સ્વરૂપ

ગીત : જુગલકિશોર વ્યાસ

‘ગીત’:કાવ્યજગતનુંમધુરતમગેયઉર્મીકાવ્ય–જુગલકિશોરવ્યાસ                                         માત્રામેળ છંદોનો એક પ્રકાર તે લયમેળ છંદ (ગીત, પદ, ભજન) છંદોબદ્ધ કાવ્યોમાંના ‘અક્ષરમેળ વૃત્તો’માં જેમ એક પંક્તિમાંના અક્ષરોની ગણતરી હોય છે તેમ “માત્રામેળ છંદો”માં પંક્તીમાંની કુલ માત્રાઓની સંખ્યાની ગણતરી કરવાની હોય છે. માત્રામેળ છંદોમાં સંખ્યામેળ અને લયમેળ એવા પ્રકારો પણ છે. લયમેળ છંદોમાં ખાસ કરીને ગીતો, પદો, ભજનો વગેરે આવે છે.  છાપકામની સગવડો નહોતી ત્યારે પદ્યરચનાઓ કંઠોપકંઠ વહેતી અને એ રીતે સૌને યાદ રહી જાતી. પંક્તીઓ, કડીઓ (અંતરા) જ નહીં પણ આખું ગીત યાદ રાખવા માટેની બહુ સરસ યોજના એટલે ‘પ્રાસયોજના’ !  ઉર્મીકાવ્યોમાં ભાવ કે વીચારની સળંગસુત્રતા બહુ જરુરી હોય છે. સોનૅટમાં તો ભાવ કે વીચારના લગભગ ફકરા કહી શકાય તેવા સ્પષ્ટ ભાગ જોવા મળે છે, કારણ કે તે લગભગ અનીવાર્ય ગણાયા છે. ગીતોમાંની આ પ્રાસ યોજના આ દૃષ્ટીએ ખાસ સમજવા જેવી હોય છે. અંત્યાનુપ્રાસ વીનાની ગીતરચના લગભગ નથી હોતી એમ કહીએ તો ખોટું નહીં. ગીતના મુખ્ય વીભાગો અને પંક્તીનું માપ :  ૧. ધ્રુવપંક્તી ૨. અંતરો ૩. પ્રાસ માપ :  અક્ષરમેળમાં જેમ અક્ષરોની સંખ્યા અને માત્રામેળમાં જેમ માત્રાની સંખ્યા હોય છે તેમ ‘ગીત’ની દરેક પંક્તીમાં તેના રાગને અનુરુપ નક્કી થએલા ‘તાલ’ હોય છે. આ તાલ (તાલી)નું નક્કી થએલું સ્થાન ગીતનું માપ નક્કી કરે છે.  ધ્રુવપંક્તી : ગીતની પ્રથમ પંક્તીને ધ્રુવપંક્તી અથવા મુખડું કહેવાય છે. ગીતનો મુખ્ય ભાવ કે વીચાર આ પંક્તીમાં જ મોટેભાગે પ્રગટ થઈ જતો હોય છે.  દા.ત. “મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ.” સહાયક પંક્તી :  ધ્રુવપંક્તીની તરતની પંક્તી તે આ. આ બન્ને પંક્તીઓ (ધ્રુવ અને સહાયક) પરસ્પર અંત્યાનુપ્રાસથી જોડાએલી હોય છે.  દા.ત. “ઝેર તો પીધાં છે જાણી જાણી” તે ધ્રુવપંક્તી ગણીએ તો “નથી રે પીધાં મેં અજાણી” તે સહાયક પંક્તી ગણાશે. દા.ત. “વસત ગૈ રે વીતી” (ધ્રુ.પં.)  ક્યાં છે  કોકિલની  કલગીતિ ? (સ.પં.) અંતરો : અંતરો એટલે ગીતમાંનું બે, ત્રણ કે ચાર પંક્તિનું ઝુમખું, એક યુનીટ, એક કડી. દરેક અંતરો એક નવા વિચાર કે ભાવને પ્રગટાવે છે અને સાથે સાથે કાવ્ય-ગીતના મૂળભૂત ભાવને પણ વશ રહે છે. દરેક અંતરો લગભગ સ્વતંત્ર હોય તેમ જણાય છે. પરંતુ તેની છેલ્લી પંક્તીના પ્રાસ દ્વારા તે સહાયક પંક્તીની જેમ ધ્રુવપંક્તી સાથે જોડાઈ જાય છે ! ગીત ગાનાર ગાયક અંતરો ગાયા પછી તરત જ અનીવાર્યરુપે ધ્રુવપંક્તી પણ ગાય છે. આને કારણે શ્રોતાઓ ગીતના પ્રમુખ ભાવનું અનુસંધાન કરીને ગીતનાં મુખ્ય ભાવ–ઉર્મીને ઘનીભુત થતાં અનુભવે છે !!  (ગઝલમાં એવું નથી. એમાં તો એક શેરને બીજા શેર સાથે કોઈ સંબંધ જરુરી ગણાતો નથી ! આખી ગઝલ તેના જુદા જુદા શેર મુજબ અનેક વિચાર-ભાવ પ્રગટાવે છે ! ઘણી વાર તો મુખ્ય શીર્ષકને તે શેર વફાદાર પણ જણાતા નથી.) અંત્યાનુપ્રાસ : ધ્રુવપંક્તીનો અંતીમ શબ્દ અને અંતરા (કડી)ની છેલ્લી પંક્તીનો છેલ્લો શબ્દ પ્રાસથી જોડાએલા રહે છે. આ પ્રાસ અત્યંત જરૂરી ગણાય છે. પંક્તીને છેવાડે આવતો હોવાથી એને અંત્યાનુપ્રાસ કહે છે.  ઉપરાંત દરેક કડીની બન્ને કે ત્રણેય પંક્તીઓના પણ અંતીમ શબ્દો એકબીજી સાથે જોડાએલા હોય છે. આ જોડાણ પણ અંત્યાનુપ્રાસ કહેવાય છે અને પંક્તીઓને યાદ રાખવા માટે બહુ ઉપયોગી બની રહે છે. મધ્યાનુપ્રાસ : ઘણા સર્જકો કડીની બન્ને કે ત્રણેય પંક્તીઓની મધ્યમાંના શબ્દો વચ્ચે પણ પ્રાસ યોજીને રચનાનું નકશીકામ કરે છે ! આ પ્રાસ અનીવાર્ય નથી હોતો છતાં હોય છે ત્યારે તેવી કડીનું ગાન શ્રોતાઓને ખુબ અસર કરે છે. હવે આપણે ગીતના ત્રણ નમુના લઈને આ વીષયને ન્યાય આપવા પ્રયત્ન કરીએ : ૧. વસંત ગૈ રે વીતી ક્યાં છે  કોકિલની  કલગીતિ ? હિમાદ્રિને  હિમ હિંડોળે મલય પવન જૈ પોઢ્યો; ડાલ ડાલ રે અવ   નહીં ડોલે અગન અંચળો ઓઢ્યો; ક્યાં  છે પલાશની ફૂલ પ્રીતિ ?  ઊડે  અબીલ  ગુલાલ  નહીં, નહીં   રંગરંગની  જારી; નભની  નીલનિકુંજ મહીં, રે નહીં  કેસરની  ક્યારી; રે   અવ  ધૂળે   ધૂસર  ક્ષિતિ !  — નિરંજન ભગત.  શ્રી ભગતસાહેબના ઉપર આપેલા કાવ્યનો પ્રથમ અંતરો જોઈશું તો ખ્યાલ આવશે કે તેમણે અંતરાની બન્ને પંક્તીઓના બબ્બે ટુકડા કર્યા છે એટલું જ નહીં પણ પ્રથમ અને ત્રીજી તથા બીજી અને ચોથી પંક્તીઓનો પ્રાસ મેળવ્યો છે. બન્ને પંક્તીઓને સળંગ રીતે જોઈશું તો ખયાલ આવશે કે તેમાં મધ્યમાં પણ પ્રાસ યોજના કરી છે. જ્યારે અંતીમ (પાંચમી)પંક્તીનો પ્રાસ ધ્રુવપંક્તી સાથે જોડ્યો છે. (ભગતસાહેબનાં ગીતકાવ્યોમાં પ્રાસ યોજના બહુ જ ધ્યાન ખેંચનારી હોય છે. આ યોજના ભલે અનીવાર્ય ગણાતી નથી પરંતુ કેટલાક સર્જકોનું નકશીકામ જ એવું હોય છે કે તે એક કીમતી અલંકાર બની રહે છે !) શ્રી ચંદ્રકાંતભાઈના નીચે બતાવેલા ગીતમાં પ્રાસ યોજના સાવ જુદી જ જાતની છે.  ૨. વસંત આજે પોઢે. પવન-કાંધ પર ચડ્યો જનાજો કોયલ ગાય  મરસિયા ! ઝાકળની  આંખોમાં અનગળ  બારે  મેઘ  વરસિયા ! બહાવરી  મંજરી  શિર પટકે  ને ભમરાઓ  દુ:ખ જલ્પે ! રડી રડીને લાલ  સૂઝેલી આંખે  ખાખર  વિલપે ! પરિમલનાં  રેશમી  કફનોને લપટી અંગે ઓઢે ! ફૂલ ફૂલની કબરોમાં  ઊંડે  વસંત  આજે  પોઢે !  – ચંદ્રકાન્ત ટોપીવાળા એમણે બીજી અને ચોથી પંક્તીઓનો પ્રાસ મેળવ્યો છે પણ પ્રથમ અને ત્રીજી પંક્તીઓનો મેળવ્યો નથી. એનો એક ખુલાસો એ હોઈ શકે કે, એમણે ભલે લખવામાં પંક્તીના ટુકડા બતાવ્યા હોય પણ સાંભળવાની દૃષ્ટીએ કાનને સળંગ પંક્તી જ સંભળાવાની હોઈ એને બે જ પંક્તી ગણીને અંત્યાનુપ્રાસ સાચવ્યો છે !  પવન-કાંધ પર ચડ્યો જનાજો / કોયલ ગાય  મરસિયા ! ઝાકળની   આંખોમાં   અનગળ    /  બારે   મેઘ    વરસિયા ! આ કાવ્યની બીજી ખુબી એ છે કે, એમાં ધ્રુવપંક્તી બતાવાઈ જ નથી ! શીર્ષકપંક્તી પછી સીધો જ કાવ્યનો ઉપાડ કર્યો છે. આને કારણે કાવ્ય દરેક અંતરા બાદ પાછું ધ્રુવપંક્તી પાસે અવાતું નથી. (એની જરુર પણ નથી.) છતાં ત્રીજા અંતરામાં તો ઓઢે અને પોઢેની પ્રાસ યોજના જ એવી કરી છે, જે ધ્રવપંક્તી સાથે જ બંધબેસતી થઈ જાય છે અને તેથી કાવ્યના છેલ્લા ત્રીજા અંતરા પછી શીર્ષક પંક્તી આપણને વીષય તરફ ખેંચી જાય છે ને એમ કાવ્યનો ભાવ–વીષય સંબોધીત થાય છે. હવે જોઈએ સુંદરમની એક ગીતરચના : ૩.   ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજેગુંજે. આંખ ખુલી અમ અહીંયાં પહેલી, પગલી ભરી હ્યાં પહેલી,              અહીં  અમારા  યૌવન  કેરી  વાદળીઓ વરસેલી…..ગુર્જરીના. અહીં  શિયાળે  તાપ્યાં સગડી, કોકીલ સુણી વસંતે, અષાઢનાં ઘનગર્જન  ઝીલ્યાં, ઝણઝણતા ઉરતંત્રે….ગુર્જરીના. અમે  ભમ્યાં  અહીંના ખેતરમાં,  ડુંગરમાં કોતરમાં, નદીઓમાં   નાહ્યા, આળોટ્યા કુદરત-પાનેતરમાં….ગુર્જરીના. અહીં  અમારાં  તનધન  અર્પ્યાં, પૌરુષપુર સમર્પ્યાં, આ  જગવાડી  સુફલીત   કરવા, અમ અંતરરસ અર્ચ્યાં…ગુર્જરીના. અમે  અહીં  રોયા  કલ્લોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા, જીવનજંગે  જગત  ભમ્યા  પણ વીસર્યા નહીં ગૃહમાયા….ગુર્જરીના.   – સુન્દરમ ગીતમાં રાગ અને તાલ હોય. એમાં માત્રા કે અક્ષરના નીયમો ન હોય. પણ પ્રાસ યોજના એનું બહુ મહત્ત્વનું પાસું છે. આ ગીતમાં કવીએ એક નવી રીત અપનાવી છે : અહીં પ્રાસ પ્રથમ પંક્તીના બે ટુકડા કરીને બંનેને પ્રાસથી અલગ પંક્તી તરીકે મુકી છે. બીજી પંક્તીને લખવામાં ટુકડો લાગે પણ હકીકતે પ્રાસ મેળવ્યો ન હોઈ એક જ પંક્તી તરીકે તે ગણાય. પરંતુ કવીએ પ્રથમ ટુકડાનો, બીજા ટુકડાનો ને બીજી પંક્તીનો અંત્યાનુપ્રાસ યોજીને અંતરો બનાવ્યો

ગીત : જુગલકિશોર વ્યાસ Read More »

અછાંદસ વિશે વિદ્વાનો

પરંપરાએ કવિને છંદ બહાર જવાની છૂટ આપી છે એવું રા.વિ.પાઠક ‘બૃહત પીંગળ’માં નોંધે છે, પરંતુ મોટા ભાગના વિવેચકોએ છાંદસ અભિવ્યક્તિનો વિકલ્પ સ્વીકાર્યો છે. પ્રિન્સ્ટન એન્સાયક્લોપીડિયા કહે છે કે સંવાદિતા વ્યવસ્થા માટેની વૃત્તિ જન્મજાત છે. એરિસ્ટોટલે અનુકરણ અને સંવાદિતા માટેની વૃત્તિને જન્મજાત ઓળખાવી હતી. ગુજરાતીમાં જ્યારે છંદનો પ્રશ્ન વિચારીએ ત્યારે અક્ષરમેળ વૃત્તો ગુજરાતી ભાષાની પ્રકૃતિને અનુકૂળ નથી એવી એક માન્યતા છે અને છતાં સુધારકયુગથી અત્યાર સુધી, બધા પ્રકારના છંદોમાં આપણા કવિઓ રચના કરતાં આવ્યા છે. વિશિષ્ટ પ્રકારની યુગચેતનાને લીધે ગુજરાતી કવિ અછાંદસ તરફ વળ્યો એવું હરિવલ્લભ ભાયાણી કહે છે, સાથે સાથે અછાંદસ તરફ ગતિ કરનારા – અછાંદસમાં રચનાઓ કરનારા, 1955ની આસપાસના બધા કવિઓ પરંપરાગત સ્વરૂપો પર પ્રભુત્વ ધરાવતા હતા. જે ગુલામ મોહમ્મદ શેખ સાથે અછાંદસને વિશેષ સાંકળીએ છીએ તેમણે પણ અનેક ગેય રચનાઓ કરી હતી. આજના કવિઓ પાછા છાંદસ (અક્ષરમેળ વૃત્તો સમેત) તરફ વળ્યા છે તેમાંય ચંદ્રકાંત ટોપીવાળા તો પ્રમાણમાં ઓછા પ્રચલિત અક્ષરમેળ છંદોમાં રચનાઓ કરી રહ્યા છે. અછાંદસનું હાર્દ ન સમજવાને કારણે અતંત્રતા જન્મી, કૃતક રચનાઓ મોટી સંખ્યામાં ઉભરાઇ આવી, જો ચિત્ર આવું હોય તો છાંદસ અભિવ્યક્તિ ઉપર પણ સાથે સાથે ભાર મુકાતો થાય તે સરવાળે કવિતાના લાભમાં છે. – શિરીષ પંચાલ (વિવેચનપોથી, 1) આપણે છંદશાસ્ત્રમાં એ સ્વીકારવું જોઈએ કે કવિને એ પ્રમાણે કોઈક જ વાર નિયત સ્વરૂપની બહાર જવાની પણ છૂટ રહેલી છે. આ છૂટ કે અપવાદ છે અને કુશળ કવિ જ આ છૂટનો સુંદર ઉપયોગ કરી શકે છે. જેને છંદનું પૂરું સ્વાભાવિક પ્રભુત્વ છે અને જે ભાવ, ભાષા અને છંદનો માર્મિક સંબંધ જાણે છે તે જ આ છૂટ લઈ શકે. – રામનારાયણ પાઠક (બૃહત પિંગલ 267) અછાંદસ કૃતિ દ્વારા આપણે ગદ્ય નથી માગતા, કાવ્ય માગીએ છીએ. કવિએ કાવ્યમાં ઉત્કટતા, તીવ્રતા સાધવાની છે. ગદ્યની પણછ આકર્ણ ખેંચાતી નથી. શિથિલ રહે છે જ્યારે કાવ્ય તો તંગ પણછે ચડીને જ નિશાન વીંધે છે. – જયંત પાઠક (ભાવયિત્રી 29) ‘અછાંદસનો સાતમો કોઠો ભેદવા સુધી પહોંચવા માટે પહેલાં છંદના છ કોઠા ભેદવા અનિવાર્ય છે. કાવ્યાભિવ્યક્તિનું યુદ્ધ છંદના શક્તિશાળી આયુધનો ઉપયોગ કર્યા વિના ખેલનારે તે કેવડું મોટું જોખમ ખેડે છે એ બાબતમાં પૂરતા સભાન હોવું ઘટે.’ – હરિવલ્લભ ભાયાણી (કાવ્યનું સંવેદન 160) અછાંદસ કાવ્ય વિશે થોડા અભિપ્રાયો દિશાનિર્દેશ કરવા બદલ આભાર કવિ શ્રી મણિલાલ હ. પટેલ        મૂળ પોસ્ટીંગ તા. 27.8.2021

અછાંદસ વિશે વિદ્વાનો Read More »

ગીત : સંજુ વાળા * Sanju Vala

ગીતસ્વરૂપ વિશે વાત કરવી હોય તો આપણા ગીતનો લગબગ ૬૫૦ વર્ષના ઇતિહાસને ઊંડળમાં લઈને સમગ્રપણે એની વિભાવના અને તપાસને સાથે રાખી એમાંથી કોઇ તારણ પર આવવું રહે. જે એક મહાનિબંધ જેટલું કામ બની જાય. ગીત વિશેની વિચારણામાં આ અગાઉં કવિશ્રી ચિનુ મોદીની ગીતકવિતા વિશે વાત કરેલી. જે ચિનુકાકા વિશેના સ્પે. અભ્યાસમાં ગ્રંથમાં  સમાવિષ્ટ થયેલ છે. એના એકાદ બે ફકરા જૂઓ…. ગુજરાતી ગીતકવિતા વિશે વાત કરતા કવિશ્રી સુન્દરમ કહે છે : ‘ગીત માનવકંઠના જેટલી જૂની વસ્તુ છે.’ (સાહિત્યચિંતન/ગીતનું સ્વરૂપ પૃ.૩૫૧) આપણે બહુ આગળનું ના જાણતા હોઈએ તો પણ ગુજરાતી ભાષાને ગીતનો વારસો છેક નરસિંહ મહેતાથી મળ્યો છે. એટલે આજની કોઈ ગીતકવિતા વિષે વાત કરવાની થાય ત્યારે પંદરમા સૈકાથી આજ સુધીની ગીતકવિતાના સંદર્ભમાં રહીને કરવી રહે. આ આખ્ખી પરંપરાને ધ્યાને લઈને અથવા તો એને સ્મૃતિપટ પર રાખીને આજના ગીતની વાત કરવામાં આવે તો એના લેખા-જોખાનું યથાર્થ ઉપજે તેવી જાણ હોવા છતાં એ દીર્ઘપટને ફંફોસવાનો અહીં અવકાશ નથી અને એને અવગણી શકાય તેમ પણ નથી. મુશ્કેલી એ છે કે આટલા મોટા વ્યાપમાં એની ચર્ચા કરવા જઈએ તો ગીતકવિતાનો એક અભ્યાસલેખ કરવો પડે. સાથે આમ કરતાં જે પરંપરા પોષક બની છે કે પોષણ આપ્યું છે, તેનો સધિયારો, દિશાસૂચન કે સંકેત ક્યાં ? કેવાં ? અને કેટલાં સાંપડ્યાં અને કેટલાં વેડફાયાં ? એને અંકે કરીને અનુબંધ રચાયા કે અવગણીને આગવા કેડા કંડાર્યા ? આવું ઘણું  કોઈપણ નીપજ કે ઉપજના સંદર્ભમાં તારવણી સાથે મૂલવવાનું  રહે. આવી ગીતકવિતા વિશેની બહુઆયામી ગૂંચવણો સાથે રાખીને, જેના વિશે વાત કરવી છે, તે આયામ સુધી પહોંચવું રહે અને એમ કરવાં જતાં જેનાં વિશે વાત કરવાની છે તે ક્યાંક આડે હાથે મૂકાયાનો ભય પણ રહે. એટલે આ સમગ્ર ગીતકાળને ભૂલીને નહીં પરંતુ, નીરવ કરીને કે પડદા પાછળ રાખીને રંગમંચ પર જે ગીત લીલામય છે તે સૌમાં આ કવિના ગીતનું સ્પોટલાઈટના સહારે નજીકદર્શન કરવું રહે.  એટલે અહીંના આ ઉપક્રમને પણ એક પ્રયત્ન માત્ર ગણવો રહે. આ ગીતકવિતાની વાત લઇ બેઠો છું ત્યારે મને રંગમંચ પર પૂરતા પ્રકાશમાં એક દૃશ્ય દેખાય છે. એ એવું છે કે, કવિ ચિનુ મોદી પોતાના ગતિભાસ અને શ્વેત સમુદ્રોની ગીતકવિતા સાથે મંચ પર હાજર છે. તેની સાથે પોતપોતાની ગીતકવિતા લઈને કેટલીક સમકાલીન મંડળીઓ પણ મંચસ્થ છે. તેમાં ઉમાશંકર થી અનિલ જોશી, સુન્દરમથી હરીન્દ્ર>ચંદ્રકાન્ત શેઠ, રાજેન્દ્ર શાહથી રમેશ>રાવજી, બાલમુકુન્દ>પ્રિયકાંતથી પ્રદ્યુમ્ન્ન તન્ના અને નિરંજન ભગતથી ઉપરના પ્રત્યયથી બીજા ક્રમે કહ્યા તે યથૌચિત, તેમજ આજના ગીતાનુરાગીઓ હરીશ મીનાશ્રુ, માધવ-વિનોદ વગેરે સહિતના અને તે ઉપરાંત પણ ઘણાં સૌ, સામૂહિક અને પોતીકા, નાના-મોટા અવાજ સાથે ઉપસ્થિત છે. ‘ઉપરાંત પણ ઘણાં’ પૈકીનાં કોઈ સ્થિર થઇ બેઠાં છે, કોઈ ઉભડક છે. કોઈ ઊભાં છે અને કોઈ ઉતાવળાં છે. મંચ પરના પૂરતા પ્રકાશમાં આ દૃશ્યની પહેલાં પણ નરસિંહથી દયારામ, મીરાંથી ગંગાસતી, દેવાયત પંડિતથી દાસી જીવણ અને  ન્હાનાલાલથી નર્મદ સુધીની પદ-ભજન-ગીતની પૂર્વસૂરી મંડળીઓએ પોતાના અંક/વેશ/ પૂરા કર્યા છે, પણ હાજર છે અને પરદા પાછળથી સાંપ્રતકાલીન દૃશ્ય નિહાળે છે. તેમાં રહેલાં સામ્ય અને અલગતા વિષે અંદરોઅંદરના સંવાદમાં છે. મંચ ઉપર છે તેના પડછાયા છેક પરદાની પાછળ સુધી લંબાય છે અને પાછળ જે છે તેનો સામૂહિક અવાજ મંચ પર અને વાતાવરણમાં વ્યાપ્ત છે. જે સરવા કાને, થોડી કોશિશ કરીએ તો, અત્યારે જે મોટો અવાજ આવી રહ્યો છે તેની વચ્ચે પણ સાંભળી શકાય છે. અથવા મંચ પરના અવાજને મોટો કરવામાં એ ઓગળી-ભળી જઈને પોતાનું કામ કરે છે. આ કવિ અને એની સાથેની મંડળીઓ જે પરદા પાછળ છે તે અવાજોથી અભિનિત છાયામય દૃશ્યસંકલનાઓના બળે ઊભરતાં અને ઓછારતાં પણ જણાઈ આવે છે. કોઈને ભાવ-ભાષા-લયઢાળનો ટેકો છે, તો કોઈને વસ્તુસંદર્ભનો આશરો છે. કોઈને અભિવ્યક્તિનો સહારો છે તો કોઈને અનૂભૂતિનો અનુબંધ છે. એનો પરિવેશ આધુનિક જણાઈ આવે છે, પણ એનું પોત પ્રાચીન-મધ્યકાલીન-અર્વાચીન પણ ક્યાંક ક્યાંક લાગે છે. આ દૃશ્યોમાં ફોકસ બદલતું રહે  છે, તેમ પ્રકાશના રંગ અને ટોન પણ બદલાતા રહે છે અને એ દૃશ્યને આછા-ઘાટા બનાવે છે. બધી રંગ-પ્રકાશ-ધ્વનિની ખૂબી-ખામીઓ વચ્ચે આ જોનાર રંગમંચના એક છેડાથી બીજે અને બીજેથી પડદા પાછળ પોતાની સુજ્ઞ ભાવકતા સાથે આંટા-ફેરા કરતો રહે છે, ક્યારેક ધકેલાતો રહે છે. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે આ જોનારને કહેવાય છે કે માત્ર અને માત્ર ગતિભાસ અને શ્વેત સમુદ્રોના અવાજને ઓળખો, તરવો અને અમને દેખાડો. બાકીના સૌ દૃશ્યોને ઓઝલ કરી દો. આ કવિને નિર્દેશતાં દૃશ્યોની જ જરા અંતરંગ પરિણતિઓને પ્રમાણો. તો ચાલો એમ કરીએ. પણ એક ખાનગી વાતની શરતે. અહીં કહેવાય કે ના કહેવાય પણ તમારે આ રંગમંચ અને એના પરદા પાછળની વાતને ભૂલવાની નથી. હવે જૂઓ કે આ આટલી લાંબી સફરમાં આપણે કયા ગીતની વાત કરીએ અને કોને મૂકી દઇએ ? પરંતુ એનો અર્થ એવો નથી કે આ ગીતની વાત જ ના થઈ શકે. થાય, પૂરી સજ્જતા અને પૂરેપૂરો આભ્યાસ હોય તો. આપણે બહુ ગવાયેલી નરસિંહની બે.. ત્રણ પંક્તિઓ ગણગણતા હોઇએ એથી વિશેષ કાંઇ ખબર ન હોય, નરસિંહથી છેક દયારામ સુધી આવતા ૨૫૦ વર્ષમાં ગીતનું શું થયું કે દયારામથી ન્હાનાલાલ સુધીના સો-દોઢસો વર્ષમાં ગીત ક્યાં હતું તેની ખબર જ ન હોય તો સારી વાત એ છે કે આપણે જે કરતાં હોઇએ એ જ કરીએ. અસ્તુ. મૂળ પોસ્ટીંગ 22.1.2021

ગીત : સંજુ વાળા * Sanju Vala Read More »

‘ગદ્યકાવ્ય’ વિશે સર્જકો

“ગદ્યમાં મુખ્યત્વે અર્થપૂર્ણ શબ્દને વ્યૂહબદ્ધ બનાવી વ્યવહાર થાય છે. જ્યારે પદ્યમાં મુખ્યત્વે ધ્વનિપૂર્ણ શબ્દને વ્યૂહબદ્ધ બનાવી પ્ર્યોજાય છે. આપણા આલંકારિકોએ રસાત્મક વાક્યને જ કાવ્ય કહ્યું છે. આ રસાત્મક વાક્ય પદ્યમાં હોય તો એ પદ્યકાવ્ય થાય અને ગદ્યમાં હોય તો ગદ્યકાવ્ય થાય…. ગદ્યકાવ્યમાં પણ એક બંધનહીન છંદ છે. રસ જ્યાં રૂપ લેવા ઈચ્છે ત્યાં શબ્દો પોતે જ સજ્જ થઈ જાય છે.” – રવીન્દ્રનાથ ટાગોર          “‘ગદ્યકાવ્ય’ એ સામાસિક શબ્દ છે. ‘ગદ્ય’ અને ‘કાવ્ય’ એવાં બે પદનો બનેલો આ શબ્દ વ્યાકરણની પરિભાષામાં કહીએ તો ઉત્તરપદ પ્રધાન સમાસ છે. અહીં કવિનું સાધ્ય ઉત્તરપદ ‘કાવ્ય’ છે, એ સાધ્ય સિદ્ધ કરવા માટેનું સાધન પૂર્વપદ ‘ગદ્ય’ છે. પણ એમ તો પદ્યમાં કાવ્યરચના થાય છે ત્યારે કવિનું સાધ્ય તો કાવ્ય જ હોય છે, પદ્ય તો સાધન જ. આથી ગદ્ય અને પદ્ય એ બંને માધ્યમો દ્વારા કવિને સિદ્ધ તો ‘કાવ્ય’ જ કરવાનું છે.” – ધીરુ પરીખ “ગદ્યમાં કવિતા હોવી અને ‘ગદ્યકાવ્ય’ હોવું એ ભિન્ન બાબતો છે. ….. કવિતા ક્ષેત્રેગદ્યનો પ્રવેશ એ વેદજૂની બાબત ગણાય પણ કવિતાક્ષેત્રે ગદ્યકાવ્યનો એક પ્રકાર લેખે પ્રવેશ એ કવિતાક્ષેત્રે અર્વાચીન યુગના પ્રવેશનો સંકેત કરનારી ઘટના લેખાય.” – ચંદ્રકાંત શેઠ OP 1.1.2021 & 25.9.22 *** આભાર 04-10-2022 આભાર છબીલભાઈ, દીપકભાઈ, સ્મિતાબેન ‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર. Smita Shah 25-09-2022 ગદ્યકાવ્ય વિશે બધી જ વ્યાખ્યાઓ ખૂબ સુંદર છે, દીપક વાલેરા 25-09-2022 ખૂબ સરસ માહિતી છબીલભાઈ ત્રિવેદી 25-09-2022 ચંદ્નકાંત શેઠ જેવા સિધ્ધહસ્ત રચનાકાર દ્નારા ગદ્ય કાવ્ય વિશે ખુબજ રસપ્રદ માહિતી આપી ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

‘ગદ્યકાવ્ય’ વિશે સર્જકો Read More »

ગીત : રમેશ પારેખ Ramesh Parekh

ગીત એટલે શબ્દ અને કલ્પન દ્વારા મુક્ત અને લયાત્મક અભિવ્યક્તિ માટે મથતું મનુષ્યત્વ. ગીત એટલે શબ્દકોશ પ્રમાણેનો અર્થ: ગાયેલું, ગવાયેલું, કહેવાયેલું. ગીતપઠનક્ષમ નહોતું તે પહેલાનું ગુંજનક્ષમ છે, કેમકે તે લોકગીતનું જ (અનેક રૂપાંતરો ધારણ કર્યા પછીનું, વિકસેલું, નિખરેલું) સ્વરૂપ છે. પઠનક્ષમતા એ, ગુંજનક્ષમતા ઉપરાંતનું ગીતનું અન્ય વિશિષ્ટ પાસું છે. ગીત પઠનક્ષમ બન્યું તેથી કરીને તેનું ગુંજનક્ષમતાનું પાસું, ગેયત્વ, વિસર્જિત થઈ જતું નથી. ગુંજનક્ષમતા એ ગીતની પ્રથમ શરત છે. તેવી જ રીતે તે પઠનક્ષમ પણ હોય તે બીજી અને અનિવાર્ય શરત છે. ગઈકાલનું લોકગીત અને આજનું ગીત સગોત્ર છે, એકલોહિયાં છે. લોકગીત/લોકસંગીત એ અદ્યતન ગીતનાં પૂર્વસ્વરૂપો છે. આજના ‘ગીત’ શબ્દમાં  ‘લોક’ અને ‘સંગીત’ શબ્દો ઓગળીને રાસાયણિક રીતે એકરસ થઈ ગયાં છે. બીજી રીતે કહીએ તો આજનું ગીત એ ગઈ કાલના લોકગીત/સંગીતનો બીજો  છેડો છે. આજનું ગીત સતત વિકસતા રહેલા, નવનવીન મૂલ્યો ધારણ કરતા રહેલા, બીનજરૂરી વળગણો છોડતા રહેલા તેમજ શબ્દના સામર્થ્યને વધુ બળવત્તર રીતે અને વધુ સૂક્ષ્મ રીતે નિખારતા રહેલા હદયંગમ કાવ્યપ્રકારનું, કહો કે લોકગીતનું જ સંમાર્જિત સ્વરૂપ છે. લોકગીત આજના ગીતના પાયામાં રહેલું ને તેને જીવંત રાખતું રસાયણ છે. આમ લોકગીત અને અદ્યતન ગીત ભિન્ન નથી, ગઈ કાલના સ્વરૂપનું રૂપાંતર માત્ર છે એટલે ગીતના ઉદ્ભવ વિશેનો પ્રશ્ન લોકગીત/સંગીતના સંદર્ભે  અપ્રસ્તુત છે. ગીતની સંરચનાનાં મખ્યત્વે બે પાસાં છે. શબ્દ અને લય. પ્રથમ શબ્દની વાત કરીએ તો ગીતનો શબ્દ મેદસ્વી હોતો નથી, ભારેખમ હોતો નથી, પવન પાતળો હોય છે!   તે સરળ અને સાહજિક હોય, બરડ નહીં પણ લવચિક હોય. તે અનાયાસે આવે છે,  ગીતમાં પોતાની યોગ્ય જગા લઈને આવે છે. એ જ્યાં સ્થપાય છે ત્યાં તેનું સૌંદર્ય વેરી રહે છે, પોતાનું સૂક્ષ્મ સંગીત વહેતું કરી દે છે અને પોતાની અનિવાર્યતા સિદ્ધ કરી દે છે. લય આમ તો માત્રામેળ છંદોનું સંયોજન માત્ર છે, પરંતુ  એ ગીતમાં પ્રયોજાય છે ત્યારે  ગીતના શબ્દનું કવચ બની રહે છે અને ગીતના ભાવના છડીદાર રૂપે અગ્રસર હોય છે. ગીતની ઘટનામાં ભાવનું કાચું દ્રવ્ય લયજન્ય પધીકરણ દ્વારા ભાષાવતરણ પામે એ વ્યાપાર રસસર્જન-સૌંદર્ય સર્જનની ભૂમિકાનો છે. ‘ભાવ’થી ‘ભાષા’ પર્યન્તની આખી યે પ્રક્રિયા સર્ગશક્તિના સૂક્ષ્મ કલાવિવેકને અપેક્ષે છે.  (રમેશ પારેખ – ‘હોંકારો આપો તો કહું’ પુસ્તકના અંશો) મૂળ પોસ્ટીંગ 27.11.2020

ગીત : રમેશ પારેખ Ramesh Parekh Read More »

ગીત : સુરેશ જોશી * Suresh Joshi

ગીતોનું પ્રમાણ કાવ્યસંગ્રહોમાં વધતું જતું જોવામાં આવે છે. જે કવિઓએ કદી ગીતો લખ્યાં નથી તેઓ પણ ગીતો લખવાને લલચાયા લાગે છે. ગીતમાં પ્રકટ થતી ઊર્મિ પાંખી કે ફિસ્સી હોય, ઉમંગઊછળતા ઉપાડથી હૃદયને હેલે ચઢાવીને કવિ એકાએક ઊમિર્ની ઓટ આણી આપણને નિરાશ કરતો હોય; લલિત, મધુર, મૃદુ અને કમનીય એવા ભાવનર્તનને તાલેતાલે કવિની વાણી પણ તાતાથૈથૈ નાચી ઊઠતી ન હોય, તો ગીતો નિષ્ફળ જ જવાનાં. જેમ સમુદ્રનાં મોજાંના ઘુઘવાટને સાંભળીને આપણને અફાટ વિસ્તરેલા જલરાશિની અસીમતાનો ખ્યાલ આવે છે તેમ ગીતોમાં પણ પ્રકટ થયેલી અમુક એક ઊમિર્ના લયમાં હૃદયનાં સર્વ સ્તરોમાં વિસ્તરીને પડેલા ભાવોદધિનો ઘુઘવાટ સંભળાવો જોઈએ. ગીતોમાં ક્ષણિક તરંગને કે લાગણીને ગેયતાનો વાઘો પહેરાવીને રજૂ કરી દીધાથી કૃતાર્થ થઈ જવાતું નથી. ગીતમાં કાવ્યત્વની ઊણપને ગેયતાથી પૂરી દઈ શકાય એવી ભ્રાન્તિ કવિએ સેવવાની નથી. ગીતોનુંય એક કાવ્યસ્વરૂપ તરીકે આગવું વ્યક્તિત્વ છે. એમાં નિરૂપિત થતી ઊર્મિ અખંડરૂપે રજૂ થવી જોઈએ. એમાં પણ આકારસૌષ્ઠવ આવવું જોઈએ. ગીતમાં પ્રકટ થતી ઊર્મિ માંદલી ન હોવી જોઈએ. વ્યક્તિના સમષ્ટિ સાથેના સંવાદી મિલનનો લય એમાં હંમેશાં ઝંકૃત થઈ ઊઠવો જોઈએ. ગીતોની સફળતા ખાસ કરીને તો કવિએ સર્જેલાં ભાવપ્રતીકોના પર અવલંબીને રહે છે. આજનો કવિ એ ભાવપ્રતીકો સર્જી શક્યો નથી. ને આથી જ આજના કવિને મીરાંનાં ગીતોમાં રહેલી ઊમિર્ની ઉત્કટતા,સચોટતા ને વ્યંજકતા લાધ્યાં નથી. સાહિત્યમાં પ્રવર્તતી ફેશનને ગતાનુગતિક ન્યાયે અનુસરીને લખાતાં ગીતોમાં તો ઊમિર્ની સચ્ચાઈનો અભાવ જણાઈ આવે છે જ. રવીન્દ્રનાથનાં ગીતોના પરિશીલનની અસરથી પ્રભાવિત થઈને લખાયેલાં ગીતોમાં આપણા કવિઓની પ્રતિભાની ઊણપનો, ગીતમાં નિરૂપિત થતી ઊમિર્ને અનુરૂપ સંગીતની પરખના અભાવનો આપણને તરત જ ખ્યાલ આવે છે. અર્વાચીન કવિતા – સુરેશ જોશી (લેખનો અંશ) 23.11.2020

ગીત : સુરેશ જોશી * Suresh Joshi Read More »

મુક્તક : ઉમાશંકર જોશી * Umashankar Joshi

મુક્તક શબ્દમાંનો ‘મુક્ત’ એટલો ભાગ તો પરિચિત છે. મુક્ત એટલે છૂટું, બંધન વગરનું. મુક્ત-ક એટલે છૂટું કાવ્ય. કવિઓ લાંબાં કાવ્યો લખે તેમાં તો દરેકેદરેક શ્લોક આખી કૃતિની સાથે બંધાયેલો હોય, પણ ક્યરેક ક્યારેક તેઓ છૂટક શ્લોકો લખે તો તેવો દરેક શ્લોક મુક્તના નામથી ઓળખાતો. એક મુક્તકને બીજા મુક્તક સાથે કશો સંબંધ ન હોય. નહિ તો પછી એ મુક્ત – છૂટો શ્લોક શેનો? પણ એવા એક શ્લોકમાં પણ જીવનનો કોઈ એવો અનુભવ રજૂ થયો હોય- અને તે એટલી તો સુંદર રીતે રજૂ થયો હોય – કે સાંભળતાંની સાથે એ શ્લોક મનમાં રમી રહે; એટલું જ નહીં, જીવનમાં અમૂલ્ય ભાથારૂપ બની રહે. સંસ્કૃતમાં ખંડકાવ્ય અને મહાકાવ્ય રચે તેની સામાન્ય રીતે કવિમાં ગણના થતી. પણ તેવાં લાંબાં કાવ્યો રચનાર જાણીતા કવિઓએ તેમ જ અસંખ્ય અજાણ્યા કવિઓએ એક એક શ્લોકનાં મુક્તકો રચેલાં છે, જે પણ સંસ્કૃત કાવ્યસહિત્યના મહાન વારસાનો એક કીમતી ભાગ છે. રાજસભાઓમાં વિદ્વાનોનું બહુમાન થતું ત્યારે નવા આવનાર કવિની કસોટી આવું એકાદ મુક્તક એ રજૂ કરે એ ઉપરથી થતી.  કેટલાક વિદ્યાપ્રિય રાજાઓ એક એક મુક્તકના સવાલાખ રૂપિયા આપતા તેવી કિંવદન્તીઓ પણ પ્રચલિત છે. सहसा विदधीत न क्रियाम् – ઉતાવળમાં આવી જઇને કાંઈ કામ કરી ન વેસવું – એ એક મુક્તકના એ રીતે પૈસા ખરચેલા તે આગળ જતાં કેવી રીતે દુષ્કાર્યમાંથી બચાવીને અનેકગણા ખપ લાગે છે એનું બયાન પણ કવિકથાઓમાં મળે છે. મોટા કાવ્યગ્રંથો અભ્યાસી વર્ગમાં આસ્વાદ્ય, પણ આવાં છૂટાં, તરતાં મુક્તકો તે તો લોકહૈયે અને લોકજીભે વસી જાય એવાં ટૂંકાં, મરમાળાં અને રસિક કવનો હતાં. આ મુક્તકોના સંસ્કૃતમાં સંગ્રહો મળે છે. મુક્તકોને સુભાષિતો પણ કહે છે. સુભાષિતરત્નભાંડાગર એ મુક્તકોનો એક અમૂલ્ય ખજાનો છે. ભર્તુહરિ કવિએ સ્વરચિત સો સો મુક્તકોનાં ત્રણ શતકો આપ્યાં છે, તે પણ અત્યંત લોકપ્રિય નીવડ્યાં છે. અમરુ કવિનું અમરુશતક શૃંગારના ચિત્રો એવાં સુરેખ ઉપસાવે છે કે અમરુ કવિનો એક શ્લોક તે સો સો લાંબા કાવ્યોની તોલે છે એવી અતિશયોક્તિભરી પ્રશંસા એની થઈ છે. સંસ્કૃતની જેમ જ પ્રાકૃત, અપભ્રંશ આદિભાષાઓમાં મુક્તકો રચાયાં છે. અને દરેક ભાષાના લોકસાહિત્યમાં ઘૂંટેલી રસમયતાવાળાં પાણીદાર મોતી જેવાં અનેક મુક્તકો હોય છે. ગુજરાત સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં દુહા અને સોરઠાં મળે છે તે આવાં મુક્તકો જ છે. એમાં માનવજીવનના અનુભવોનું ડહાપણ વેધક રીતે રજૂ થયેલું જોવા મળે છે. બાકરબચ્ચાં લાખ, લાખે બિચારાં;  / સિંહણ બચ્ચું એક, એકે હજારાં. સિંહનું એક બચ્ચું હજાર જેટલું છે, જ્યારે બકરીને ઝાઝાં બચ્ચાં હોવા છતાં એને કપાળે બિચારાપણું લખાયલું છે. થોડું પણ સત્ત્વવાળું મળે તો એ મોટા સંતોષની વાત છે એ સત્ય કેવી સોંસરી ઉપમા દ્વારા કહેવાયું છે?  ‘એકે હજારાં’ એટલો ટુકડો તો કહેવત પણ બની ચૂક્યો છે. બીજો દુહો જોઈએઃ શેરીમિત્રો સો મળે…. ‘શેરીમિત્રો!’ – એક નવો જ શબ્દ કવિ યોજે છે અને ઘર આસપાસ ટોળે ઊભરાતા મિત્રોનું  ‘શેરીમિત્રો’ કહીને તાદૃશ ચિત્ર ઊભું કરી દે છે. પણ આ અજાણ મુક્તક કવિને એટલાથી સંતોષ નથી. એક બીજો સુંદર શબ્દ ઉપજાવે છે ત્યારે એને ચેન પડે છેઃ તાળીમિત્ર અનેક; – આપણી પાસેથી જે જરીક કાંઈ આનંદ મળી શકે એમ હોય તે પ્રાપ્ત કરી તાળી આપીને ખસી જતા મિત્રોનું વર્ણન એ ‘તાળીમિત્ર’ શબ્દ યોજીને કરે છે. શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર  અનેક; જેમાં સુખદુઃખ વારીએ, તે લાખોમાં એક, જેમાં આપણાં સુખ ઠલવીએ કે દુઃખ ઠાલવીએ તોય જે સમાન રહે તેવો મિત્ર તો લાખોમાં એક હોય – એક હોય તોયે ઘણું. બે લીટીના નાનકડા મુક્તકમાં જીવનની એક માર્મિક વાત ચોટપૂર્વક મુકાઈ છે.  કોઈ વાર આવાં મુક્તકોમાં કવિનું નામ પણ મળે છે, પણ કોઈક જ વાર. અતિ ડ્હાપણ અળખામણો, અતિઘેલે ઉચાટ; આણંદ કહે પરમાણદા, ભલો જ વચલો ઘાટ. આમાં કવિ આણંદનું નામ છે એટલું જ નહિ,  શ્રોતાનું નામ પણ છે;  જેમ ‘કહત કબીર કમાલકું દો બાતાં  સિખ લે; કર સાહિબકી બંદગી, ભૂખેકો કુછ દે’માં સાંભનારનું નામ આવે છે. શ્રોતા પરમાણંદને આપણા સૌના પ્રતિનિધિ તરીકે બેસાડી આણંદ પોતાને જડેલાં જીવનરહસ્યો મરમાળી રીતે ઉચ્ચારે છે. આ મુક્તકમાં, દુહામાં એ કહે છે કે કોઈ જો અતિડહાપણની છાપ પાડે એટલે કે ગંભીરતાથી વર્તે તો લોકોમાં તે અળખામણો થઈ પડવાનો સંભવ છે, એની સોબત બધાને રુચે નહિ. બીજી બાજુ જો ઘેલો થઈને ગમે તેની આગળ  લળી-ઢળી જાય તોપણ આપણને એને માટે ઉચાટ થાય – ચિંતા થાય કે આનું ક્યાં અટકશે. માટે આણંદ પરમાણંદને કહે છે કે ન તો અતિડાહ્યા બનીને બેસવું, ન ઘેલા થઈ ને વરસી જવું, પણ બંને છેડાના વચગાળાનું વર્તન રાખવું. બુદ્ધ ભગવાને મધ્યપ્રતિપદાનો જે સુવર્ણમાર્ગ સમજાવ્યો છે તે સદા ચાર ગુજરાતી શબ્દો ‘ભલો જ વચલો ઘાટ’માં કેવો સચોટ પ્રગટ થાય છે! આપણા લોકસાહિત્યમાં જ નહિ, લેખિત સાહિત્યમાં પણ કોઈ કોઈ કવિનાં મુક્તકો મળે છે. જૂની ગુજરાતી આરંભકાળે આચાર્ય હેમચંદ્રે પોતાના વ્યાકરણમાં કેટલાંક મુક્તકો ઉતારેલાં છે, તેમાં આપણી પ્રજાના શૌર્યની અને પ્રેમની પ્રતીતિ થાય છે. એક વીર નારી પોતાની સખીને કહે છે કે લડાઈમાં પોતાનો પતિ મરાયો તે ઠીક થયું: ભલ્લા હુઆ જુ મારિયા, બહિણિ, મહારા કન્તુ; / લજ્જેજન્તુ વયસિઅહુ, જઈ ભગ્ગા ધરૂ એન્તુ. (ભલું થયું હે બહેન જે રણ મુજ કંથ મરાયો, હું લાજત સખીમાં ઘરે ભાગી હોત જો આવ્યો.) મધ્યકાલીન ગુજરાતીમાં કવિઓની લાંબી રચનાઓમાં વચ્ચે-વચ્ચે વેરાયેલાં મુક્તકો મળશે. શામળભટે પોતાની કથાઓમાં વચ્ચેવચ્ચે છૂટે હાથે વેરેલા ‘સપૂત તે કહેવાય…’ જેવા છપ્પા તે મુક્તકો લેખી શકાય. અર્વાચીન સમયમાં કવિ દલપતરામ પાસેથી અનેક મુક્તકો આપણને મળ્યાં છે. લોકસાહિત્યના જેવા સરળ અને ઘાટદાર દોહરા ક. દ. ડા. આપી શકે છે. એમની વિનોદવૃત્તિ એ મુક્તકોને વળી વધુ ઓપ આપે છે. કાણાને કાણો કહ્યે કડવાં લાગે વેણ, / પેરે રહી પૂછીએ : ભલા, શેણે ગયાં તુજ નેણ? કવિતાની દૃષ્ટિએ મૂલ્યવંતાં એવાં મુક્તકો રમણભાઈ નીલકંઠના ‘રાઈ નો પર્વત’માં મળે છે. હું બે નમૂના અહીં રજૂ કરું છું: જે શૌર્યમાં કોમળતા સમાઈ, / તેને જ સાચું પુરુષત્વ માન્યું; દ્રવંત લોખંડનું ખડ્ગ થાય, / પાષાણનું ખડ્ગ નથી ઘડાતું. કોમળતાનો મહિમા સુરેખ સુંદર દૃષ્ટાંતની મદદથી કર્યો છે. બીજું એક સમાજદર્શનનું મુક્તક જોઈએ: દુર્વૃત્તિઓ જે જગવે જનોની, / તે ખેલ માંડે ભયનો ભરેલો; ભર્યાં તળાવો તણી પાળ ખોદી, / રોકી શક્યા છે જળધોધ કોણ? પણ અર્વાચીન સાહિત્યમાં મુક્તકની એક કાવ્યપ્રકાર તરીકે પ્રતિષ્ઠા થઈ હોય તો તે પ્રો. બળવંતરાય ઠાકોરને હાથે. એમણે પોતે થોડાંક સારાં મુક્તકો આપ્યાં અને તે પછી નવીન કવિઓમાંથી ઘણાઓએ મુક્તકો લખવા પ્રયત્ન કર્યો છે. પ્રો. ઠાકોરનું એક મુક્તક છે: સ્તુતિખોરથી ઊતરતો જાણો નિંદાખોર, / છેક ઊતરતો જેહને બધા જ પદધ્રૂળ તોલ. ‘નિંદાખોર’ શભ્દ તો પ્રચલિત છે, કવિએ ‘સ્તુતિખોર’ શબ્દ નવો ઉપજાવ્યો. શ્રી રામનારાયણ પાઠકનાં જૂનાં ઘૂંટાયેલા દુહાઓની યાદ આપતાં મુ્કતકો જોઈએઃ એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું, ઈશ ! / એકલ વાટે વિચરવું કરમ ન કદી લખીશ. મુખ સમ કો મંગલ નહિ, મૃત્યુ સમી નહિ હાણ, /

મુક્તક : ઉમાશંકર જોશી * Umashankar Joshi Read More »

ગઝલ : મીનાક્ષી ચંદારાણા * Minaxi Chandarana

ભારતીય શાસ્ત્રીય સંગીત! આગંતુક મુસ્લિમ પ્રજાએ ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા સાથે જોડાઈને કેવા-કેવા દિગ્ગજ કળાકારો સંગીતવિશ્વને આપ્યા! એ કળાકારોએ ફક્ત પોતાને જ નહીં, શાસ્ત્રીય સંગીતને પણ નવ્ય ઊંચાઈઓ બક્ષી! પરંપરાની એ જ સ્વીકૃતિનો જાણે પ્રતિભાવ આપતાં હોય તેમ ભારતીય કવિજનોએ મુસ્લિમોની ફારસી પરંપરામાંથી ઊતરી આવેલી ગઝલને એવી રીતે અપનાવી, એમાં એવી મહારત હાસિલ કરી લીધી, કે પોતાના નામની સાથોસાથ ઈરાનના કાવ્યપ્રકારને પણ નવી ઊંચાઈઓ બક્ષી! સંસ્કૃતિ, ધર્મ, માન્યતાઓ, પરંપરાઓ, વગેરે જેવા તદ્દન સામસામા છેડે સ્થિત બે પ્રજા કોઈક ક્ષેત્રે સહિયારું કાર્ય કરે, એકમેકની પરંપરાને સ્વીકારે અને આગળ વધારે, ત્યારે કેવાં ભવ્ય અને રૂડાં પરિણામો આપી શકે! ગઝલ! શું છે આ આજની આપણી ગઝલ! બે સંસ્કૃતિઓની પરંપરા છે ગઝલ! બે પ્રજાએ એકબીજાની સંસ્કૃતિઓમાંથી લીધેલા આચમનની ફલશ્રુતિ છે ગઝલ! બે અલગ-અલગ ઉષ્ણતામાન ધરાવતા પાણીમાં માથાબોળ નાહીને તડકે વાળ સૂકવવા ઊભેલી ષોડશી કન્યકાનું સૌંદર્ય છે ગઝલ! બે પૃથક્ ભાષાનાં માધ્યમોમાંથી પસાર થઈને પોતાનું આગવું સૌંદર્ય નિખારીને મૂળ પ્રકારને પણ મુઠ્ઠી ઊંચેરો, અદકેરો બનાવીને આગવાં પરિમાણો સાથે, આગવાં પરિણામો સાથે ઊભરી આવેલો કાવ્યપ્રકાર છે આપણી આ ગઝલ! એક થવું જ હોય, તો કેવા અહોભાવથી એકમેકની સંસ્કૃતિને, સંસ્કૃતિના પરિવેશને અપનાવવાની હદે, એને પોતીકો કરી લેવાની હદે અપનાવવી રહે તેની તસવીર છે ગઝલ! કોઈ પૂછે કે ગઝલ શું છે, તો એનાં કદ-કાઠી, અંગ-ઉપાંગો, ચહેરો-મહોરો, નાક-નકશો, વગેરેની ચર્ચા કરતાં પહેલાં આપણે કહેવું ઘટે, કે આજના સમયમાં, રિપીટ… અત્યારના કોમી વૈમનસ્યના સમયમાં આ વાત ફરી-ફરીને, અને યાદ કરી-કરીને કહેવાવી જોઈએ, કે હિંદુ-મુસ્લિમ જેવી સામસામા છેડાની સંસ્કૃતિઓને જોડવાનું સુખદ કાર્ય કર્યું છે ગઝલે! ગઝલ એટલે એક કાવ્ય-સ્વરૂપ,  છંદોબદ્ધ કાવ્ય-સ્વરૂપ! પહેલી બંને પંક્તિમાં અને પછી પ્રત્યેક બીજી પંક્તિએ પ્રાસ જરૂરી! એટલે કોઈપણ કાવ્યને ગઝલ ત્યારે કહી શકાય, કે જ્યારે તેમાં છંદ (બહર) અને પ્રાસ (કાફિયા) જળવાયા હોય. તે ઉપરાંત, ગઝલમાં પ્રાસ પછી એક અનુપ્રાસ (રદીફ) પણ મહદંશે હોય છે. બબ્બે પંક્તિઓની પ્રત્યેક જોડ શેર તરીકે ઓળખાય; પ્રાસ ધરાવતી પહેલી બે પંક્તિઓની જોડને મતલાનો શેર કહેવામાં આવે, અને છેલ્લી બે પંક્તિઓમાંથી કોઈ એકમાં જો કવિનું નામ સાંકળી લેવામાં આવ્યું હોય, તો એને મક્તાનો શેર કહીને ઓળખવામાં આવે. એક ગઝલમાં સામાન્ય રીતે પાંચ, સાત, નવ, કે અગિયાર એમ એકી સંખ્યામાં શેર લખવામાં આવે. દરેક શેર સ્વતંત્ર અને પૂરો વિચાર રજૂ કરે. સામાન્યતઃ દસ પંક્તિઓમાં સમેટાઈ શકતી ગઝલ વીસ-ત્રીસ, સો-બસ્સો કે હજાર-બે હજાર પંક્તિઓમાં પણ લંબાઈ શકે! દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, / મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી! ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ના પતન સુધી, / ફકત આપણે તો જવું હતું અરે એકમેકના મન સુધી! તમે રાંકનાં છો રતન સમા ન મળો હે આંસુઓ ધૂળમાં, / જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી! તમે રાજરાણીનાં ચીર સમ અમે રંક નારની ચૂંદડી, / તમે તન પર રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી! જો હૃદયની આગ વધી ‘ગની’ તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી / કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી…. ‘લલગાલગા’ના ચાર આવર્તન ધરાવતી કામિલ નામના ફારસી છંદમાં લખાયેલી, આદરણીય કવિશ્રી ગની દહીંવાલાની આ ગઝલમાં મિલન, સ્વજન, પતન, મન, નયન, કફન અને અગન કાફિયા છે, અને દરેક કાફિયા પછી રદીફ છે ‘સુધી’. પાંચ શેરની આ ગઝલમાં પહેલા બંને શેરોની બંને પંક્તિમાં કાફિયા અને રદીફનો પ્રયોગ થયો છે એટલે પહેલા બંને શેર મતલાના શેર કહેવાશે. છેલ્લા શેરમાં ‘ગની’ નામ સમાવિષ્ટ હોવાને કારણે છેલ્લો શેર મક્તાનો શેર કહેવાશે. બસ થઈ ગઈ ગઝલની ઓળખ પૂરી! સામાન્ય રીતે આટલી જાણકારી સમજી લેનાર કોઈ પણ વ્યક્તિ ગઝલ લખી શકે! ખરું!? પણ આ હતી ગઝલના બંધારણની ઉપલક વાત! તેના બાહ્ય-સ્વરૂપની ઝાંખી! આટલું સમજી લીધા પછી પણ એક મહત્ત્વની વાત જે સમજવી રહી જાય તે એ, કે ગઝલ પણ કાવ્યનું જ એક સ્વરૂપ છે, કવિતાનો જ એક પ્રકાર છે. એટલે કવિતા હોવું અહીં પ્રથમ સ્થાને છે, અને ગઝલ હોવું પછીના સ્થાને! અને આ થઈ ગઝલના આંતરસ્વરૂપની વાત! ગઝલનું આંતરસ્વરૂપ એટલે શું? ગઝલ એ પ્રિયપાત્ર સાથેની વાતચીત છે. એ પ્રિયપાત્ર ઈશ્વર પણ હોઈ શકે, કોઈ સખી કે સખા પણ હોઈ શકે, અને કોઈ વ્હાલું એવું સગું પણ હોઈ શકે! ઘણી વખત એવું સાંભળવામાં આવ્યું છે, કે ગઝલ એ વાતચીતનો કાવ્યપ્રકાર છે, એટલે એમાં અરજ, પ્રાર્થના, સ્તુતિ, આદેશ, વગેરે જેવા ભાવો કે અઘરા શબ્દો ન આવવા જોઈએ. વળી એવું પણ કહેવાયું છે, કે ગઝલમાં આપણે વાતચીતમાં જે વહેવારુ ભાષામાં બોલતાં હોઈએ એનો જ ઉપયોગ થવો જોઈએ. સામાન્ય રીતે એવું જ બનવાનું, કારણ કે પ્રિયપાત્ર સાથે તો આપણે તદ્દન પોતાની, મીઠી-મીઠી ભાષામાં, કોઈ પ્રકારના આડંબર વગર ખુલ્લા મનથી જ વાત કરવાના ને! ગઝલમાં બસ એમ જ વાત ચાલે, પણ છંદ અને પ્રાસ સાથે! ‘હીર-રાંઝા’ ફિલ્મના સંવાદોની જેમ જ અદ્દલ! હવે વાત એમ છે, કે પ્રિયપાત્ર સાથે વાતચીતનો દૌર શરૂ થાય, એ વખતે શરૂઆતમાં તો આપણે એ પ્રિયપાત્ર તરફનો આપણો અહોભાવ, આપણી લાગણી વ્યક્ત કરતાં હોઈએ છીએ, એટલે શરૂઆતમાં આવે પ્રેમની વાતો; પણ ધીમે-ધીમે પ્રિયપાત્રને જેમ જેમ હળતાં-મળતાં થઈએ, એમ તેની સાથે વધારે ખૂલીને આપણા ઘરની, આપણી ભાવનાઓની, સુખ-દુઃખની વાતો કરતાં થઈએ… અને એ પછી એમ પણ બને કે પડોશની, ઑફિસની, વ્યવસાયની, સામાજિક રીતિઓની, રિવાજોની, આર્થિક બાબતોની, સંસ્કૃતિની, રમતોની, ગામની, જિલ્લાની, રાજ્યની, દેશ-દેશાવરની… એમ વિવિધ વિષયોની વાતો આપણે આપણા વ્યાપ અને આપણા અભિપ્રાયો પ્રમાણે કરવાનાં! આમ પ્રિયપાત્ર સાથેની વાતચીતમાં વાતના વિષયોમાં વિવિધતા તો રહેવાની જ! પ્રિયપાત્ર એકની એક વાત સાંભળીને આપણાંથી કંટાળવું તો ન જ જોઈએ ને! આ પણ થઈ ગઝલના આંતરસ્વરૂપની જ વાત! આમ, ટૂંકમાં ગઝલ એટલે એવી પ્રાસ-યોજના, જે સમગ્ર કૃતિમાં એક જ છંદમાં રચાઈ હોય, જેમાં મોટાભાગે પ્રાસ પછી છેલ્લે અનુપ્રાસ પણ હોય, જે પ્રિયપાત્ર સાથેની વાતચીતના સ્વરૂપમાં હોય, અને એ વાતચીતની પ્રત્યેક બે પંક્તિ મળીને જીવન વિશેનો એક સુંદર વિચાર રજૂ કરતી હોય! હા, એ વિચાર સુંદર હોઈ શકે, પણ એમાં કેવળ સુષ્ઠુ-સુષ્ઠુ ન હોય! એટલે એવું સૌંદર્ય, જે ક્યારેક પ્રેમ-પ્યારને આભારી હોય, તો ક્યારેક રોષને આભારી પણ હોય! બસ એટલી સમજ મને પરવરદિગાર દે! / સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે! આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, / સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે! સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે, / અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે! પીઠામાં મારું માન સતત હાજરીથી છે, / મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે! દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’, / ચૂકવું બધાનું દેણું જો અલ્લાહ ઉધાર દે! ગઝલના આંતરિક સૌંદર્યની વાત થાય, ત્યારે ‘મરીઝ’ની આ ગઝલનો ઉલ્લેખ ન થાય એ કેમ ચાલે! મૂળ પોસ્ટીંગ 27.10.2020

ગઝલ : મીનાક્ષી ચંદારાણા * Minaxi Chandarana Read More »

ગરબો, ગરબી, રાસ, રાસડા : અરવિંદ બારોટ

ગરબો, ગરબી, રાસ, રાસડા.. – અરવિંદ બારોટ રાધાજીનાં ઊંચા મંદિર નીચા મોલ  ઝરૂખડે દીવા બળે રે લોલ.. રાધા ગોરી ગરબે રમવા આવો સાહેલિયું ટોળે વળે રે લોલ.. ૦ એક સામટા ૩૦-૪૦ જેટલા નારી સ્વરોથી શેરી ‘ને ચોક લીંપાતા હોય..કુંડાળે ઘૂમતી રમણીઓના ઘેરા વચાળે લાકડાની માંડવડી (ગરબી) પધરાવી હોય…ગરબી આગળ તેલ અને કપાસિયાથી ઝડાસ બળતી જ્યોતનાં અજવાળાં રેલાતા હોય..અને એ અજવાળે રૂપાળા-નમણા મુખડાં પર રતાશ ઘૂંટાતી હોય…પગની ઠેસે ધરણી ધમધમતી હોય..તાળીના તાલના પડછંદા ગગનગોખમાં ઝીલાતા હોય…માંડવડીમાં પધરાવેલા ગરબાના છીદ્રોમાંથી રેલાતા પ્રકાશકિરણોથી આખું આભ ચોકમાં ઊતર્યું હોય..  આવું દ્રશ્ય જોનારનાં આંખ,કાન અને ચિત્ત એકરૂપ-એક રંગ-એકરસ થઇ જતાં હોય… આવું સૌરાષ્ટ્ર-ગુજરાતના ગામ/નગરની શેરીઓમાં બનતું…. આસો મહિનાની શરૂઆતની નવે નવ રાત્રે…. બહુ દૂરની વાત નથી…પાંચેક દાયકા પહેલા આવી રીતે ઉજવાતાં માનાં નોરતાં… નોરતામાં રોજ રાત્રે આસ્થાનો ગુલાલઊડતો… ધરમ-કરમનો ધૂપ ભભૂકતો…આસ્થા ચારેય કાંઠે છલકાતી… ધર્મ આખરે તો સંસ્કૃતિનું એક ધારક પરિબળ છે અને સંસ્કૃતિ તો વહેતો પ્રવાહ છે.સ્થિરતા કે વાસીપણું પ્રકૃતિ કે સંસ્કૃતિમાં સંભવ જ નથી. એ ન્યાયે નવરાત્રિ ઉત્સવની ઉજવણીમાં પણ પરિવર્તન આવે જ. કોઈ પણ ઉત્સવનું પ્રયોજન અને પરિણામ તો ઉમંગ જ હોય છે. ઊર્મિ અને ઊર્જાની અભિવ્યક્તિ દ્વારા આનંદની પ્રાપ્તિ જ હોય છે..એમાં ધાર્મિક નિમિત્ત ભળે એટલે સમગ્ર ઉજવણી સાત્વિક બની રહે છે.    વિશ્વમાં જવલ્લે જ હોઈ શકે એવા સળંગ નવનવ રાત્રિના આ ઉત્સવની વિશિષ્ટતા છે નૃત્ય અને ગીત દ્વારા થતી માતૃશક્તિ-આદ્યશક્તિની ઉપાસના. આ નૃત્ય પણ ગરબો, અને ગીત પણ ગરબો.. ઉપાસના માટે શક્તિનું પ્રતીક-છિદ્રો વાળો માટીનો કુંભ, અને કુંભમાં પ્રજળતી જ્યોત એ પણ ગરબો.. એક જ્યોતમાંથી અનેક જ્યોત પ્રગટે એવા પ્રકાશના વિસ્તારનું, આ પર્વ… આદિશક્તિને રીઝવવાનો-નૃત્ય અને ગીતથી જીવતરના ખૂટતા રંગ-રસ ઉમેરવાની માનવજાતની આદિકાળની ઝંખનાનો આ તંતુ આજે પણ અતૂટ છે. શક્તિપૂજા વેદકાળ અને એનાથી પણ પહેલાનાં કાળથી ચાલી આવે છે. ૬૦૦૦ વર્ષ પહેલાંની મનાતી મોહેન-જો-દરોની સંસ્કૃતિના અવશેષોમાંથી મળેલા શિવલિંગ અને દેવીની મૂર્તિઓ પરથી માની શકાય કે અનાર્યોમાં શિવ અને શક્તિની ઉપાસના સમાંતર  ચાલી આવે છે. (પ્રચલિત ઇતિહાસ મુજબ ભારતની મૂળ પ્રજા એટલે અનાર્યો) આદ્યશક્તિને  સ્વયંભૂ, સૃષ્ટિની સર્જક,પાલક અને સંહારક કલ્પવામાં આવી છે. માનવીએ તો એનું વાત્સલ્યપૂર્ણ માતૃસ્વરૂપ જ વહાલું ગણ્યું છે. ઉષ્મા,ઊર્જા અને તેજની દાતા જ્યોતને મહામાયાનું સ્વરૂપ ગણવામાં આવે છે. ભક્તિ તો એકાંતમાં બેસીને થાય એવી શિક્ષા-દીક્ષા જનસામાન્યને પરવડતી નથી. સંઘજીવન, ઉત્સવ અને આનંદ વિના તો ભક્તિ પણ શુષ્ક-Boring લાગે. નવનવ રાત્રિઓનો નૃત્ય,ગીત અને સંગીતથી ભર્યોભર્યો આ ઉત્સવ નવા નવા રૂપરંગ સાથે વધુ ને વધુ વ્યાપક બનતો જાય છે… કાળક્રમે ઘાટ બદલાતો જાય છે. નવરાત્રિએ હવે માત્ર ધાર્મિક ઉત્સવ ન રહેતાં ‘સાંસ્કૃતિક પર્વ’નો વળોટ પકડ્યો છે. આ એક સહજ પરિવર્તન છે. પણ..એક વાત અફર છે કે કોઈ પણ સમયખંડમાં નવરાત્રિ ઉત્સવનું પ્રાણતત્વ તો ‘ગરબો’ જ રહ્યું છે અને રહેશે. કારણ કે નિમિત્ત વિના ઉત્સવ ન હોય અને આ એક સદીઓથી ઘૂંટાયેલું પ્રાણવાન- બળવાન અને તેજસ્વી નિમિત્ત છે. ગરબાની બાદબાકી થાય તો એ માત્ર Dance Festival બની રહે. ■ આ ગરબો શું છે ? છીદ્રોવાળી માટલીમાં પ્રગટાવેલો દીવો એ ગરબો.  માતાજીની ઉપાસના અર્થે વર્તુળાકારે થતા નૃત્ય સાથે જે ગીત ગવાય તે ગરબો. એટલે એ તો સ્પષ્ટ છે કે ગરબો શક્તિની આરાધના સાથે સંકળાયેલો છે. આ ગરબો શબ્દ આવ્યો ક્યાંથી ? ‘ગર્ભદીપ’ પરથી ‘ગરબો’ શબ્દ બન્યો એવા મંતવ્યો અનેક વિદ્વાનોએ આપ્યા છે. જે આજ સુધી સર્વમાન્ય રહ્યા છે. પૂર્વજ સાક્ષરો પ્રત્યે સંપૂર્ણ આદર સાથે હું આ અર્થઘટન અસ્વીકૃત ગણું છું. ગર્ભ શબ્દ પરથી ગરબો થઇ શકે પણ દીપ શબ્દનો છેદ શા કારણથી  ઊડી જાય એ સમજાતું નથી. ‘ગર્ભદીપ’ સંસ્કૃત શબ્દ છે અને આપણા ગરબાનો પુરાણોમાં ક્યાંય ઉલ્લેખ પણ નથી, તો ગરબાનો મૂળ સંસ્કૃત શબ્દ ક્યાંથી મળ્યો ? હા,રાસ વિષે ઘણા સંદર્ભો પુરાણોમાં છે. આશરે ૨૭૦૦ વર્ષ પૂર્વેના ‘ઐતરેય આરણ્યક’માં જળ ભરેલા કુંભ લઈને જતી દાસીઓ જમણા હાથથી જમણા સાથળ પર થાપા મારતી જાય અને જળકુંભની પ્રદક્ષિણા કરે છે એવું વર્ણન છે. ઘડામાં દીવો હોય એવા ગરબાનું અનુસંધાન સંસ્કૃતમાં ક્યાંય મળતું નથી. ગરબો લોકજીવનની જ નીપજ હોય એ વધુ પ્રતીતિકર લાગે છે. ગરબામાં ગવાતા ગીતો જે શક્તિની ઉપાસના, કથા કે સ્વરૂપવર્ણનના હોય એને જ ગરબો કહેવાય પરંતુ આવા પ્રાચીન ગીતોનું પ્રમાણ ઘણું અલ્પ છે. એટલે ગરબામાં બીજા ગીતો પણ ગવાતાં. સૌ પ્રથમ ગરબા લખનાર વલ્લભ મેવાડો ગણી શકાય. (અંદાજિત સમયકાળ: ૧૬૪૦-૧૭૫૧) દાસ વલ્લભના ગરબા જ પરંપરાગત મૂડીમાં ઉપલબ્ધ છે. શિષ્ટ સાહિત્યમાં દયારામ, નાનાલાલ, બોટાદકર, મેઘાણી જેવા સર્જકોની રચનાઓ આવી. પણ, મેઘાણી અને દયારામ સિવાય કોઈનાં ગીતો લોક્ધન ન બની શકયા. છેલ્લા બે-ત્રણ દાયકાથી ગરબાનું વ્યાપારીકરણ થવાના કારણે સજ્જતા અને સમજણ વિનાના કેટલાક ગાયકોએ ગરબાને વિકૃત કર્યો. છીછરા, હલકા અને પોતાને આવડે/ફાવે એવા ઢંગધડા વગરના ગીતોથી નવરાત્રિને તમાશાનું રૂપ આપી દીધું. સમજણ, નિષ્ઠા અને જવાબદારી સમજનારા કેટલાક આધુનિક કલાકારોએ ગરબાને સમૃદ્ધ પણ બનાવ્યો છે. પરિવર્તન અનિવાર્ય છે. એનો વિરોધ ન જ હોય. સંસ્કૃતિ બંધિયાર ન હોઈ શકે. પણ..પરંપરા અને મુલ્યોની સમૂળગી અવગણના તો અધોગતિ નોતરે છે એ પણ ન ભૂલવું જોઈએ. ધાર્મિકતાનો આગ્રહ ન રાખીએ, પણ નિર્બંધ યુવાનીને લપસણા માર્ગે દોરી જાય અને માતાજીના નોરતાને અભડાવે એવી આધુનિકતા સરવાળે તો શાપ સાબિત થાય છે. ગયા દસકામાં ઘણા પરિવારો એનાં માઠા પરિણામો ભોગવી ચૂક્યા છે. અહીં સવાલ સંકુચિતતા કે મુક્ત વિચારસરણીનો નથી, પરંપરાના આદર અને ગૌરવનો છે. આધુનિકતાના નામે વરવી જીવનરીતિ ન જ અપનાવાય. ■ ગરબો અને ગરબી નોરતામાં સ્ત્રીઓ દ્વારા લેવાય તે ‘ગરબો’ અને પુરુષો લે તે ‘ગરબી’. ગરબામાં માતાજીના મહિમાના ગીતો હોય છે. ગરબીમાં કૃષ્ણની રાસલીલા, દાણલીલાના ગીતો હોય છે. દયારામની ગરબીઓ પ્રચલિત છે. નવરાત્રિ સિવાયના ધાર્મિક ઉત્સવો અને સામૈયામાં ગરબી લેવાય છે. ■ રાસ અને રાસડા.. ગરબો, ગરબી, રાસ, રાસડા, દાંડિયારાસ, હમચી,હીંચ, હૂડો- આ બધાં ભિન્નભિન્ન પ્રકારના લોકનૃત્યો છે. રાસ સ્ત્રીઓ અને પુરુષો સાથે પણ રમે છે. રાસડા ફક્ત સ્ત્રીઓ રમે છે. રાસડામાં  પ્રેમ, વિરહ, શૃંગાર, કુટુંબભાવના, સુખ-દુખ, કલહ જેવા ભાવવિશેષના ગીતો હોય છે. જે લોકગીતો તરીકે ઓળખાય છે. (લોકગીતોમાં રાસડા ઉપરાંત હાલરડાંથી માંડીને મરસિયા સુધીના ભાવવૈભવનું સમૃદ્ધ વિશ્વ છે. લોકગીતો તો લોકજીવનના આત્માની તસવીર છે.) ■ દાંડિયારાસ                                                     ગોકુળના ગોંદરે કે જમનાને આરે, ગોવાળિયા રાસે રમતા હશે…હાથમાં લાકડી તો હોય જ…એ લાકડી સામસામે અથડાવીને તાલ પ્રગટ કરતા હશે…ગીતો ગાતાંગાતાં નાચતા હશે…ને એમ દાંડિયારાસનું સ્વરૂપ બંધાયું હશે….આ બધું  શીખડાવનાર તો કૃષ્ણ જ હોય…! સગવડ અને સલામતી માટે લાકડીનું કદ ટૂંકું થયું હશે અને રૂપકડા દાંડિયાથી કાન-ગોપીની રાસલીલા રચાઈ હશે…’એક એક કાન ને એક એક ગોપી’નું રૂપક રચાયું હશે..દાંડિયારાસના પ્રણેતા જ કૃષ્ણ.એ ગોકુળથી ગુજરાતમાં લઇ આવનાર પણ કૃષ્ણ… આપણાં લોકગીતોમાં રાધા કૃષ્ણના-રાસલીલાના  ગીતોનો દરિયો છલકાય છે. કૃષ્ણના આ દાંડિયારાસનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે.  ‘હરિવંશ’માં યાદવોના ‘તાલરાસક’ અને ‘દંડરાસક’ એવા બે પ્રકારના નર્તનનો ઉલ્લેખ છે. આશરે ૨૨૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા મહાકવિ ભાસના ‘બાલ ચરિતમ્’ નામના

ગરબો, ગરબી, રાસ, રાસડા : અરવિંદ બારોટ Read More »

સોનેટ : સંધ્યા ભટ્ટ * Sandhya Bhatt

સોનેટનું મૂળ ઈટાલીમાં તેરમી સદીમાં મળે છે. ઈટાલિયન ‘sonetto’ શબ્દનો અર્થ ‘ઝીણો રણકાર’ એવો થાય છે. ઈટાલિયન કવિ પેટ્રાર્ક (1304 – 1374) લોરા નામની પોતાની કલ્પનાની પ્રેમિકાને ઉદ્દેશીને પોતાના ભાવો સોનેટમાં વ્યક્ત કરે છે. પછી તો એ સમયમાં સોનેટ દ્વારા પ્રેમની અભિવ્યક્તિ મોટા ભાગના કવિઓ કરતાં જોવા મળે છે. સર ફિલિપ સિડની ‘Astrophel and Stella’ નામથી એકસો આઠ સોનેટની હારમાળા આપે છે જેનું વિષયવસ્તુ પ્રેમ છે. ઈટાલીથી આ સ્વરૂપ ઈંગ્લેન્ડ આવ્યું. વ્યાટ, સરે, શેક્સપિયર, મિલ્ટન, જ્હોન ડન, વર્ડ્ઝવર્થ, કીટ્સ, બ્રાઉનીંગ જેવા સિદ્ધહસ્ત કવિઓ દ્વારા લખાયેલા સોનેટ આજે પણ વંચાય છે અને વખણાય છે. અંગ્રેજી ભાષામાં prosody (છંદવ્યવસ્થા) માં stress – unstress એટ્લે કે લઘુ-ગુરુ પ્રમાણે જુદી જુદી રીતે સૉનેટ લખાતાં જેને આપણે સંસ્કૃત વૃત્ત પ્રમાણે લખીએ છીએ. છંદોના શાસ્ત્રને પિંગલ કહે છે. છંદશાસ્ત્રના જ્ઞાતા ચીમનલાલ ત્રિવેદી ‘પિંગલદર્શન’ પુસ્તિકામાં લખે છે, “પિંગલશાસ્ત્રના મૂળ પ્રવર્તક તરીકે પિંગલમુનિનું નામ પ્રસિદ્ધ છે…ત્યારથી છંદશાસ્ત્રને પિંગલશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ‘પિંગલ’ શબ્દને આ રીતે સમજી શકાય. પિંગલ એટલે પિં–પિંડ, ગ–ગુરુ અને  લ–લઘુ. અર્થાત લઘુ-ગુરુના પિંડનું કથન તે પિંગલ. (પૃ .1) આપણે શિખરિણી, મન્દાક્રાન્તા, પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત જેવા સખંડ રૂપમેળ કે અનુષ્ટુપ, ઇન્દ્રવજ્ર  કે ઉપેંદ્રવજ્ર જેવા અખંડ રૂપમેળ છંદમાં સૉનેટ લખીએ છીએ. ચૌદ લીટીમાં લખાતા સોનેટમાં કોઈ એક વિષયનું નિર્વહણ કરવાનું હોય છે. પંક્તિવિભાજન 4-4-4-2 અથવા તો 8-6 ની રીતે કરાય છે. પેટ્રાર્કન શૈલી (8–6 પ્રમાણે પંક્તિવિભાજન)માં આઠ પંક્તિમાં વિષયની માંડણી કર્યા પછી વળાંક આવે છે. જે પંક્તિથી વળાંક આવે તેને Volta કહેવાય છે. અંતે આવતી બે પંક્તિમાં ચોટ લાવી શકાય અથવા વિષયનો યોગ્ય ઉપસંહાર કે ઉપશમન કરી શકાય. અંગ્રેજી ભાષામાં લખાતાં સોનેટમાં અંત્યાનુપ્રાસરચનાની સરસ ગોઠવણી છે જે કાવ્યાનંદમાં વધારો કરે છે. જો કે ગુજરાતીમાં પ્રાસરચનાનું અનુસરણ ઓછું જોવા મળે છે. સોનેટનું સૌન્દર્ય પંક્તિવિભાજન કે પ્રાસરચના કરતાં પણ વધુ તેમાં પ્રગટ થતાં ઊર્મિ અને ચિંતનના કાવ્યાત્મક સાયુજ્યમાં રહેલું છે. સફાઈદાર છંદ, સહજ કલ્પન, યથોચિત અલંકારવિનિયોગ, પ્રવાહી અને સૂક્ષ્મ ભાવો, આંતરપ્રાસયુક્ત પદાવલિ જેવા વાનાંથી સૉનેટનો આનંદ મળે છે. અંતિમ બે પંક્તિના અર્થપૂર્ણ અંત્યાનુપ્રાસથી સૉનેટ સંપૂર્ણ બને છે. ઈ.સ. 1888માં કવિ બળવંતરાય ઠાકોરે રચેલું ‘ભણકારા’ એ આપણી ભાષાનું પ્રથમ સૉનેટ છે. ‘મોગરો’, ‘જૂનું પિયરઘર’ જેવાં તેમના સૉનેટ આજે પણ સૌને યાદ છે. ગાંધીયુગમાં સોનેટનું સ્વરૂપ વધુ પ્રચલિત બન્યું. સંખ્યા અને ગુણવત્તાની દ્રષ્ટિએ આ સમયમાં નોંધપાત્ર સૉનેટસર્જન થાય છે. કવિ કાન્ત પાસેથી ‘ઉપહાર’, નરસિંહરાવ દિવેટિયા પાસેથી ‘વીણાનું અનુરણન’ તથા ન્હાનાલાલ પાસેથી ‘તાદાત્મ્ય’ સૉનેટ મળે છે. કવિ ખબરદાર પાસેથી 202 સૉનેટનો સંગ્રહ ‘નન્દનિકા’ મળે છે. તેઓ બાહ્ય સ્વરૂપને વળગી રહે છે તેથી તેમના સૉનેટમાં કૃત્રિમતાનો અનુભવ થાય છે. પંડિતયુગમાં ઉપેક્ષિત રહેલું સૉનેટનું સ્વરૂપ ગાંધીયુગમાં ઉત્તમ વિકાસ સાધે છે. ઈ.સ. 1926માં ચન્દ્રવદન મહેતા પાસેથી સૉનેટગુચ્છ મળે છે. રામનારાયણ પાઠક ‘શેષ’નું ‘છેલ્લું દર્શન’ સૉનેટ આપણે સૌ પાઠ્યપુસ્તકમાં ભણ્યા છીએ. સુન્દરમ પાસેથી મોટી સંખ્યામાં ઉત્કૃષ્ટ સૉનેટો પ્રાપ્ત થાય છે. સંગીતના સાત રાગવિષયક સૉનેટસપ્તક ‘સપ્તરાગ’ તેમની નોંધપાત્ર રચના છે. ગાંધીચેતનાનો બુલંદ સૂર પ્રગટાવનાર કવિ ઉમાશંકર જોશી સ્વાતંત્ર્યવિષયક તેમ જ વિશ્વબંધુત્વને વ્યક્ત કરતાં સૉનેટ આપે છે. ‘આત્માનાં ખંડેર’ શીર્ષકથી લખાયેલી સૉનેટમાળા કવિની ગહન ચિંતનશીલતા વ્યક્ત કરે છે. આ ઉપરાંત ગાંધીયુગમાં રામપ્રસાદ શુક્લ, સ્નેહરશ્મિ, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, પૂજાલાલ, કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશ્ચંદ્ર ભટ્ટ અને કરસનદાસ માણેક પાસેથી પણ સોનેટો મળે છે. ગાંધીયુગના સૉનેટ માટે કવિ-વિવેચક ઉશનસ લખે છે, “ગાંધીજી તો ખરા જ, પણ શ્રી અરવિંદ-રવીન્દ્રનાથ ને માનવતાવાદ ને સમાજવાદ-સામ્યવાદના માર્ક્સનું તત્વજ્ઞાન; આવા ગાળામાં કવિતા ન ખીલે તો જ નવાઈ ને કવિતા ખીલે તો સૉનેટ કેમ ન ખીલે! આ જ ગાળામાં પ્રો.ઠાકોર, ચંદ્રવદન, દુર્ગેશ શુક્લ, સુંદરમ, ઉમાશંકર, રામપ્રસાદ શુક્લ દ્વારા સૉનેટયુગ્મ, સૉનેટત્રયી, સૉનેટચતુષ્ક, સૉનેટપંચક, સૉનેટગુચ્છ ને સૉનેટમાળા એમ બધા સ્વરૂપે સૉનેટની ખેડ થઈ છે.આ ખેડ  જેટલી વિશાળ છે તેટલી ઊંડી પણ છે.” (‘મારો વાઙમય ઉપભોગ’ લે.ઉશનસ પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી.,2010 પૃ.205) અનુગાંધીયુગના કવિઓ પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત પણ સૉનેટસાહિત્યને સમૃદ્ધ કરે છે. રાજેન્દ્ર શાહે સૉનેટત્રયી અને સૉનેટયુગ્મો આપ્યા છે. પ્રહલાદ પારેખ સૌંદર્યનિર્મિતાના કવિ છે. સામાજિક વાસ્તવમાં તેમણે રસ દાખવ્યો નથી. સોનેટમાં પણ તેમનું આ વલણ જોવા મળશે. તેમનાં ‘ઘેરૈયા’, ‘વાતો’, ‘વિદાય’, ‘તેજ-ઉલ્લાસ’ જેવા સોનેટના આસ્વાદ પણ થયા છે. ‘આયુષ્યના અવશેષે’ રાજેન્દ્ર શાહની અને ગુજરાતી કવિતાની ઉત્તમ સૉનેટમાળા છે. ‘રાજેન્દ્ર શાહનાં સૉનેટ’ શીર્ષકથી થયેલ લેખમાં હર્ષદ ત્રિવેદી વિગતે રસસ્થાનો ચીંધી આપે છે અને કાંઈક મર્યાદા પણ બતાવે છે. (‘શબ્દાનુભવ’ લે. હર્ષદ ત્રિવેદી.પ્રકાશન : કવિલોક ટ્રસ્ટ,2007) નિરંજન ભગત પાસેથી 38 સૉનેટ મળે છે. પ્રસાદ બ્રહ્મભટ્ટ લખે છે, “પ્રતીકરચના દ્વારા નગરજીવનની નિષ્પ્રાણતા, વિરૂપતા, માનવજીવનની છિન્નભિન્નતા  પ્રગટાવી સૉનેટના સ્વરૂપમાં અસરપ્રવર્તક પ્રદાન કરનાર નિરંજને 17 વર્ષની વયે રચેલું પ્રથમ સૉનેટ ‘ હ્રદયની ઋતુઓ’ કચાશવાળું નથી. ‘મૌન’, ‘ મિલનોન્મુખીને’, ‘કરોળિયો’, ‘મોર’, ‘મુંબઈનગરી’, ‘પથ’, ‘મિત્ર મડિયાને’ તેમના કલાત્મક સૉનેટો છે.” (બાર સાહિત્યસ્વરૂપો’ લે. પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્ર.પાર્શ્વ પબ્લિકેશન,2001 પૃ. 145 ) ઉશનસનું સૉનેટસર્જન સંખ્યા અને ગુણવત્તાની દ્રષ્ટિએ વિસ્મિત કરે છે. તેમને આ સ્વરૂપ એવું તો સહજ હતું કે સંખ્યાબંધ વિષયો પર તેમણે સૉનેટ આપ્યાં છે. કેટલાક સોનેટો રચનાની દ્રષ્ટિએ શિથિલ છે પરંતુ ‘વળાવી બા આવી’, ‘પ્રથમ શિશુ’, ‘હવે ઘર ભણી’, ‘સ્મશાનમાં’ ‘સાંજનો સાદ’ તથા તેમની કેટલીક સૉનેટમાળા કલાત્મક છે. દક્ષા વ્યાસ કહે છે, ‘સૉનેટમાળાને દીર્ઘકાવ્ય લેખીએ અને લેખવી જ જોઈએ, તો ઉશનસે ગુજરાતીમાં સૌથી વધુ અને ઉત્તમ કહી શકાય તેવી સૉનેટમાળાઓ આપી છે…કવિ અખિલ ભારતનો પ્રવાસ કરે છે ને ‘ભારત દર્શન’ નાં સૉનેટ રચાય છે. ડાંગવન ખૂંદે છે અને ‘અનહદની સરહદે’ જેવા સમૃદ્ધ સૉનેટગુચ્છનું નિર્માણ થાય છે.’(‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પરિદર્શન : પૂર્વરંગ’ લે. દક્ષા વ્યાસ,પ્રકાશન : પાર્શ્વ પબ્લિકેશન,2010.પૃ.153) કવિ જયંત પાઠક પાસેથી સો ઉપરાંત સૉનેટ મળે છે. પ્રણય અને પ્રકૃતિને વિષય બનાવીને તેમણે કલાત્મક રચનાઓ આપી છે. ‘વાસંતી ફરફર’ સોનેટમાં આ કવિ વસંતમદિલ પ્રકૃતિનું પંચેંદ્રિયથી વર્ણન કરે છે. તેઓ શિખરિણીમાં લખે છે, ‘હવાને ચ્હેરે શી મૃદુ વિહગપીંછી ફરી રહી!’ વસંતનો ડંખ લાગતાં જ નિજનું રૂપાંતર થાય છે જે અંતિમ બે પંક્તિમાં જુઓ… અહો પોચી પોચી મીણની મુજ હસ્તી : મધપૂડો! બધે ડંખે છિદ્રે દ્રવ દ્રવ- દુઝે શો વ્રણ ઊંડો !  (અંતરીક્ષ ,14) આ ગાળાના અન્ય સૉનેટકારોમાં બાલમુકુન્દ દવે (જૂનું ઘર ખાલી કરતાં), નાથાલાલ દવે (હતો ખડક એક), વેણીભાઇ પુરોહિત (અધૂરપ), પિનાકિન ઠાકોર, મકરન્દ દવે, હસિત બૂચ, પ્રિયકાન્ત મણિયાર, હસમુખ પાઠક, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, નલિન રાવળ, હેમંત દેસાઇના નામ જાણીતાં છે. આધુનિક કવિઓમાં લાભશંકર ઠાકર, ચિનુ મોદી, રઘુવીર ચૌધરી, મણિલાલ દેસાઇ, રાવજી પટેલ, ચંદ્રકાંત શેઠ, ભાનુપ્રસાદ પંડ્યા, ભાનુપ્રસાદ ત્રિવેદી, યોસેફ મેકવાન, માધવ રામાનુજ, હરિકૃષ્ણ પાઠક, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલને યાદ કરી શકાય. ભગવતીકુમાર શર્માએ પત્નીના અવસાન પછી ‘આત્મસાત’ નામે સૉનેટસંગ્રહ આપ્યો જે દામ્પત્યકથાના  વિષય  પર કેન્દ્રિત છે. છેલ્લા ઘણા સમયથી ગઝલના બાહુલ્યને કારણે સૉનેટનું સ્વરૂપ બહુ જ ઓછું ખેડાય છે પણ આમ છતાં રામચંદ્ર પટેલ, જશવંત લ. દેસાઇ, રવીન્દ્ર પારેખ, દેવેન્દ્ર દવેના

સોનેટ : સંધ્યા ભટ્ટ * Sandhya Bhatt Read More »

Scroll to Top