવાતાં હોય એટલે સુગેય પણ હોય. અત્યારની પરિભાષામાં કહેવું હોય તો પદો એ ગેય ઊર્મિકાવ્યો – ઊર્મિંગીતો – છે. બધા ભાષાસાહિત્યોના આરંભકાળમાં સર્વપ્રથમ આવાં ઊર્મિગીતો એટલે કે પદો જ ઘણુંખરું મળશે. એ પ્રેમનાં હશે, પ્રકૃતિ સૌંદર્યના હશે, જીવનના ઉલ્લાસ કે હાસનાં હશે, મૃત્યુનાં હશે, અગમનિગમનાં હશે. આપણી ભાષા વિશે એક ખાસ હકીકત લક્ષમાં લેવા જેવી છે. આપણા દેશમાં જે સમયમાં ભક્તિનું મોજુ ચારે તરફ ફરી વળ્યું હતું, દેશની દોદળી બનેલી ધાર્મિકતા અન્ય ધર્મોના ધસારા સામે સ્વરક્ષણ અર્થે ભક્તિને એક તરણેાપાય લેખીને વળગી પડી હતી, એ સમયમાં આપણા દેશની – ઉત્તર હિંદની – આધુનિક ભાષાઓને જન્મ અને વિકાસ થયો છે. આનું એક સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે આપણી ભાષાના આરંભનું પદસાહિત્ય મુખ્યત્વે ધર્મવિષયક છે. પ્રેમ, પ્રકૃતિસૌંદર્ય, જીવનોલ્લાસ, મૃત્યુ, અગમ નિગમ એમ બધાને જ વિશે પદો લખાયાં હોય એવું આપણી ભાષાઓનાં પદ અંગે જોવા મળતું નથી, પણ કેવળ ધર્મના વિષયનાં જ પદો ઘણુંખરું મળે છે. ધર્મને આ રીતનું પ્રાધાન્ય આપણી ભાષાઓના ઊગમથી માંડીને છેક અંગ્રેજોના આગમન સુધીના આખાય કાળમાં મળ્યું છે. એ આખાય કાળનાં નરસિંહ, મીરાં, ભાલ, ધીરા, ભોજો, રામકૃષ્ણ, રઘુનાથ, રાજે, શાંતિદાસ, દયારામ — એ સૌ કવિઓનાં ટ્રંકાં કાવ્યો એ મુખ્યત્વે ધર્મવિષયક પદો જ છે. ભક્તિનો રંગ આ ધર્મવિષયક પદસાહિત્યમાં ભક્તિ એ સૌથી મુખ્ય પ્રેરણા છે. નરસિંહ ગાય છેઃ પ્રાતઃ સમે સૂર ઊગ્યા પહેલાં, જો રે રસના મુખ રામ કહે;હાં રે હાં રે કૃષ્ણને તું ભજ નામે; જગમાં તારું નામ રહે. વચ્ચે એક વસ્તુ સ્પષ્ટ કરી લઈએ. નરસિંહે સવાલાખ પદે રચ્યાં હતાં. એમ કહેવાય છે – એના નામનાં પદો મોટી સંખ્યામાં મળે પણ છે, પણ તે ઉપરાંત ‘ નરસિંહનાં પ્રભાતિયાં’ પણ પ્રસિદ્ધ છે. પ્રભાતિયાં એટલે પ્રભાતમાં ગાવાનાં ભક્તિ અને જ્ઞાનનાં કાવ્યો. એ સારી રીતે ગવાય એવાં છે, એટલે એ બધાં પ્રભાતિયાં પદનો જ એક પ્રકાર છે. પ્રભાતિયાંમાં આપણને ભક્તિ ઉપરાંત જ્ઞાનની ઝલક પણ જોવા મળે છે. જાગીને જોઉં તા જગત દીસે નહિ,ઊંઘમાં અટપટા ભાગ ભાસે;.. બ્રહ્મ લટકાં કર બ્રહ્મ પાસે. નાનકડાં મધુર પદેા સામાન્ય રીતે સારા કવિના હાથમાં લલિત કૃતિ તો જરૂર બની રહે. પણ નરસિંહ આપણા એક એવા કવિ છે જેનાં પદ – ઊર્મિકાવ્યો સહેજમાં ભવ્યતા(Sublimity )ની મુદ્રા ધારણ કરે છે. પદની અર્ધીક પક્તિમાં પણ એ ભવ્યસુંદર ચિત્ર રમતાં મૂકી શકે છે. પરમતત્ત્વનું માપ બુદ્ધિ પામી શકતી નથી, આ અનંત ઉત્સવમાં ભૂલી પડ્યા જેવી બની રહે છે, એનું ચિત્ર સુરેખ છેઃ પદો દ્વારા બોધ પણ પીરસાતો હોય છે. સાચા કવિના હાથમાં એવાં બોધપ્રધાન પદેામાં પણ સર્જકસૌંદર્ય પ્રગટ થાય છે, પણ સામાન્ય રીતે એવાં બોધનાં પદો કવિતા તરીકે નમાલાં હોય છે. મીરાં ‘દીવા કરે ’ એ પદમાં બોધ આપે છે પણ એની પાછળ કેવી આરજૂ છે ! એના અવાજમાં કેવી સચ્ચાઈ છે! તમે જાણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે,આ દિલ તો ખોલીને દીવા કરો હો જી… . અને પછી તરત જ એ એવાં ચિત્ર રજૂ કરે છે કે શુષ્ક બોધને બદલે આપણને આશ્રર્યમુગ્ધ બનાવતી અવળવાણીના આનંદ મળે છે. આ રે કાયામાં છે વાડીઓ રે હો જી, માંહે મોર કરે છે ઝીંગારા રે.આ રે કાયામાં છે સરવર રે હો જી, માંહે હંસ તે કરે છે કલ્લોલા રે… પ્રકૃતિસૌંદર્યનાં પદો પ્રકૃતિસૌંદર્યનાં સ્વતંત્ર પદો – ઊર્મિકાવ્યો ભલે ન હેાય, પણ રાધાકૃષ્ણની વાતોમાં, કૃષ્ણ ગેાકુળથી મથુરા વિદાય થયા પછી રાધા અને સૌ ગોપીઓએ વિરહના બાર મહિના કેવા વિતાવ્યા તેના વર્ણનમાં કુદરતના સૌંદર્યની ઝલક ઊતરે એ સ્વાભાવિક છે. ભક્તિની ભૂમિકા ઉપર રહીને પણ કવિઓએ પ્રકૃતિસૌંદર્યનો પોતે જે કેફ અનુભવ્યો છે તે પોતાનાં પદોમાં મબલકપણે ગાયો છે. મીરાં ગાય છે બોલે ઝીણા મેાર,રાધે તારા ડુંગરિયા પર ખેાલે ઝીણા મારએ મોર હી બોલે, બપૈયા હી બોલે, કોયલ કરે કલશોરઝરમર ઝરમર મેહુલા વરસે, ભીંજે મારા સાળુડાની કોર. કેવું સુરેખ પ્રકૃતિચિત્ર છે ! રાધાને સંબોધન કર્યું છે એટલું જ અને અંતે ‘બાઈ મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ, પ્રભુજી મારા ચિતડાનો ચોર’ એમ કહ્યું છે, પણ ઉઠાવ તો પ્રકૃતિસૌંદર્યને જ મળ્યો છે. પદકવિઓએ ભક્તિની ફ્રેમમાં પ્રકૃતિચિત્રોને મઢયા છે એટલું જ. પદ અને આખ્યાનકવિતા મીઠાએ મોરલીની અસરના પ્રસંગ પદમાં આલેખ્યા છે. એ રીતે કોઈક વાર નાનકડા પદમાં એક આખું કથાનક કવિ રજૂ કરી દેતા હોય છે. ભાલણનું સ્મિતમધુર પદ ‘રામ અને નાવિક ’ એનું સુંદર ઉદાહરણ છે. નાવિકને રામના ચરણ ધોવાની તક લેવી છે, પણ તે એણે વી રીતે મેળવી એની હાસ્યરસિક કથા કવિ નિરૂપે છે. નાવિક બધાંને સંભળાવે છે કે સીને પેાતે હૈાડીમાં બેસવા દેશે, માત્ર એક રામ સિવાય. એ રામના ચરણની રજ શલ્યાને અડતાંવેત તેની અહલ્યા થઈ ગઈ હતી. એની ચરણરજથી પેાતાની હોડી જો સ્ત્રી બની જાય, તો પેાતાને બે પત્નીઓનું પોષણ કરવાવારો આવે અને આજિવિકાનું સાધન હોડી તે તો પેાતે ગુમાવી બેઠો હેાય. માત્ર બાર પંક્તિમાં કથાનક સુરેખ રજૂ થયું છે. શરૂઆત જુઓ, નાવિક વળતા બોલિયા, સાંભળ મારા સ્વામ;સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારુ રામ….. એ હકીકત ખાસ નોંધપાત્ર છે કે પદ જે ઊર્મિકાવ્યના પ્રકાર હતા તેને ઉપયેાગ કથાકાવ્ય તરીકે થવા માંડ્યો એવું આવા દાખલાઓ દ્વારા જોવા મળે છે. ખાસ કરીને રામનું બાળપણ કૃષ્ણનું બાળપણ એ આવાં નાનાં નાનાં પ્રસંગાત્મક પદો દ્વારા ગાવું શકય બન્યું અને આખ્યાનકવિતાની એ રીતે શરૂઆત થઈ. ભાલણ કવિએ દશમસ્કંધ પદોમાં લખ્યા છે. સળંગ આખ્યાનરૂપે બાણની કાદંબરીનો અનુવાદ પણ ભાલણે આપ્યો છે. પ્રેમાનંદમાં આખ્યાનકવિતા પરાકાષ્ઠાએ પહેાંચી. પણ પ્રેમાનંદની છેલ્લી કૃતિ છે, દશમસ્કંધ – જેમાં આખા આખ્યાનને નાના નાના પ્રસંગો નિરૂપતાં ભાવસભર પદોમાં રજૂ કરવામાં આવ્યું છે. પદમાંથી વિકાસ પામીને આખ્યાનકવિતા ફરી પાછી પદમાં આવીને વિરમી છે. પ્રેમાનંદના દશમસ્કંધ પછી ઉત્તમ આપ્યાન આપણને કોઈ કવિ પાસેથી મળ્યું નથી, પદકવિતા મળી છે. ભાલણે પદોમાં લખેલા દશમસ્કંધ અને પ્રેમાનન્દે પદ્યમાં લખેલા દશમસ્કંધ વચ્ચે ગુજરાતી આખ્યાનકવિતાના ઊગમ, વિકાસ અને સિદ્ધિનો ઇતિહાસ સમાયેલા છે. આ રીતે જોતાં પદસાહિત્ય એ આપણી ગુજરાતી કવિતામાં કેવું મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેનો કાંઈક પરિચય થશે. કટાક્ષના પદ સાહિત્ય મુખ્યત્વે ધર્મવિષયક છે, પણ
પદ આદિ લઘુકાવ્યો : ઉમાશંકર જોશી * Umashankar Joshi Read More »
ગદ્યકાવ્યનું સ્વરૂપ : યોસેફ મૅકવાન સાર્થક જોડણીકોશ પ્રમાણે – કાવ્યની શૈલીમાં લખાયેલું ગદ્ય’. ફ્રેન્ચ ભાષામાં 18મી સદીથી ગદ્યકાવ્યનું અસ્તિત્વ આજદિન સુધી ચાલતું રહ્યું છે! ફ્રેન્ચ કવિ બોદલેરના નિધન બાદ એમના પચાસ ગદ્યકાવ્યોનો સંગ્રહ Petits Poemes en Prose’ પ્રગટ થયો હતો. તેમના કવિ મિત્ર આર્નેસ હુસાયને આ ગદ્યકાવ્યોને જગતમાં સ્વાયત્ત – સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે સ્થાપ્યો. પછી તો પશ્ચિમના સાહિત્યમાં તેનો વિસ્તાર વિકાસ-પ્રસાર થયો. આમ ગદ્યકાવ્ય આંતરરાષ્ટ્રીય કાવ્યસ્વરૂપ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું. પદ્યમાં કાવ્ય સિદ્ધ થતું હતું, હવે ગદ્યમાં તે સિદ્ધ થવા લાગ્યું. પદ્યમાં તો તેનું બાહ્ય સ્વરૂપ સ્પષ્ટપણે વરતાય છે. ભાવ, અર્થ, વસ્તુવિષય, પદાવલિ, શબ્દસૌંદર્ય, નાદસૌદર્ય, અલંકાર વગેરેથી તેના આકાર-એકતા-આકૃતિ સધાય છે. તેને આંખથી પામી શકાય છે. પઠનથી માણી શકાય છે. મુદ્રણથી જાણી શકાય છે! ગદ્યકાવ્યમાં આવું કોઈ બાહ્ય સ્વરૂપ હોતું નથી. કેવળ તેનું આંતર સ્વરૂપ જ તેનો આધાર અને આકાર હોય છે. તેમાં કોઈ છંદ હોતો નથી, પ્રાસ હોતો નથી, પરંતુ કવિતા સિદ્ધિના સર્વ અંગો હોય છે. તેથી પળેપળે તેમાં નવીનતાનો ધબકાર સંભળાય છે. એ જેમ પમાતું જાય તેમ ભાવક /શ્રોતાના ચિત્તમાં કાવ્યભાવ આકારતું જાય છે. સંવેદનો, ઊર્મિ જગવતું જાય છે. તેમાં તત્કાલ આવતાં પ્રતીકો-કલ્પનો ભાવને એકરૂપ કરે છે. તેમાં અજ્ઞાત મનના આઘાત પ્રત્યાઘાત, સ્વપ્નો, ખ્યાલો, વિચારો વગેરેના ભાવો વાણીના લય, કાકૂઓ, લહેકાથી ઉજાગર કરે છે. એટલે ગદ્યકાવ્યને અછાંદસ કહેવું એ ‘અકાવ્ય’ કહેવા બરાબર છે. યાદ રહે કાવ્ય સાથે માત્ર બે જ શબ્દો ટકશે. કાવ્યમ ગદ્યમ ચ પદ્યમ ચ.’ પહેલો ‘ચ’ એટલે ‘અને’ નો અર્થ સૂચવે છે બીજો ‘ચ’ ચોક્કસપણાનો અર્થ સૂચવે છે એટલે કે પૂર્વસૂરિઓએ આપેલું સૂત્ર આજેય એટલું જ પ્રસ્તુત છે. કાવ્યને ‘અછાંદસ’ થી ઓળખાવવું એ અજ્ઞાનમૂલક ભ્રમ! મૂળ પોસ્ટીંગ તા. 25.10.2021
ગદ્યકાવ્ય : યોસેફ મૅકવાન Read More »